લોકસભા ચૂંટણીમાં કરુણ રકાસ બાદ કોંગ્રેસમાં રાબેતા મુજબ રાજીનામાં આપવાનું નાટક શરૂ થઇ ગયું છે. આ નાટકના નાયક તરીકે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાનું રાજીનામું આપવાનો પ્રસ્તાવ કોંગ્રેસ કારોબારી સમિતિમાં મૂકીને એક મોટો તમાશો કર્યો છે.
રાહુલ ગાંધી રાજીનામું આપવા મક્કમ છે એવી વાતો વહેતી કરીને કોંગ્રેસે પણ તેમનાં નાટકને આગળ ધપાવ્યું છે. ત્યાર બાદ રાહુલ ગાંધીનાં રીસામણાં અને મનામણાં શરૂ થઇ ગયાં છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીનામું આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યા બાદ અને તેને વળગી રહેવા મક્કમ હોવાનું નાટક કર્યા બાદ પ્રિયંકા ગાંધી, રણદીવ સૂૂરજેવાલા, અહેમદ પટેલ, સચીન પાઇલટ જેવા નેતાઓ રાહુલને મનાવવા દોડી ગયા હતા. રાહુલને મનાવવા માટે આ નેતાઓએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. ત્યાર બાદ રાહુલ ગાંધી કેટલીક શરતો સાથે કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચાલુ રહેશે. એવી વાતો વહેતી કરવામાં આવી હતી.
કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી, નેતા રણદીપ સૂરજેવાલા તેમને મળવા ગયાં હતાં અને અધ્યક્ષપદે ચાલુ રહેવા સમજાવ્યા હતા. વરિષ્ઠ નેતા અહેમદ પટેલે પણ રાહુલ ગાંધીને સમજાવ્યા હતા. આ બેઠક બાદ સંમતિ સધાઇ છે એવું કોંગ્રેસ વર્તુળો દ્વારા જણાવાયું હતું. અહેવાલો અનુસાર રાહુલ ગાંધીને કોંગ્રેસના અધ્યક્ષપદે ચાલુ રહેવા સિવાય છૂટકો જ નથી, કારણે કોંગ્રેસ પાસે રાહુલ ગાંધીનો કોઇ વિકલ્પ જ નથી.
કોંગ્રેસનું અધ્યક્ષપદ સંભાળે એવા કોઇ સ્વીકાર્ય કોંગ્રેસી નેતા જ નથી અનેે તેથી કોંગ્રેસને રાહુલ ગાંધીનું પડયું પાનું નિભાવ્યા સિવાય આમ પણ કોઇ વિકલ્પ નથી અને તેથી રાહુલ ગાંધીને સમજાવવા-મનાવવાનું માત્ર નાટક ચાલી રહ્યું છે. હવે રાહુલ ગાંધીને એવું પણ જણાવાયું છે કે તેઓ અધ્યક્ષ તરીકે પક્ષમાં પોતાની મરજી મુજબ બદલાવ કરી શકે છે. આમ રાહુલ ગાંધીને પક્ષમાં ફેરફાર કરવા માટે છૂટો દોર આપવામાં આવશે ત્યાર બાદ રાહુલ ગાંધી નરમ પડયા હતા એવું કોંગ્રેસ સૂત્રો કહે છે.
કોંગ્રેસમાં માત્ર રાહુલ ગાંધી જ નહીં, પરંતુ ધરમૂળથી ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી છે. લોકસભાની છેલ્લી બે ચૂંટણીનાં પરિણામો બાદ કોંગ્રેસમાં ધરમૂળથી ફેરફારની અનિવાર્યતા સર્જાઈ હતી. આમાં બે બાબત થઈ શકે. ઉચ્ચ નેતાગીરી ખરા દિલથી રાજીનામું આપીને નિર્ણયને મક્કમપણે વળગી રહે, કાં અન્ય નેતાઓ દૃઢતાપૂર્વક નિષ્ફળ સેનાપતિઓને હટાવે. અત્યાર સુધીનો ઈતિહાસ જોતા કોંગ્રેસને ગાંધી પરિવાર સિવાય કોઇ બીજું દેખાતું નથી.
જે જૂના નેતા સમયથી ઘણા પાછળ રહી ગયા હોય તેમને કોંગ્રેસે માનપૂર્વક આરામ આપવામાં શરમ ન અનુભવવી જોઈએ. જો ભાજપ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા ધૂરંધરોને નિવૃત્ત કરી શકે તો કોંગ્રેસ કેમ એવું ન કરી શકે? કોંગ્રેસ ખરા અર્થમાં આત્મ-નિરીક્ષણ કરે તો પક્ષને નવપલ્લવિત કરવાનું અશક્ય નથી જ.
કોંગ્રેસે પોતાના માટે કે સત્તા માટે નહિ, તો લોકશાહીની તંદુરસ્તી માટે પણ સુચારું પગલાં ભરવાનું જરૂરી બની ગયું છે. ભવ્ય ભૂતકાળ ધરાવતા કોંગ્રેસ પક્ષ માટે નવો ઈતિહાસ રચવાની શક્યતા આવી પડી છે પણ ભૂતકાળના અનુભવો અને વર્તમાન ઉચ્ચારણોથી હવે કોંગ્રેસ પાસે ઝાઝી આશા રાખી શકાય તેમ નથી.
કોંગ્રેસની ગળથૂથીમાં વળવાના ડી.એન.એ. બહુ ઓછા છે. ભૂતકાળમાં પક્ષના ભાગલા થયા છે પણ છેવટે તો ગાંધી પરિવારવાળા ફિરકા કે પક્ષનો હાથ ઊંચો રહ્યો છે. કમનસીબે કોંગ્રેસીઓને ગાંધી-નેહરુ પરિવાર સિવાય ક્યાંય પોતાનો ઉદ્ધાર દેખાતો નથી. નેહરુ, ઈન્દિરા, રાજીવ, સોનિયા અને રાહુલ. લેટેસ્ટ એન્ટ્રી મારી પ્રિયંકાએ.
પ્રિયંકા ગાંધી પણ આ ચૂંટણીમાં નિષ્ફળ પુરવાર થઇ છે. આ સંજોગોમાં હવે કોંગ્રેસે ગાંધી પરિવાર સાથે છેડો ફાડી નાખવા ગંભીરપણે વિચારીને આત્મમંથન કરવાની જરૂર છે. અન્યથા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર ભારતને કોંગ્રેસ મુકત કરીને જ જંપશે.