ઉત્તરપ્રદેશની મુલાકાતના છેલ્લા દિવસે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. પીએમ મોદી પર કટાક્ષ કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, આ એ જ છે કે જેઓ પાકિસ્તાનમાં બિરયાની ખાવા માટે ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી 2015માં પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા. 2004 બાદ પહેલીવાર કોઈ ભારતીય નેતાએ પાકિસ્તાનની મુલાકાત કરી હતી. પીએમ મોદી ત્યારે તાત્કાલિન વડાપ્રધાન નવાજ શરીફની પૌત્રીના લગ્નમાં ગયા હતા. આ અંગે પ્રિયંકા ગાંધીએ કટાક્ષ કર્યો હતો.
પ્રિયંકા ગાંધીએ એવું પણ કહ્યું કે, પીએમ મોદી પોતાના પાંચ વર્ષના કાર્યકાળમાં વારાણસીના એક પણ ગામમાં ગયા નથી. વિશ્વભરના નેતાઓને પીએમ મોદી ગળે લગાવે છે પણ પોતાના જ સંસદીય વિસ્તારના લોકોને ગળે મળતા જોયા નથી. મેં ખુદ પોતે વારાણસીમાં જોયુ કે વિકાસ થયો છે કે નહીં પણ મને કંઈ હાથે લાગ્યુ નહીં. પીએમ મોદી પોતાના વાયદા પર જવાબ આપે.