હાર્દિક પટેલની પ્રદેશ કોંગ્રેસના નેતાઓની નારાજગી અને આવતીકાલે હાર્દિક પટેલના નિવાસસ્થાને CMની સંભવિત મુલાકાત અંગે ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે સૂચક નિવેદન આપ્યું છે.
હાર્દિકની નારાજગી વચ્ચે જગદીશ ઠાકોરનું સૂચક નિવેદન
અમે હાર્દિક પટેલના ઘરે જવા કે ન જવા પર વિચાર કરી રહ્યા છીએ: જગદીશ ઠાકોર
વિરમગામ ખાતે આવતીકાલે હાર્દિક પટેલના ઘરે તેમના પિતાની પ્રથમ પુણ્યતિથી નિમિત્તે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે તેવી ચર્ચા છે. ત્યારે CMની આ સંભવિત મુલાકાત પર જગદીશ ઠાકોરે સૂચક નિવેદન આપ્યું છે.
જગદીશ ઠાકોરે કહ્યું કે, અમે હાર્દિક પટેલના ઘરે જવા કે ન જવા પર વિચાર કરી રહ્યા છીએ. હાર્દિકે ટ્વીટ કર્યું એની માહિતી મને મળી છે. માહિતી મળતાની સાથે જ હાર્દિક સાથે વાત કરી હતી. હાર્દિકને તેમની ફરિયાદ મુદ્દે બેસીને ચર્ચા કરવા કહ્યું છે. ગઈકાલે પણ મેં એમને ફોન કર્યો હતો. મીડિયામાં ઘણા સમાચાર આવે છે કે તે ભાજપમાં જશે. આજે પણ હાર્દિક પટેલ કોંગ્રેસ પાર્ટી સાથે જ છે. હાર્દિક પટેલની કોંગ્રેસ સાથેની ફરિયાદોનો બેસીને સમાધાન કરીશું.
હાર્દિક પટેલના પિતાની પ્રથમ પુણ્યતિથીમાં હાજર રહેશે મુખ્યમંત્રી!
હાર્દિક પટેલના પિતાની પ્રથમ પુણ્યતિથીને લઇને મુખ્યમંત્રી હાર્દિક પટેલના ઘરે જશે તેવી શક્યતાઓ છે. મુખ્યમંત્રીની સિક્યુરીટી માટે વિવિધ વિભાગના અઘિકારીઓને બંદોબસ્તની ફાળવણી કરવામાં આવી છે. વિરમગામના ITI કેન્દ્ર કમ્પાઉન્ડમાં હેલીપેડ બનાવાયું છે. શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. હાર્દિકના પિતા ભરતભાઇ પટેલની પુણ્યતિથી નિમિત્તે શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં રામધૂન, ગુરૂ અમૃતવાણી, સુંદરકાંડના પાઠ અને રામભોજન પ્રસાદનું આયોજન કરાયું છે.
જે કંઈ પક્ષીય પ્રશ્નો હશે એનો નિવેડો લાવવામાં આવશેઃ જગદીશ ઠાકોર
હાર્દિકે કરેલા ટ્વિટ અંગે ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ગઇકાલે પણ નિવેદન આપ્યું હતું. જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, ટ્વિટ બાદ હાર્દિક પટેલ સાથે ફોન પર વાત થઈ છે. ટ્વિટ કરવાથી પાર્ટીને નુકસાન થાય છે. હાર્દિકના પ્રશ્નો અંગે અમારી વાત ચાલી રહી છે. જે કંઈ પક્ષીય પ્રશ્નો હશે એનો નિવેડો લાવવામાં આવશે. એમના પિતાની પુણ્યતિથી બાદ એમના સાથે મુલાકાત કરી વાત કરીશું.
હાર્દિક પટેલે શું કર્યું હતું ટ્વિટ ?
હાર્દિક પટેલે ટ્વિટર પર ટ્વિટ કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. હાર્દિક પટેલે ટ્વિટ કરીને કોંગ્રેસના નેતાઓ પર સીધા પ્રહાર કરતાં જણાવ્યું છે કે, કેટલાક નેતાઓ ઈચ્છે છે હાર્દિક કોંગ્રેસ છોડી દે, આ ટ્વિટમાં હાર્દિકે કેટલાક નેતાઓ તેનું મનોબળ તોડવા માંગતા હોવાનું પણ કહ્યું છે. જો કે, હાર્દિકે કોંગ્રેસમાં જ રહેવાની ઈચ્છા વ્યકત કરી છે. આ સાથે હાર્દિકે કેન્દ્રિય નેતાગીરી પાસે સમસ્યાના ઉકેલ માટે પણ અપીલ કરી છે. અને કહ્યું છે કે, હું આશા રાખું છું કે કેન્દ્રીય નેતાઓ કોઈ રસ્તો કાઢશે.
I am in Congress currently. I hope the central leaders find a way so that I continue to remain in the Congress. There are others who want Hardik to leave the Congress. They want to break my morale. @NewIndianXpresspic.twitter.com/zW1oHf5m52