કોરોના મહામારીની પરિસ્થિતિ તો જાણે ગરીબોનો જીવ લેવા જ બેઠી છે કે શું? એક બાજુ લોકડાઉનમાં સર્જાયેલી બેરોજગારી અને બીજી બાજુ ભૂખ, જવું તો જવું ક્યાં? લૉકડાઉનને કારણે સમગ્ર દેશ બંધ છે અને કોઈ રોજગાર નથી ત્યારે ગુજરાતમાં વસતા લાખો શ્રમિકોએ વતનની વાટ પકડી છે. આવામાં ઘણી ટીકા અને માંગ ઉઠી ત્યારે સરકારે આખરે શ્રમિકોને જવાની મંજૂરી તો આપી પરંતુ અણઘડ રીતે. ટ્રેન અને બસની વ્યવસ્થા તો કરવાનું કહી દીધું પરંતુ આટલા દિવસથી ભૂખ્યાં અને બેરોજગાર શ્રમિકો પાસેથી સરકારે ટ્રેનની ટિકિટના પૈસા ન છોડ્યા. આવામાં વિપક્ષે તક જોતા આ શ્રમિકોના ટિકિટનો ખર્ચ ઉપાડીને આ મામલે સરકારની 'ટિકિટ' કાપી નાંખી તેમ કહી શકાય.
સરકારના આ નિર્ણયની ભારે ટીકા થઈ
ટિકિટના પૈસા લેતા શરમ ન આવી?
રાહત ફંડનો ઉપયોગ થઈ શક્યો હોત
કેન્દ્ર સરકારના રેલ્વેમાં શ્રમિકોને મોકલવાના નિર્ણયનો ચોતરફ આવકાર થયો હતો પરંતુ તેમની ટિકિટના પૈસા લઈને આ નિર્ણય પર પાણી ફેરવી દીધું. આવામાં સવાલ એ થાય છે કે શું રેલ્વે કે સરકાર પાસે આ શ્રમિકોને પોતાના વતન પહોંચાડવા માટે એટલા પૈસા નહોતા? શું PM Cares માં ભંડોળ આવ્યું તેમાંથી આ લોકો માટે ટિકિટના પૈસાથી તેમની કેર ન થઈ શકે? રેલ્વેના કર્મચારીઓએ પણ પીએમના રાહત ફંડમાં પૈસા આપ્યાં હતાં તો એમાંથી ઉપયોગ થઈ શક્યો હોત.
કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને કહ્યું હતું કે પરપ્રાંતિયોને મોકલવાની વ્યવસ્થા રાજ્ય સરકાર કરે. આવામાં ગુજરાતની સંવેદનશીલ સરકાર શ્રમિકોના ટિકિટના પૈસા ભોગવીને ખરેખર સંવદેનશીલતાનું સાચું ઉદાહરણ પૂરું પાડી શકી હોત. સીએમ રાહત ફંડમાં આવેલા નાણાંનો ઉપયોગ રાજ્ય સરકાર કરી શકી હોત. આ શ્રમિકોની ટિકિટના પૈસા થઈ થઈને કેટલાં થયા હોત એ તો વિચારો. કારણ કે માત્ર મફત ભોજન અને અનાજની જાહેરાતથી આ શ્રમિકોના પેટ ન ભરાય અને એટલે જ તેમને કોરોનાથી વધારે ભૂખ મારી નાંખશે તેવો ભય પેસી ગયો છે. આવામાં શ્રમિકો ક્યાં સુધી લૉકડાઉનને કારણે ભૂખ્યાં-તરસ્યાં વતનથી દૂર રહી શકે? એટલે બીજું કંઈ નહીં તો ઠીક તેમને વતન મોકલવાની યોગ્ય વ્યવસ્થા તો સરકાર કરી જ શકી હોત.
સરકારના આ નિર્ણયની ભારે ટીકા થઈ
મહત્વનું છે કે સૌપ્રથમ શ્રમિકોને મોકલવા માટે માત્ર બસોની વ્યવસ્થાનો નિર્ણય કરાયો હતો. જેના પગલે ભારે માંગ ઉઠી હતી કે માત્ર બસોથી કામ નહીં ચાલે અને ટ્રેનો શરૂ કરવી પડશે. સરકારે ફરી નિયમ બદલ્યો અને ટ્રેનોની વ્યવસ્થા કરી. જેમાં પણ ગુજરાત રાજ્ય સહિત દેશમાં ઠેર-ઠેર અરાજકતા ફેલાઈ હોવાના દ્રશ્યો જોવા મળ્યાં હતાં. એમાં પણ હવે ટિકિટ જેવી સામાન્ય બાબત સરકારના ધ્યાનમાં ન આવી અને ફરી જ્યારે ભૂખ્યાં-તરસ્યા શ્રમિકો પાસેથી ટિકિટના ખર્ચ લેવાની બાબતની સમગ્ર દેશમાં ભારે ટીકા થઈ. આવામાં સવાલ એ થાય છે રાજ્ય સરકારે ખરેખર પરપ્રાંતિયો સાથે પોતાના જેવું વર્તન ન કર્યુ. લોકોમાં તો ત્યાં સુધી ચર્ચા થઈ હતી કે સરકારના મંત્રીઓની એક મીટિંગમાં જેટલો ખર્ચ થાયને તેટલાં ખર્ચમાં તો શ્રમિકોની એક ટ્રેન આખી વતન પહોંચી જાય.
ટિકિટના પૈસા લેતા શરમ ન આવી?
સાહેબ, છેલ્લા દોઢ મહિનાથી બેરોજગારી વચ્ચે જીવી રહેલાં શ્રમિકો પાસે પૈસા ક્યાંથી હોય કે વતન જવાની ટિકિટ ખરીદે. જો કે આ વચ્ચે પણ હજારો શ્રમિકો હજુય વતન જવાં માટે હોબાળો કરી રહ્યા છે જેની કોઈ વ્યવસ્થા હજુ સુધી સરકાર કરી શકી નથી. ભુખ્યા અને તરસ્યા શ્રમિકો બેરોજગારી વચ્ચે પણ ટ્રેનની ટિકિટ ખરીદી વતન પહોંચ્યા. વાહ રે સરકાર વાહ. જ્યારે વિદેશમાં વસતાં શ્રીમંતોને ભારત લાવવા હતાં ત્યારે સરકાર પાસે મફતમાં પ્લેનમાં બેસાડી એરલિફ્ટ કરવાનાં પૈસા હતા. જ્યારે આજે શ્રમિકોની સ્પેશિયલ ટ્રેનનું ડિઝલ નથી.
રાહત ફંડનો ઉપયોગ થઈ શક્યો હોત
બીજી બાજુ એવી ચર્ચાઓ ચાલી રહી છે કે મોદી સરકાર સેન્ટ્રલ વિસ્ટા (નવા સંસદ ભવનનું નિર્મામ) જેવા 20000 કરોડના પ્રોજેક્ટમાં ખર્ચ કરી છે ત્યારે સરકાર પાસે આ ટિકિટના પૈસા નહોતા? કેન્દ્ર સરકારના નવા બનાવાયેલા રાહત ફંડ PM Caresમાં પણ કરોડો રૂપિયા લોકોએ દિલ ખોલીને આપ્યાં છે ત્યારે શ્રમિકો માટે સરકારનું મન કેમ સંકોચાઈ ગયું?
તક જોતા સરકારનું કરવાનું કામ વિપક્ષે કરી નાંખ્યું
જો કે આ પરિસ્થિતિ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શ્રમિકોની ટિકિટનો ખર્ચ ઉપાડી લેવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ શ્રમિકોની પડખે આવી ટિકિટનો ખર્ચ ઉપાડશે. રૂપાણી સરકાર શું કરી રહી તેના પણ પ્રશ્નાર્થ ઉભા થાય છે. સાહેબ શ્રી CM રાહત ફંડના રૂપિયાનો યોગ્ય ઉપયોગ ક્યારે કરશો. બેરોજગાર શ્રમિકો પાસેથી ટિકિટના પૈસા લઈ શું સાબિત કરવા માંગો છો.
કોંગ્રેસના નેતા અહમદ પટેલે પણ શ્રમિકોને પાસેથી ટ્રેનની ટિકિટ લેવાં મુદ્દે PM મોદી પર નિશાન સાધ્યું હતું. તેઓએ ટ્વિટ કરીને કીધું કે PM કેર ફંડ ક્યારે કામ આવશે. આ સંકટની ઘડીમાં શ્રમિકો પાસેથી પૈસા લેવા અયોગ્ય છે. આ ટ્વિટ બાદ આજે જ સવારે સોનિયા ગાંધીએ શ્રમિકોની ટિકિટનો તમામ ખર્ચ ઉપાડી લેવાની જાહેરાત કરી છે.