ખોડલધામ પછીની મુલાકાત બાદ હાર્દિક પટેલે નક્કી કર્યુ કોંગ્રેસ છોડવાનું-કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુ શર્મા
આવતીકાલે કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુ શર્મા કરશે નરેશ પટેલ સાથે મુલાકાત
હાર્દિકના જવાથી કોંગ્રેસને થનારા નુકશાન સરભર કરવા કવાયત
પાટીદાર અનામત આંદોલનથી ઉભરેલા અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે આખરે કોંગ્રેસને બાયબાય કહી દીધું છે..પાર્ટી પ્રવેશ સાથે જ કાર્યકારી અધ્યક્ષ બનાવી કોંગ્રેસે હાર્દિકને હથેળીમાં રાખવા પ્રયત્ન કર્યા પરંતુ હાર્દિક હાથમાં ન રહ્યો અને માત્ર 1161 દિવસ કોંગ્રેસમાં રહ્યા બાદ સનસનીખેજ પત્ર લખી કોંગ્રેસ ના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું.
પ્રદેશ પ્રભારી રઘુ શર્મા નરેશ પટેલને મળશે
ત્યારે ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરવા આવતીકાલથી રઘુ શર્મા 4 દિવસની ગુજરાત મુલાકાત કરશે. આવતીકાલે પ્રથમ દિવસે કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુ શર્મા નરેશ પટેલ સાથે મુલાકાત કરશે.હાર્દિકના જવાથી કોંગ્રેસને થનારા નુકશાન સરભર કરવા તેમજ નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવા પ્રયાસો કરશે.
નરેશ પટેલ કોંગ્રેસમાં આવશે તો હાર્દિકને ડર હતો કે મારૂ રાજકારણ પુરૂ થઈ જશે: રઘુ શર્મા
હાર્દિક પટેલના રાજીનામાને લઇને કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ વાર કરતાં કહ્યું છે કે હાર્દિક પટેલે પહેલાથી જ મન બનાવી લીધું હતું. નરેશ પટેલ સાથે વાત શરૂ થયા બાદથી હાર્દિક નારાજ જોવા મળી રહ્યા હતા. હાર્દિક પટેલે નરેશ પટેલ સાથે બેઠક કરી તે અંગે મોટો ખુલાસો કરતા કહ્યું કે નરેશ પટેલ કોંગ્રેસમાં આવશે તે નક્કી કરવા હાર્દિક પટેલ ખોડલધામ ગયા હતા. ખોડલધામ પછીની મુલાકાત બાદ હાર્દિક પટેલે કોંગ્રેસ છોડવાનું નક્કી કર્યુ હતું. નરેશ પટેલ કોંગ્રેસમાં આવશે તેવી ચર્ચા છે માટે હાર્દિકને ડર હતો કે મારૂ રાજકારણ પુરૂ થઇ ગયું તેથી પહેલાથી જ મન બનાવી કોંગ્રેસ પર આરોપ મૂકવાનું શરૂ કરી રાજીનામું આપી દીધૂ.
હાર્દિક પટેલના જવાથી પાટીદાર ફેક્ટરમાં અસર થશે: સુખરામ રાઠવા, નેતા વિપક્ષ
હાર્દિક પટેલ મુદ્દે વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે હાર્દિક પટેલના જવાથી પાટીદાર ફેક્ટરમાં અસર થશે હવે પાટીદાર ફેક્ટરનું ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કરીશું. હાર્દિક પટેલ અમારી સાથે પક્ષમાં હતા પણ મનની વાત કોઇ સાથે કરી નહી અને રાજીનામુ આપ્યું. પાર્ટીએ નાની ઉંમરે તક આપી હતી તેમણે આ તકનો ઉપયોગ કરવાની જરૂર હતી.નરેશ પટેલ સામાજિક આગેવાન છે. અમારા મોવડીમંડળ સાથે વાત ચાલી રહી છે
હાર્દિક પટેલને કોંગ્રેસે શુ આપ્યું તેનો ગુજરાત કોંગ્રેસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો
-કોંગ્રેસે હાર્દિકને ઉંમર, અનુભવ અને અપેક્ષા કરતા વધારે આપતા કોઈપણ અનુભવ વગર કાર્યકારી પ્રમુખ બનાવ્યા હતા.
-2019 થી હાર્દિક તમામ ચૂંટણીઓમાં સ્ટાર પ્રચારક રહ્યા લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પ્રમુખ-પ્રભારી મોટરકાર માં પ્રચાર કરતા હતા ત્યારે હાર્દિકને પ્રચાર માટે હેલિકોપ્ટર ફાળવવામાં આવ્યું હતું.
-સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર્દિકના કહ્યા પ્રમાણે ટિકિટો અપાઈ હતી.વિરમગામ વિધાનસભા માં આવતી ત્રણ તાલુકા અને જિલ્લા પંચાયત બેઠકો હાર્દિકના કહ્યા પ્રમાણે અપાઈ.એમાંથી હાર્દિક એકપણ બેઠક જીતાડી શક્યા ના હતા.આ સિવાય મોરબી વિધાનસભા બાય ઇલેક્શનમાં જવાબદારી અપાઈ પણ પરિણામ ના મળ્યું.
-કાર્યકારી પ્રમુખની કેબિનમાં અત્યારસુધી પ્રવેશ સુધ્ધા ના કર્યો.કોંગ્રેસના તમામ અભિયાન લોન્ચિંગ માં માત્ર ફોટોગ્રાફી માટે જ હાજર રહેતા.અભિયાનને જમીની સ્તર પર લઈ જવા મહેનત નહોતા કરતા
- દરેક રાજકીય પાર્ટીઓ પ્રયત્ન કરતી હોય છે કે તેના મોટા નેતા સાથે એમનો સમાજ પણ પાર્ટી સાથે જોડાય.2019 માં હાર્દિક કોંગ્રેસમાં જોડાયા બાદ પાટીદારોને કોંગ્રેસ સાથે જોડાવા પ્રયત્નશીલ ના રહ્યા.