રાજ્યમાં નવા ટ્રાફિક નિયમો અમલી બનવા આડે હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે અને ટ્રાફિક વિભાગ નવા કાયદાનો સખતાઈ પૂર્વક અમલ કરાવવા માટે તૈયારી કરી રહ્યો છે. ત્યારે રાજકોટ કોંગ્રેસ અને સ્થાનિક નાગરિકો સરકારને જવાબદારી યાદ કરાવવા માટે રોડ પર ઉતરી આવ્યા હતા. લોકોનો આક્ષેપ છે કે, નાગરિકો પાસેથી દંડ વસૂલવામાં તંત્ર સુગમ રસ્તાઓની સેવા આપવામાં બેદરકારી પૂર્વક વર્તી રહ્યું છે.
નવા ટ્રાફિક નિયમોનો વિરોધ
નાગરિકોએ રસ્તા પર આવી કર્યો ચક્કાજામ
કોંગ્રેસ દ્વારા હવન યોજી કરાયો વિરોધ
રાજકોટ શહેર આમ તો રંગીલું શહેર કહેવામાં આવે છે. પરંતુ આ શહેરના નાગરિકો જ્યારે મિજાજ ગુમાવે છે ત્યારે આ રીતે રોડ પર આવીને પોતાનો રોષ પણ જગજાહેર કરી શકે છે. રાજકોટ શહેરના નાગરિકોએ રોડ પર આવી ને ચક્કાજામ સર્જી દીધો હતો. તેઓ આ જે કોનું સાંભળવા માગતા નથી. નહીં પોલીસનું કે નહીં સરકારનું કે નહીં તંત્રનું કેમકે આજે તેમને પોતાની વાત રજૂ કરવી છે. આ શહેરના નાગરિકો સરકારના નવા ટ્રાફિક નિયમો પાળવા તૈયાર છે. પરંતુ તેમની એક શરત છે. શહેરના નાગરિકોને સારા રોડ રસ્તા જોઈએ છે.
કોંગ્રેસ દ્વારા હવન યોજી કરાયો વિરોધ
કેમ કે સ્માર્ટસીટીના સપના જોતી આ નગરીના ઊબડખાબડ રોડે આજ સુધીમાં અનેક લોકોના જીવ લઈ લીધા છે અને સરકાર જાણે ઘા પર મીઠું ભભરાતી હોય તેમ નવા ટ્રાફિક નિયમોના કોરાડ વીંઝવાની તૈયારી કરી રહી છે. સરકારની આ નીતિના વિરોધમાં અને મ્યુનિસિપલ તંત્રને જવાબદારી યાદ કરાવવા રાજકોટ શહેર કોંગ્રેસ રોડ પર જ હવન આદર્યો હતો. જેમાં શહેરના આમ નાગરિકો સ્વયંભૂ ઊમટી પડયા હતા.
નાગરિકોને કરવો પડે છે હાલાકીનો સામનો
રાજકોટ શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે કેન્દ્ર સરકારે કરોડો રૂપિયા ફાળવી આપ્યા છે. પરંતુ શહેરને શુશોભિત કરનારા વિકાસકાર્યો બાદ કરતાં પાયાની જરૂરિયાત એવા રોડ રસ્તા અને ડ્રેનેજના કામ થયા નથી. જેના કારણે શહેરના સામાન્ય નાગરિકોને રોજ બરોજની જિંદગીમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ પર વાહનોનો અકસ્માત થાય તો નાગરિકોનો વાંક કાઢવામાં આવે છે પરંતુ રોડની આવી દુર્દશા માટે તંત્રની જવાબદારી ફિક્સ કરવામાં આવતી નથી.
સ્માર્ટસીટીને કેમેરાથી કરાયું છે સજ્જ પરંતુ રોડ પરના ખાડાને લઇ તંત્રના આંખ આડા કાન
નિયમ તોડનારા વાહનોને કેદ કરવા સીસીટીવી કેમેરાથી શહેરને સજ્જ કરાયું છે પરંતુ તંત્રને નરીઆંખે રોડપરના ખાડા દેખાતા નથી. તંત્રની આવી બેધારી નીતિના વિરોધમાં રાજકોટવાસીઓ રોડ પર ઉતરી આવ્યા હતા અને તેમણે રાજકોટ મનપાના સત્તાધીશો સામે હૈયાબળાપો ઠાલવ્યો હતો.
જનતાના વિરોધને પગલે તંત્ર થયું દોડતું
રાજકોટ શહેરના બિસમાર રસ્તાઓની ફજેતી કરવા કોંગ્રેસ રોડ પર ઉતરી આવી તો શહેરીજનો તેમના સમર્થનમા આપોઆપ રોડ પર ઊમટી પડયા. કોંગ્રસના નેતાઓએ રોડ પર હવન આદર્યો તો નાગરિકોએ રોડ પર હોબાળો મચાવ્યો અને રોડ બ્લોક કરી દીધો. જો કે સ્થિતિનો તાગ પામી ગયેલા સત્તાધીશોએ તરત પોલીસ દોડતી કરી અને રોડ પરથી નાગરિકોને હટાવવાનું અભિયાન આદર્યું.
આ દરમિયાન પોલીસ, સ્થાનિકલોકો અને કોંગીનેતાઓ વચ્ચે ઝપાઝપી પણ સર્જાઈ. તો કેટલાક નેતાઓને ટીંગાટોળી કરી વાનમાં બેસાડવામાં આવ્યા. પરંતુ નવાઈની વાત એ રહી કે આ દરમિયાન રોડખાતાના કોઈ જવાબદારી અધિકારી સ્થળ પર આવ્યા નહીં. પોલીસને જ્યારે આ બાબતનો સવાલ કરવામાં આવ્યો તો તો તેમણે પણ ચાલતી પકડી.
હવે ટ્રાફિક નિયમો તોડનારા પર બે દિવસ બાદ કાયદાનો કોરડો વિંઝાય તે દ્રશ્યો જોવા મળશે. પરંતુ નાગરિકો એ દ્રશ્યો જોવા માગે છે ખરાબ રોડ રસ્તા માટે જવાબદાર તંત્ર પર નિયમોનો કોરડો ક્યારે વિંઝાશે. જો સરકાર પારદર્શિતાના દાવા કરતી હોય તો તેમણે એ દ્રશ્યો પર નાગરિકોને દેખાડવા જોઈએ. .