લોકસભા ચૂંટણીને હવે માત્ર એક સપ્તાહ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે અમરેલી લોકસભા બેઠક ભાવનગર બેઠક માટે ચૂંટણી પ્રચાર કરશે. સાથે જ રાહુલ ગાધી અમરેલીના રાજુલા-જેસર હાઈ-વે પર એક સભા સંબોધશે.
જેમાં ભાવનગર, જૂનાગઢ અને અમરેલીના ઉમેદવારો માટે આ સભા સંબોધશે. આ મંચ પરથી રાહુલ ગાંધી ભારતીય જનતા પાર્ટી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ચાબખા પણ મારી શકે છે.
ભાવનગરના મહુવામાં રાહુલ ગાંધી સંબોધશે સભા
ભાવનગરના મહુવામાં રાહુલ ગાંધી સભાને સંબોધશે. થોડીવારમાં સભાસ્થળે રાહુલ ગાંધી પહોચશે. સભાસ્થળે અમિત ચાવડા, પરેશ ધાનાણી, હાર્દિક પટેલ, સિદ્ધાર્થ પટેલ, કનુ કળસરીયા સહિત શક્તિસિંહ ગોહેલ પણ પહોચ્યા છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના મોટા ભાગના ધારાસભ્યો પણ હાજર રહ્યાં છે. તેમજ મોટી સંખ્યામાં લોકો સભામાં પહોચ્યા છે.
મહત્વનું છે કે અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસે પરેશ ધાનાણીને ટિકિટ આપી છે. પરેશ ધાનાણી 2017માં વિધાનસભા ચૂંટણીમાં અમરેલી બેઠક પરથી ચૂંટાયા હતા. ધારાસભ્ય બન્યા હતા. તો કોંગ્રેસે તેમને વિપક્ષના નેતા પણ બનાવ્યા હતા. ત્યારે હવે તે લોકસભા ચૂંટણી પણ લડવા જઈ રહ્યા છે. 2017ની ચૂંટણીમાં ભાજપને અમરેલીમાંથી એક પણ બેઠક હાથ નહોતી લાગી. તે સમયે પાટીદાર સમાજમાં ભાજપ પ્રત્યે રોષ હતો. તો કોંગ્રેસે અમરેલીની પાંચેય બેઠકો કબજે કરી લીધી હતી. ત્યારે હવે લોકસભા ચૂંટણીમાં પણ ભાજપ અને કોંગ્રેસ માટે આ બેઠક તેટલી જ મહત્વની છે. કારણ કે કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી મેદાનમાં છે. તો ભાજપમાંથી નારણ કાછડિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પાટીદાર પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર બન્ને પાટીદાર નેતાઓ મેદાને છે. ત્યારે કોંગ્રેસ અમરેલી લોકસભા બેઠક ભાજપના હાથમાં જવા દેવા નથી માગતું. 2014માં થયેલી લોકસભામાં ભાજપે ગુજરાતની તમામ બેઠક એટલે કે 26 બેઠક પર વિજય મેળવ્યો હતો.
જોકે આ વખતે કોંગ્રેસ ભાજપને ગુજરાતમાં ફટકો આપી શકે છે. પાટીદાર ફેક્ટરના કારણે અને ભાજપથી નારાજ ચાલી રહેલા પાટીદારો 2017 વિધાનસભાની જેમ લોકસભામાં પણ ભાજપને ચોંકાવી શકે છે.