કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે રાજીનામું આપ્યા બાદ યૂથ કોંગ્રેસના અધ્યક્ષ બીવી શ્રીનિવાસે ટ્વિટર પર રાહુલ ગાંધીની વીડિયો ક્લિપ શેર કરી
ગુલામ નબી આઝાદના રાજીનામાં બાદ રાહુલ ગાંધીનો વિડીયો વાયરલ
યૂથ કોંગ્રેસના અધ્યક્ષ બીવી શ્રીનિવાસે વિડીયો ટ્વિટ કરી કહ્યું જે ડરી ગયા તે આઝાદ છે...
રાહુલનો જૂનો વિડીયો વાયરલ, કોંગ્રેસમાં છે અને ડરેલા છે, તેમને બહાર કાઢો, તમારી જરૂર નથી
ગુલામ નબી આઝાદે રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધીનો એક વિડીયો હાલ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સાથે યૂથ કોંગ્રેસના અધ્યક્ષ બીવી શ્રીનિવાસે પણ આ વિડીયો પોતાના ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. "જે લોકો ડરી ગયા છે, તેઓ આઝાદ છે". તે વાક્ય સાથે હાલ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે રાજીનામું આપ્યા બાદ યૂથ કોંગ્રેસના અધ્યક્ષ બીવી શ્રીનિવાસે ટ્વિટર પર રાહુલ ગાંધીની જૂની વીડિયો ક્લિપ શેર કરતા લખ્યું... 'જે લોકો ડરી ગયા છે, તેઓ આઝાદ છે'.
આ વીડિયોમાં રાહુલ ગાંધી કહી રહ્યા છે કે, 'જેઓ ડરતા નથી અને કોંગ્રેસમાં નથી, તેમને અંદર લાવો, જેઓ કોંગ્રેસમાં છે અને ડરેલા છે, તેમને બહાર કાઢો. કોંગ્રેસને તમારી જરૂર નથી, અમને નિર્ભય લોકોની જરૂર છે. તમે RSSમાં જાઓ, દોડો.
કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા તેમના રાજીનામાના પત્રમાં ગુલામ નબી આઝાદે કહ્યું કે, ખૂબ જ અફસોસ અને ખૂબ જ ભાવુક હૃદય સાથે, મેં કોંગ્રેસ સાથે ઘણા વર્ષો જૂના સંબંધો તોડવાનો નિર્ણય કર્યો છે. આઝાદે કહ્યું કે 'ભારત જોડો યાત્રા'ને બદલે 'કોંગ્રેસ જોડો યાત્રા' કાઢવામાં આવે.
રાહુલ ગાંધી સામે પણ કર્યા હતા પ્રહારો
ગુલામ નબી આઝાદે સોનિયા ગાંધીને લખેલા રાજીનામાના પત્રમાં રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. આઝાદે લખ્યું છે કે, તેઓ કોઈપણ સ્વાર્થ વગર ઘણા દાયકાઓ સુધી પાર્ટીની સેવામાં લાગેલા છે. તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, સોનિયા ગાંધીના નેતૃત્વમાં પાર્ટી સારૂ પ્રદર્શન કરી રહી છે, પરંતુ કમનસીબે રાહુલ ગાંધીની પાર્ટીમાં એન્ટ્રી થઈ ત્યારથી તેમણે પાર્ટીમાં વાતચીતની આખી બ્લુપ્રિન્ટને બરબાદ કરી દીધી. તમામ વરિષ્ઠ અને અનુભવી નેતાઓને સાઈડલાઈન કરવામાં આવ્યા હતા.