ધારાસભ્ય અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી તમામ પદ પરથી રાજીનામુ આપ્યુ છે. ત્યારે કોંગ્રેસ પણ અલ્પેશની સામે લડી લેવા માટે તૈયાર છે. અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ છીનવા માટે કોંગ્રેસ દ્વારા ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
7 જેટલા વકીલોની ટીમ દ્વારા અલ્પેશનુ ધારાસભ્ય પદ છીનવા માટે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. કોર્ટની અંદર મજબૂત લડાઈ લડવા માટે તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ડ્રાફ્ટને મંજૂરી મળતા કોંગ્રેસ દ્વારા અલ્પેશની વિરૂદ્ધમાં કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે 10 એપ્રિલે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસનાં તમામ પદોથી રાજીનામું આપી દીધું છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને અલ્પેશ ઠાકોરે પત્ર લખીને રાજીનામું આપ્યું છે. સોશિયલ મીડિયાનાં માધ્યમથી અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યું હતું. અલ્પેશ ઠાકોરે ફેસબુકનાં માધ્યમથી પોતાનાં પદનું રાજીનામું આપ્યું હતું.
2022માં ગુજરાતનો નાથ અમે આપીશુંઃ અલ્પેશ
કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસની વિરુધ્ધમાં પ્રચાર પ્રસાર કરવાની શરૂઆત કરી છે. અલ્પેશ ઠાકોરે આજે દિયોદરના કોતરવાડા ગામમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું. અલ્પેશ ઠાકોરે જંગી સભા કરી ઠાકોર સેનાના અપક્ષ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો પ્રચંડ મતદાન કરી તેના માટે મત પણ માંગ્યા હતા. અલ્પેશે કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે ૫૦ સીટો લાવતી પાર્ટી ૮૪ સીટોએ પહોંચી છે. પાર્ટી જોડાયા ત્યારે કહેલું કે તમારા લોકોને અને તમને સન્માન આપીશુ. પરંતુ ધીરે ધીરે અમારી અવગણના સમાજ અને સેના સાથે એક પ્રકારનો વ્યવહાર થવા લાગ્યો. ગરીબો ટીકીટ માંગે ત્યારે તેમને કહેવાય પૈસા છે? ઠાકોર સમાજ ટીકીટ લેવા જાય ત્યારે કહે કે તમારી પાસે સમાજ છે?
અલ્પેશના જવાથી કોઈ ફર્ક નહીં પડેઃ ગેનીબેન
બનાસકાંઠાના વાવના ધારાસભ્ય અને અલ્પેશની નજીકના ગણાતા ગેનીબેન ઠાકોરે અલ્પેશ પર આડકતરી રીતે પ્રહાર કર્યા અને દાવો કર્યો હતો કે, અલ્પેશના જવાથી કોંગ્રેસને કોઈ ફેર નહીં પડે. વીટીવી સાથે વાતચીતમાં ગેનીબેને પોતે કોંગ્રેસમાં રહીને કામ કરવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે અલ્પેશ ઠાકોરના જવાતી કોંગ્રેસને કોઈ ફરક નહીં પડે. બનાસકાંઠાને કોંગ્રેસે ઘણું આપ્યું છે. અલ્પેશ ઠાકોરને મહત્વના હોદ્દાઓ પર સ્થાન આપ્યું છે. તેમ છતાં તેમને શું ઓછું પડ્યું તે ખ્યાલ નથી.