ભલે ચારેકોર NDA સરકાર રચાશે. તેવા ઢોલ વાગતા હોય. પરંતુ તેની સામે કોંગ્રેસે આશા ગુમાવી નથી. કોંગ્રેસે જો અને તોની રાજનીતિને લઈને એક અલગ રણનીતિ બનાવી રાખી છે અને જરૂર પડે તો તેને અપનાવી સરકાર બનાવવા સફળ પણ થઈ શકે છે. એવી તે કઈ ફોર્મ્યુલા કોંગ્રેસે ઘડી છે. તો જોઈએ આ રિપોર્ટમાં.
NDAની સરકાર સત્તામાં પાછી ન ફરે તે માટે કોંગ્રેસે ખાસ રણનીતિ ઘડી કાઢી છે. ખાસ કરીને જ્યારે એગ્ઝિટ પોલ આવ્યા પછી કોંગ્રેસે NDAની સરકાર પાછી સત્તામાં ન આવે તે માટે એક એવી રણનીતિ બનાવી છે જે કદાચ ભાજપને નુકસાન પહોંચાડી શકે છે અને સત્તાથી દૂર પણ રાખી શકે છે. ચૂંટણી પછી અને પરિણામ પહેલાંના ગઠબંધનની રણનિતિ પર કોંગ્રેસની ટોપલીડર શિપ કામ કર્યું છે.
આ રણનીતિનાં માસ્ટરમાઈન્ડ સિનિયલ વકીલ અને વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવીએ છે. તો કોંગ્રેસની આ રણનીતિને પાર પાડવાનું કામ વરિષ્ઠ કોંગ્રેસી નેતા અહેમદ પટેલ અને અને જયરામ રમેશને સોંપવામાં આવ્યું છે. આ રણનીતી કર્ણાટક ફોર્મ્યુલા પર ઘડવામાં આવી છે. .જેવી રીતે કર્ણાટકમાં કોંગ્રેસે જેડીએસ સાથે ગઠબંધન કરીને ભાજપને સત્તામાં આવતું અટકાવ્યુ હતું તેવો જ પ્રયોગ કેન્દ્રમાં પણ કોંગ્રેસ કરી શકે છે..પાર્ટીએ સિંઘવીને આ રણનીતિની કાયદાકીય બાજુઓ પર પણ કામ કરવાનું કહ્યું છે.
આ રણનીતિના ભાગરૂપે પહેલું પગલું અન્ય દળોને એક કરવાનાં છે અને આગામી 24 કલાકની અંદર પરિણામ પહેલાં તેનું એલાન કરવાનું છે. જો કે, આ રણનીતિ માટે ઘેરાબંધી પહેલેથી જ કરી લેવામાં આવી છે. જેથી પરિણામ બાદ અન્ય સહયોગીઓને શોધવામાં ભાજપને મુશ્કેલી પડે. જેથી સરકાર રચવામાં સફળ ન રહે. જો એનડીએ બહુમતથી દૂર રહે તો તે પછીનું કોંગ્રેસનુ પગલું સરકાર બનાવવાના દાવા સાથે સર્વસંમતિથી એક નેતાની પણ પસંદગી કરવામાં આવશે.
આ બિલકુલ એ જ પ્રયોગ છે. જે કર્ણાટકમાં કોંગ્રેસે સરકાર બનાવવા અપનાવ્યો હતો. અને ભાજપને સત્તાથી દૂર રાખી હતી. કર્ણાટકમાં ભાજપ 104 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી હતી. પરંતુ 9 ધારાસભ્ય ઓછા હોવાથી સરકાર રચી શકી ન હતી. કર્ણાટકનાં રાજ્યપાલ વજુભાઈ વાળાએ સૌથી મોટી પાર્ટીના નેતા તરીકે યેદિયુરપ્પાને મુખ્યમંત્રીના શપથ તો લેવડાવ્યાં પરંતુ વિપક્ષે વાંધો લઈ અરજી કરી અને સુપ્રીમ કોર્ટે તાત્કાલિક વિશ્વાસનો મત પ્રાપ્ત કરવાનું કહ્યું.
જે સાબિત કરવામાં ભાજપ નિષ્ફળ જતાં મોમા આવેલો લાડુ નીચે પડી ગયો હોય તેવી હાલત થઈ હતી. આમ, એકબાજુ એગ્ઝિટ પોલ ભાજપને પૂર્ણબહુમત આપી રહ્યા છે. પરંતુ ક્રિકેટ મેચની જેમ ચૂંટણીમાં પણ છેલ્લી ઘડી સુધી કંઈ કહી શકાય નહી. ત્યારે કોંગ્રેસ કે ભાજપ કોની રણનીતિ ફાવે છે તે સમય જ કહેશે.