ઉત્તરાખંડમાં ભાજપ સરકારના મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું છે ત્યારે હરિયાણામાં આજે સરકાર સામે અગ્નિપરીક્ષાનો સમય છે.
હરિયાણામાં આજે સરકાર સામે અગ્નિપરીક્ષા
ગૃહમાં કોંગ્રેસ લઈને આવશે અવિશ્વાસ પ્રસ્તાવ
ખેડૂત આંદોલન વચ્ચે સરકાર સામે સંકટ
હરિયાણા વિધાનસભામાં ભાજપ અને જેજેપી ગઠબંધન સરકાર સામે કોંગ્રેસ બુધવારે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા જઈ રહી છે. આ પ્રસ્તાવને જોતાં ભારતીય જનતા પાર્ટી તથા જનનાયક જનતા પાર્ટીએ પોતાના ધારાસભ્યોને હાજર રહેવા માટે વ્હીપ જાહેર કરી દીધું છે.
નોંધનીય છે કે એક તરફ જ્યાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે અને આ આંદોલનના કારણે હરિયાણામાં ભાજપ તથા જેજેપીના નેતાઑને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ પ્રસ્તાવ સામે ખેડૂત સંગઠનોએ જેજેપી ધારાસભ્યોને સરકાર વિરુદ્ધ વોટ કરવા અપીલ કરી છે.
હરિયાણા સરકારના મંત્રી અને ચીફ વ્હીપ કંવર પાલે કહ્યું કે નેતૃત્વની અનુમતિ વગર કોઈ પણ ધારાસભ્ય ગૃહની બહાર ન જાય કારણ કે ચર્ચા દરમિયાન ઘણા મુદ્દાઓ પર ચર્ચા થશે. સદસ્યોને અનુરોધ છે કે મતવિભાજન અને મતદાન સમયે ગૃહમાં હાજર રહે.
નોંધનીય છે કે ગૃહમાં બહુમતી માટે 45 વોટની જરૂર છે ત્યારે સરકાર 55 ધારાસભ્યોના સમર્થનનો દાવો કરી રહી છે. હરિયાણામાં 90 સીટો છે અને તેમાં હાલમાં 88 સદસ્યો છે. ભાજપના 40 અને જેજેપીના 10 ધારાસભ્યો છે જ્યારે કોંગ્રેસ પાસે 30.
નોંધનીય છે કે આ સરકાર સામે સંકટ હોવાનું માનવામાં આવે છે કારણ કે હાલમાં જ જેજેપીના ધારાસભ્યોએ ખેડૂતોના આંદોલનનું સમર્થન કરી નાંખ્યું છે. દિગ્વિજયસિંહ ચૌટાલાએ રાકેશ ટીકૈતને સાચા દેશભક્ત ગણાવ્યા હતા. ખેડૂતો પણ જેજેપી પર જોરદાર દબાણ બનાવી રહ્યા છે.
મંગળવારે જ જેજેપીના ધારાસભ્ય દેવેન્દ્ર સિંહે કહ્યું કે અમને ખુદને બચાવવા માટે સુરક્ષા કવચની જરૂર છે. સરકાર 15 જ દિવસમાં ખેડૂતો મુદ્દે સમાધાન લાવે નહીં તો અમારે સમર્થન પાછું ખેંચવું જોઈએ.