ઉત્તરપ્રદેશના હાથરસમાં ગેંગરેપ અને રાહુલ ગાંધીની અટકાયત બાદ દેશભરમાં કોંગ્રેસના કાર્યકરો આક્રમક બન્યા છે. ત્યારે અમદાવાદમાં પણ કોંગ્રેસ દ્વારા પ્રતિકાર યાત્રા કઢાઇ હતી. કોંગ્રેસ કાર્યાલયથી કોચરબ આશ્રમ સુધી પ્રતિકાર યાત્રાનું આયોજન કરાયું હતું. પરંતુ પોલીસ દ્વારા યોજાયેલી આ યાત્રાને રસ્તામાં જ અટકાવાઇ હતી. જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિત 200થી વધુ નેતાઓ-કાર્યકરતાઓની અટકાયત કરાઇ હતી.
અમદાવાદમાં કોંગ્રેસની પ્રતિકાર યાત્રા અટકાવાઇ
200થી વધુ નેતાઓ-કાર્યકર્તાઓની અટકાયત
અટકાયત બાદ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષની પ્રતિક્રિયા
અમદાવાદમાં કોંગ્રેસની પ્રતિકાર યાત્રા અટકાવાઇ હતી. જેમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસની ચૂક સામે આવી છે. એલિસબ્રીજ ચાર રસ્તા પાસે અટકાયત કરાયેલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પોલીસવાનમાંથી ઉતરી ગયા હતા. મહત્વનું છે કે, ટ્રાફિકજામ હોવાથી પોલીસવાન ઉભી રાખી હતી અને આ પોલીસવાન ઉભી રહેતા અમિત ચાવડા ઉતરી ગયા હતા. આ દરમિયાન સમર્થકો સાથે અમિત ચાવડા રસ્તા પર બેસી ગયા હતા. જોકે તેમની ફરી અટકાયત કરીને તમામ નેતાઓને પોલીસ હેડક્વાર્ટર લવાયા હતા. મહત્વનું છે કે, મંજૂરી વગર રેલી કાઢી હોવાથી અટકાયત કરવામાં આવી છે.
હાર્દિક પટેલ, અમિત ચાવડા અને જિગ્નેશ મેવાણી સહિત વિપક્ષના મોટા નેતાઓની અટકાયત
અમિત ચાવડાની અટકાયત કરવામાં આવી છે. તો હાર્દિક પટેલની તેમના નિવાસ સ્થાનેથી અટકાયત કરી લેવામાં આવી હતી. જિગ્નેશ મેવાણીની પણ અટકાયત કરાઈ છે. MLA ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને નજરકેદ કરાયા છે. રેલીમાં આવવા નીકળે એ પહેલા જ પોલીસ ઘરે પહોંચી હતી. શૈલેષ પરમાર, નૌશાદ સોલંકી અને જિગ્નેશ મેવાણીની પણ અટકાયત કરાઈ છે. કોચરબ આશ્રમ પહોંચેલી 3 મહિલા કાર્યકરોની પણ અટકાયત થઈ છે.
અટકાયત બાદ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષની પ્રતિક્રિયા
ભાજપ સરકાર પર અમિત ચાવડાએ પ્રહાર કરતા કહ્યું કે, ભારતની દિકરી સાથે બનેલી ઘટના દુઃખદ છે. સરકારે બળાત્કારીઓને બચાવવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાતમાં પણ આવી ઘટનાઓ બને છે. પીડિતોના ન્યાય માટે અમે રેલી યોજી હતી.
તો પોલીસ પર પણ અમિત ચાવડાએ ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. ચાવડાએ કહ્યું કે,અમારી મહિલા કાર્યકરોની પોલીસે છેડતી કરી છે. અત્યાચાર કરીને પોલીસે અમારી રેલી રોકી છે. પોલીસની જવાબદારી કાયદો વ્યવસ્થા જાળવવાની છે.
કોંગ્રેસ અગાઉ અંગ્રેજો સામે લડી હવે સરકાર સામે લડવાનું છેઃ અમિત ચાવડા
આ અગાઉ રાહુલ ગાંધીની અટકાયત મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ યોગી સરકારને આડેહાથ લીધી હતી. અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, UPમાં દલિત દિકરી પર અત્યાચાર કરવામાં આવ્યો છે. દિકરીના મૃત્યુ પર પરિવારને કોઇ મદદ પણ કરવામાં ન આવી અને એ દિકરીના પરિવારને અંતિમ સંસ્કાર પણ દેવામાં ન આવ્યા. આવામાં રાહુલ ગાંધી પરિવારને મળવા ગયા તો તેમની સાથે ગેરવર્તણૂંક કરવામાં આવી. રાહુલ ગાંધી પરિવારને મળવા જતા રોકવામાં આવ્યા. આ કોઇ રાજકીય કાર્યક્રમ કે પ્રવાસ નહતો. પીડિત પરિવારને સાંત્વના આપવા જઇ રહ્યા હતા. તેમ છતા સરકાર આ બાબતને કેમ દબાવવા માટેના પ્રયાસ કરી રહી છે. ભાજપ સરકાર સરમુખત્યારશાહી ચલાવી રહી છે. કોંગ્રેસ અગાઉ અંગ્રેજો સામે લડી હવે સરકાર સામે લડવાનું છે.. કારણ કે, સરકારને પોતાની ચિંતા છે દિકરીઓની નથી..