જ્યારથી લોકસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે ત્યારથી જામનગરના રાજકારણમાં દર સપ્તાહે નવા સમીકરણ સામે આવી રહ્યા છે. વધુ એક વખત રવિન્દ્ર જાડેજાનો પરિવાર રાજકારણને લઈને ચર્ચામાં આવ્યો છે.
કોંગ્રેસમાં જોડાયાના બીજા જ દિવસે નયનાબા જાડેજાને પ્રમોશન મળ્યું છે. કોંગ્રેસ દ્વારા નયનાબા જાડેજાને પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી બનાવવામાં આવ્યા છે.
જોકે નયાનાબા અને તેમના પિતા કોંગ્રેસમાં જોડાયા હતા. જ્યારે તેમના ભાઈ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ ભાજપને સમર્થન જાહેર કર્યુ હતું. રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા ભાજપમાં જોડાયા હતા.
જાડેજાના પરિવાર પર કેમ નજર ?
જામનગર ધારાસભ્ય હકુભા જાડેજાને મંત્રી મંડળમાં સમાવી લેવાથી અને દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના ક્ષત્રિય સમાજના નેતાઓને ભાજપાએ અંકે કરી. ક્ષત્રિય સમાજની વોટ બેંક મજબૂત બનાવી છે. ત્યારે કોંગ્રેસે આજે રવિન્દ્ર જાડેજાના બેન નૈનાબા અને પિતા અનિરુદ્ધસિંહને સમાવી ક્ષત્રિય સમાજના મતોનું ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસને વિશ્વાસ હશે આમ કરવાથી ક્ષત્રિય મતદારો આકર્ષાઈ જશે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન અને પિતા કોંગ્રેસમાં જોડાયા હતા. રવિન્દ્ર જાડેજા પિતા અનિરૂદ્ધ જાડેજા અને બહેન નયનબા કોંગ્રેસમાં જોડાયા હતા.