રાહુલ ગાંધી આજે અમદાવાદમાં મેટ્રો કોર્ટમાં હાજર થયા હતા. ઘીકાંટા મેટ્રો કોર્ટમાં મેજિસ્ટ્રેટ એમ.બી.મુનશી સામે તેમની જુબાની લેવામાં આવી હતી. જેમાં રાહુલ ગાંધીએ દોષિત ન હોવાનું કહ્યું હતું. જો કે, કોર્ટ કાર્યવાહીને અંતે રાહુલ ગાંધીએ જામીન માટે અરજી કરી હતી. આથી જજે રૂપિયા 15 હજારના બોન્ડ પર રાહુલ ગાંધીને જામીન આપ્યા હતા. અમિત ચાવડા જામીનદાર બન્યા હતા. વધુ સુનાવણી 7 સપ્ટેમ્બરે હાથ ધરાશે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે માનહાની કેસમાં અમદાવાદ કોર્ટમાં હાજર થયા હતા. ત્યા જામીન મળ્યા બાદ રાહુલ ગાંધીએ સર્કીટ હાઉસમાં કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓ સાથે બેઠક કરી હતી.
આ બેઠક બાદ રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, અમે સત્યની લડાઈ લડી રહ્યા છીએ. હું કોઈથી ડરતો નથી. ભાજપ પાસે પાવર છે તેનો તે ઉપયોગ કરી રહ્યાં છે. ભાજપ પૈસા અને પાવરનો ખોટો ઉપયોગ કરે છે. ભ્રષ્ટાચાર સામે લડાઈ લડી રહ્યો છું. મને દબાવવા, ડરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
ગોવા અને કર્ણાટક સરકાર પર સંકટ મામલે રાહુલએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, સત્યથી કોંગ્રેસ વધારે મજબૂત બનશે. ભાજપ પૈસા અને પાવરનો ખોટો ઉપયોગ કરી રહી છે.
કોંગી ધારાસભ્યો સાથે મુલાકાત બાદ રાહુલ ગાંધી દિલ્હી જવા રવાના થયા હતા. મહત્વનું છે કે, મેટ્રો કોર્ટમાં રાહુલ ગાંધીની સાથે પરેશ ધાનાણી, અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ, અર્જૂન મોઢવાડિયા, રાજીવ સાતવ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. કોર્ટમાં હાજર થયા પહેલા રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું.
I'm in Ahmedabad today, to appear in another case filed against me by my political opponents in the RSS/ BJP.
I thank them for providing me these platforms & opportunities to take my ideological battle against them to the public.
મહત્વનું છે કે એડીસી બેંકે કરેલા રાહુલ ગાંધી સામેના માનહાનિના કેસમાં ગઈ 27 મેએ રાહુલ ગાંધી મેટ્રો કોર્ટમાં હાજર ન રહેતા સુનાવણી ટળી હતી. નોટબંધી સમયે પ્રેસ-કોન્ફરન્સ કરી રાહુલ ગાંધીએ રૂ. 745 કરોડ બ્લેકના વ્હાઈટ કરાયા હોવાનો આરોપ લગાવ્યો હતો. જેની સામે એડીસી બેંકના ડિરેક્ટરે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ અમદાવાદની મેટ્રો કોર્ટમાં કર્યો હતો.