આજે અમદાવાદમાં યોજાયેલી કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠક દરમિયાન કોંગ્રેસનો સરદાર પ્રેમ જોવા મળ્યો. કોંગ્રેસ નેતાઓએ સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કર્યા. ત્યારે લોકોમાં એવી ચર્ચાઓ થઈ રહી છે કે ચૂંટણી આવતા જ કોંગ્રેસનો સરદાર પ્રેમ અચાનક કેમ જાગી ગયો? જોઈએ આ અહેવાલ.
અમદાવાદમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ. ત્યારે આંખે ઉડીને વળગે તેવી એક મહત્વની બાબતે એ હતી કે કોંગ્રેસના નેતાઓએ દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ફુલ કરવામાં આવ્યા અને તેમનું સન્માન કરવામાં આવ્યું, પરંતુ આ જ કોંગ્રેસના નેતાઓ દ્વારા થોડા દિવસો પહેલા જ ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન ગુજરાત કોંગ્રેસના નેતાઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને ભંગારની પ્રતિમા કહી હતી. ત્યારે અચાનક સરદાર પટેલને આપવામાં આવેલું આ મહત્વ સૂચવે છે કે, કોંગ્રેસ પોતાની આ ભૂલ સુધારી રહી છે. અમદાવાદના શાહીબાગ ખાતે આવેલા સરદાર સ્મારક ખાતે ગાંધી પરિવાર અને હાજર રહેલા તમામ કોંગ્રેસના નેતાઓ દ્વારા સરદારની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા. આ જ દ્રશ્યો લોકોને અનેક સવાલ કરવા મજબૂર કરતા હતા. જાણકારો એવું પણ કહે છે કે, હવે મોડે મોડેથી પણ કોંગ્રેસને બ્રહ્મજ્ઞાન થયું કે સરદારને સન્માન આપ્યા વગર દેશમાં લોકોનો વિશ્વાસ નહિ જીતી શકાય.
સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્યે કોંગ્રેસનું વલણ હંમેશાથી ઓરમાયું રહ્યું છે તેમ કહીએ તો ખોટું નથી. જ્યારે નેહરુ અને સરદારની વાત આવે છે ત્યારે કોંગ્રેસે હમેશા નેહરુને વધારે મહત્વ આપ્યું છે. લોકો અનેકવાર સવાલ કરે છે કે, કોંગ્રેસે સરદારને આગળ કર્યા હોત તો દેશની દિશા કંઈક અલગ હોત. આજે લોકો માની રહ્યા છે કે કોંગ્રેસ સરદાર સાથે અન્યાય કર્યો. બીજી તરફ ભાજપે સરદાર પટેલને પાર્ટીના રોલ મોડેલ માનીને તેમને હંમેશા પોતાની પાર્ટીમાં અને સભામાં કેન્દ્ર સ્થાને રાખ્યા. ત્યારે હવે મોડે મોડેથી પણ કોંગ્રેસને બ્રહ્મજ્ઞાન થયું છે કે, સરદારની અવગણના કરવું હવે તેમને નહીં પોષાય. આ જ કારણ છે કે, કદાચ તમામ કોંગ્રેસી નેતાઓએ આજે સરદાર પટેલને સન્માન આપીને એવો મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે કે અમે પણ સરદાર પટેલનું સન્માન કરીએ છીએ. જો કે પ્રજાના મનમાં એ સવાલ જરૂર ઉઠ્યો છે કે સરદાર પટેલ પ્રત્યે કોંગ્રેસનો ઉભરાયેલો આ પ્રેમ માત્ર ચૂંટણી પુરતો જ છે કે આગળ પણ આ પ્રેમ જળવાઈ રહેશે તે જોવું રહ્યું.