શનિવારે નવી દિલ્હીમાં કોંગ્રેસના અસંતુષ્ટ નેતાઓ સાથે 10 જનપથમાં બેઠક બાદ કોંગ્રેસે ચાર મોટા રાજ્યોમાં સંગઠનમાં ફેરફારની શરૂઆત કરી દીધી છે
સોનિયા ગાંધી હવે એક્શનમાં, ધરખમ ફેરફારના એંધાણ
ગુજરાત સહીત ચાર રાજ્યોમાં થઇ શકે છે મોટા ફેરફાર
અમિત ચાવડાની જેમ તેલંગાણાના પ્રદેશ અધ્યક્ષે આપી દીધું રાજીનામું
કોંગ્રેસમાં મોટા ફેરફારના એંધાણ
શનિવારે 10 જનપથમાં કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ-પ્રિયંકા ગાંધી સાથે પાર્ટીનાં નેતાઓ સાથે મહત્વની બેઠક કરવામાં અવી છે અને 10 દીવા ની શ્રુંખલામાં આ બેઠક કરવામાં આવનાર છે જેનો કાલે પહેલો દિવસ હતો. આ બેઠકમાં અશોક ગેહલોત, ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, બીએસ હૂડા, અંબિકા સોની અને પી ચિદમ્બરમ જેવા દિગ્ગજ નેતાઓ સામેલ થયા હતા જેમાં નવા અધ્યક્ષની સાથે સાથે રાજ્યોની કોંગ્રેસમાં પણ શું ફેરફાર કરવા તેને લઇને ચર્ચા કરવામાં આવી હતી જે બાદ કોંગ્રેસ જાણે હવે ફેરફાર કરવાની શરૂઆત કરી દીધી છે તેવું લાગી રહ્યું છે અને આવનાર સમયમાં માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસમાં નીચેથી લઈને ઉપર સુધી મોટા ફેરફાર કરવામાં આવશે.
કયા રાજ્યોમાં થશે ફેરફાર
ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટીમાં બદલાવ કરવા માટે માંગ ઉઠી રહી છે ત્યારે હવે ગુજરાત, તેલંગાણા, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં બદલાવ કરવાની શરૂઆત કરવામાં આવી છે. આ જ ક્રમમાં તેલંગાણાનાં કોંગ્રેસ અધ્યક્ષ ઉત્તમ કુમાર રેડ્ડીએ રાજીનામું સોંપી દીધું છે.
ગુજરાતમાં ફેરવાશે સંગઠનનું માળખું
ગુજરાતમાં પણ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ રાજીનામું સોંપ્યું છે, ગુજરાતમાં પેટાચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શનની જવાબદારી પોતાના માથે લેતા અમિત ચાવડાની સાથે સાથે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યું છે ત્યારે હવે ગુજરાતના સંગઠનમાં મોટા ફેરફારનાં એંધાણ દેખાઈ રહ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીની હાજરીમાં સોનિયા ગાંધી સાથે ચર્ચા કર્યા બાદ સૂત્રો તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે કોંગ્રેસ હવે પાર્ટીમાં ધરખમ ફેરફાર કરવા જઈ રહી છે.
કમલનાથ સામે પણ વધી રહ્યું છે દબાણ
ગુજરાત સિવાય મધ્ય પ્રદેશમાં પણ પાર્ટીએ ખૂબ ખરાબ પ્રદર્શન કર્યું હતું ત્યારે મધ્ય પ્રદેશનાં પ્રદેશ અધ્યક્ષ કમલનાથ પર પણ રાજીનામાનું દબાણ વધી રહ્યું છે. તેઓ પોતે આ બેઠકમાં હાજર રહ્યા હતા અને થોડા દિવસ પહેલા જ તેમણે કહ્યું હતું કે હવે તેમને આરામની જરુર છે.
મુંબઈ, અસમ જેવી જગ્યાઓ પર નવનિયુક્તિની થઇ ગઈ શરૂઆત
શનિવારે બેઠક બાદ મુંબઈની કોંગ્રેસ કમિટીમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. દોઢ વર્ષ બાદ અશોક અર્જુનરાવ જગતાપને મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા છે. પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ અસમ અને કેરળમાં ત્રણ ત્રણ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના સચિવ નિયુક્ત કર્યા છે જ્યાં આવતા વર્ષે ચૂંટણી થવાની છે. જીતેન્દ્ર સિંહને અસમ અને તારીક અનવરને કેરળના પ્રભારી બનાવવામાં આવ્યા છે.