બજેટ સત્રના બીજા ચરણના પહેલા દિવસે સોમવારે સંસદમાં દિલ્હી હિંસાનો મુદ્દો ઉઠ્યો. રાહુલ ગાંધી, અધીર રંજન ચૌધરી, શશિ થરૂર સહિત કોંગ્રેસી સાંસદોએ દિલ્હી હિંસાને લઇને સંસદ પરિસરમાં ગાંધી પ્રતિમાની સામે વિરોધ પ્રદર્શન કર્યું. પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસી સાંસદોએ ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી છે.
બજેટ સત્રના બીજા ચરણના પહેલા દિવસે સોમવારે સંસદમાં દિલ્હી હિંસાનો મુદ્દો ઉઠ્યો
પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસી સાંસદોએ ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી
અમે રાષ્ટ્રપતિને અપીલ કરી કે તેઓ પોતાની શક્તિનો ઉપયોગ કરીને 'રાજધર્મ' ની રક્ષા કરે : ડૉ. મનમોહન સિંહ
કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સાંસદોએ ગાંધી પ્રતિમાની પાસે અલગ-અલગ જગ્યાએ પ્રદર્શન કર્યું. નાગરિકતા સંશોધન કાયદો (CAA)ને લઇને ઉત્તર પૂર્વી દિલ્હીમાં થયેલી હિંસા દરમિયાન 46 લોકોના મોત થયા છે જ્યારે સેંકડો લોકો ઘાયલ છે. બજેટ સત્રનું બીજુ ચરણ 3 એપ્રિલ સુધી ચાલશે.
જ્યારે દિલ્હીમાં હિંસાના મુદ્દા પર વિપક્ષી પાર્ટીઓના પ્રદર્શન બાદ રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી. લોકસભાની કાર્યવાહી પણ 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. કોંગ્રેસ સહિત તૃણમુલ કોંગ્રેસ, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, ડીએમકે સહિત અન્ય પાર્ટીઓએ દિલ્હી હિંસાના મુદ્દા પર લોકોસભામાં સ્થગન પ્રસ્તાવ નોટિસ ફટકારી છે.
આ પહેલા દિલ્હી હિંસા મામલામાં કોંગ્રેસની અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ પીએમ મનમોહન સિંહ સહિત કોંગ્રે્સના ઘણા વરિષ્ઠ નેતાઓએ રાષ્ટ્રપતિ કોવિંદને મેમોરેન્ડમ સોંપીને વિરોધ નોંધાવ્યો હતો. રાષ્ટ્રપતિને મેમોરેન્ડમ સોંપ્યા બાદ સોનિયા ગાંધીએ કહ્યું કે અમે નાગરિકોના જીવન, આઝાદી અને સંપત્તિને સુરક્ષિત કરવાની માંગ કરી છે. તેની સાથે માંગ કરી એ છીએ કે ગૃહ મંત્રીને હિંસા કાબુ ન કરી શકવા બદલ પદ પરથી હટાવી દેવામાં આવે.
આ દરમિયાન પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહે કહ્યું, અમે રાષ્ટ્રપતિને અપીલ કરી છે કે તેઓ પોતાની શક્તિનો ઉપયોગ કરીને 'રાજધર્મ' ની રક્ષા કરે. મનમોહન સિંહે કહ્યું કે રાષ્ટ્રપતિને મળીને ગત ચાર દિવસોમાં દિલ્હીમાં જે કંઇપણ થયું તેના પર ચિંતા દર્શાવી છે. અને એ શરમજનક વાત છે કે 34 લોકોના મોત અને 200 લોકો ઘાયલ થઇ ગયા છે. આ દર્શાવે છે કે સરકાર કેવી રીતે અસફળ રહી છે.