મહારાષ્ટ્રમાં સાથે મળીને સરકાર ચલાવનાર કોંગ્રેસ અને શિવસેના એકબીજા પર નિવેદનબાજી કરીને આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહી છે જે બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો છે
કોંગ્રેસે શિવસેનાને બરાબરની સંભળાવી
યુપીએની બહારના લોકો અમને સલાહો ન આપે : કોંગ્રેસ
લોકતંત્રના પતન માટે મોદી-શાહ નહીં વિપક્ષી પાર્ટીઑ વધારે જવાબદાર : શિવસેના
કોંગ્રેસ-શિવસેનામાં ખટરાગ ?
શિવસેનાએ ગઇકાલે કોંગ્રેસ અને તેની ગઠબંધનની પાર્ટીઓ પર નિશાન સાધ્યું હતું જે બાદ દેશના રાજકારણમાં તે ચર્ચાનો વિષય બન્યો છે. સામનામાં શિવસેનાએ યુપીએ પર ઘણા બધા આક્ષેપો લગાવ્યા અને સાથે સાથે કોંગ્રેસ સહિતની પાર્ટીઓને નાકામ ગણાવી. જે બાદ હવે કોંગ્રેસ નેતાઑ ભડકી ઉઠયા છે અને કોંગ્રેસ શિવસેના જે સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર ચલાવી રહ્યા છે તે એકબીજા પર નિશાન સાધી રહ્યા છે.
કોંગ્રેસે આપ્યો જવાબ :
મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને કોંગ્રેસ નેતાએ શિવસેનાને સલાહ આપતા કહ્યું કે જે પાર્ટી યુપીએનો ભાગ જ નથી તે યુપીએના નેતૃત્વ અને કોંગ્રેસને સલાહો ન આપે. સાથે જ તેમણે કહ્યું કે શરદ પવારે પોતે જ સ્પષ્ટ કર્યું છે કે તે યુપીએનું નેતૃત્વ કે આગેવાની નહીં કરે.
બહારના લોકો સલાહો ન આપે : કોંગ્રેસ
આ મુદ્દા પર કોંગ્રેસ નેતા નસિમ ખાને પણ શિવસેના પર નિશાન સાધ્યું અને કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ શરતોના આધારે મહારાષ્ટ્રમાં શિવસેનાને સમર્થન આપ્યું છે અને શિવસેના યુપીએનો ભાગ નથી તેથી તેને પોતાના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર નથી. તેમણે કહ્યું કે અત્યારે પાર્ટી ખેડૂતો સાથે કાળા કાયદાઑ સામે લડી રહી છે અને રાહુલ ગાંધી તથા સોનિયા ગાંધી મક્કમતાથી ખેડૂતો સાથે ઊભા છે.
કેમ શરૂ થયો વિવાદ ?
નોંધનીય છે કે શિવસેનાએ સામનામાં UPA અને તેની સહયોગી પાર્ટીઓ પર જોરદાર હુમલો કર્યો હતો. ખેડૂત આંદોલન પર વિપક્ષી પાર્ટીઑ એક ના થઈ શકી તેને લઈને પણ નિશાન સાધવામાં આવ્યું છે. શિવસેનાએ કહ્યું કે ખેડૂત આંદોલનને આજે 30 દિવસ થઈ ગયા છે પણ હજુ સુધી કોઈ સમાધાન આવ્યું નથી કારણ કે સરકાર એવું વિચારે છે કે તેને કોઈ રાજકીય સંકટ નથી. કોઈ પણ લોકતંત્રમાં વિપક્ષની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ હોય છે પણ કોંગ્રેસ મોદી સરકાર પર દબાણ બનાવવામાં નિષ્ફળ નિવિડી છે.
સામનામાં શિવસેનાએ કહ્યું કે કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ એક રાજકીય સંગઠન છે પણ આ યુપીએ એક સેવાભાવિ સંસ્થા (એનજીઓ) જેવુ દેખાઇ રહ્યું છે. કોઈ પણ પાર્ટી આ ખેડૂત આંદોલનને ગંભીરતાથી લેતા નથી દેખાઈ રહ્યા છે અને યુપીએમાં કઈ પાર્ટી શું કરે છે તેને લઈને પણ ભ્રમ પેદા થઈ રહયો છે.
રાહુલ ગાંધી પર્યાપ્ત કામ કરે છે પણ..
સામનામાં લખવામાં આવ્યું કે રાહુલ ગાંધી પર્યાપ્ત કામ કરી રહયા છે પણ તેમના નેતૃત્વમાં કમી છે. કોંગ્રેસને ફૂલટાઈમ અધ્યક્ષની જરૂર છે અને યુપીએમાં ક્ષેત્રીય પાર્ટીઓની વધારે જરૂર છે પણ આવું દેખાઈ નથી રહ્યું. માત્ર શરદ પવાર જ યુપીએમાં દેખાય છે અને તેમની જ સ્વતંત્ર વિચારધારા છે. તેમના અનુભવનો લાભ તો પીએમ મોદી પોતે લે છે. શિવસેનાએ કહ્યું કે યુપીએમાં ગડબડ છે અને વિપક્ષને એક થવા માટે એક નેતૃત્વની જરૂર છે. મમતા બેનર્જી અને રાજ્યોમાં અન્ય નેતાઑ પણ ભાજપ સામે લડાઈ લડી રહ્યા છે પણ આ બધા રાજનેતાઑ યુપીએમાં આવવા માંગતા નથી. હવે શરદ પવાર પ. બંગાળ જઈ રહ્યા છે અને આ જ સમય છે બધી જ વિપક્ષી પાર્ટીઓ એક થઈ જાઓ અને મમતા બેનર્જીને સમર્થન આપો તો જ ભાજપ પર દબાણ ઊભું થશે.
લોકતંત્રના પતન માટે વિરોધીઑ જવાબદાર
શિવસેનાએ કહ્યું કે અત્યારે લોકતંત્રનું તે પતન થઈ રહયું છે તેના માટે ભારતીય જનતા પાર્ટી કે મોદી-શાહ જવાબદાર નથી પણ વિરોધી દળ વધારે જવાબદાર છે. વર્તમાન સ્થિતિમાં સરકારને દોષ આપવાની જગ્યાએ વિરોધીઓએ આત્મચિંતન કરવાની જરૂર છે.