લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય બાદ તેના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાનું રાજીનામું આપી દીધું હતું, પરંતુ કોંગ્રેસીઓ તેમના રાજીનામાનો સ્વીકાર કરવા ધરાર ઇનકાર કરી રહ્યા છે. તો બીજી બાજુ રાહુલ ગાંધી પોતાનું રાજીનામું આપવા મક્કમ છે અને તેમણે એકાદ મહિનામાં પોતાનો વિકલ્પ શોધી લેવા કોંગ્રેસને મહેતલ આપી છે.
કોંગ્રેસની પોતાના ઇતિહાસમાં અત્યાર સુધી કયારેય નહોતી એવી તેની કફોડી હાલત છે. એમાંય સ્મૃતિ ઇરાનીએ કોંગ્રેસની પરંપરાગત બેઠક અમેઠીમાં રાહુલ ગાંધીને પ્રચંડ પરાજય આપીને જાણે કોંગ્રેસનું અસ્તિત્વ મિટાવી દીધું છે. એટલું જ નહીં ભાજપે હવે સોનિયા ગાંધીની બેઠક રાયબરેલી પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને ભવિષ્યમાં સોનિયા ગાંધીને ત્યાંથી હરાવવાનો તખતો અત્યારથી જ ગોઠવવાનું શરૂ કરી દીધું છે.
ભાજપ આમ જ્યારે કોંગ્રેસ મુકત ભારતને સાકાર કરવા ખાઇ ખપૂચીને કોંગ્રેસ પાછળ પડી ગયો છે ત્યારે મુશ્કેલી એ વાતની છે કે કોંગ્રેસીઓને ગાંધી નામના લેબલ વગર ચાલતું નથી. કોંગ્રેસીઓ તેમને ગાંધી પરિવાર વગર ચાલશે કે નહીં તે બાબત સોય ઝાટકીને કહેવા કોઇ તૈયાર નથી.
આખરે કોંગ્રેસને ગાંધી પરિવારની આટલી જરૂર કેમ છે? કોંગ્રેસીઓ રાહુલ ગાંધીને પક્ષના અધ્યક્ષ તરીકે ચાલુ રાખવા માટે કેમ કરગરી રહ્યા છે? રાહુલ ગાંધીના વડપણ હેઠળ કોંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં આટલો માર ખાધો છતાં કેમ કોંગ્રેસ ગાંધી પરિવાર સિવાયની બીજી કોઇ વ્યકિતને અધ્યક્ષ બનાવવા તૈયાર નથી. કેટલાક કોંગ્રેસીઓ તો એવું પણ કહી રહ્યા છે કે રાહુલ નહીં તો બીજુ કોઇ નહીં. આમ લોકસભા ચૂંટણી બાદ પણ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધી હજુ ચાલુ રહ્યા છે.
કોંગ્રેસીઓને ગાંધીની કાખઘોડી વગર ફાવતું નથી. પરંતુ આજે પક્ષની સ્થિતિ એવી છે કે ગાંધીના નામે મત પડતા નથી. ગાંધી ભલે ‘જાઉ જાઉ’ કરે પણ કોંગ્રેસીઓ બુલંદ અવાજે તેમને ‘આવજો’ કહેવાની હિંમત ધરાવતા નથી.
બીજો કોઈ પક્ષ હોત ને લોકસભાની સતત બે ચૂંટણીમાં ભૂંડી હાર થઈ હોત તો ભલભલા નેતાને ફગાવી દીધા હોત. કૉંગ્રેસે તો રાહુલ બાદ પ્રિયંકા ગાંધીમાંય ભારેખમ આશાનું રોપણ કર્યું હતું. પરંતુ ઉત્તર પ્રદેશના મર્યાદિત વિસ્તારમાં પક્ષનું સુકાન સંભાળનારા પ્રિયંકા પણ કંઈ વિશેષ ઉકાળી શક્યાં નથી.
રાહુલ ગાંધીએ જ્યારે સ્પષ્ટ કર્યું કે તેઓ અધ્યક્ષ તરીકે ચાલુ રહેવા માગતા નથી ત્યારે જાણે કોંગ્રેસમાં સોપો પડી ગયો હતો અને તમામ કોંગ્રેસીઓ રાહુલ ગાંધી પ્રત્યે પોતાની વફાદારી સાબિત કરવા પડાપડી કરવા લાગ્યા હતા.
આમ ૧૦૦ વર્ષ જૂના પક્ષમાં ધેર ઇઝ નો ઓલ્ટરનેટિવ (ટીના)નો પ્રભાવ દેખાવા લાગ્યો. સવાસો વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટીમાં સોનિયા ગાંધી સૌથી વધુ સમય અધ્યક્ષ તરીકે રહ્યાં છે, પરંતુ સ્વતંત્રતા બાદ પાર્ટીનું નેતૃત્વ કરનારા કુલ ૧૮ નેતાઓમાંથી ૧૪ નહેરુ-ગાંધી પરિવારના નથી. રાહુલ ગાંધી નહેરુ-ગાંધી પરિવારની પાંચમી પેઢીના પાંચમી એવી વ્યકિત છે કે કોંગ્રેસ અધ્યક્ષ બન્યા હતા.
કોંગ્રેસનું દુર્ભાગ્ય એ છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહનાં વડપણ હેઠળના ભાજપ સામે લડવા તો ઠીક, પરંતુ તેમની સામે ઊભા રહી શકે તેવો દરજ્જો ધરાવતા કોઇ નેતા નજરે પડતા નથી. તો બીજી બાજુુ કોંગ્રેસીઓ ગાંધી પરિવારનો ટેગ છોડવા માગતા નથી.
કોંગ્રેસની કફોડી હાલત માટે તમામ નેતા જવાબદાર છે. કોંગ્રેસે જો હવે સજીવન થવું હશે તો સંગઠનને મજબૂત કરવું જ પડશે અને આ માટે કોંગ્રેસે આત્મમંથન અને આત્મનિરીક્ષણ કરવું પડશે. કોંગ્રેસે હવે પરિવારવાદમાંથી મુકત થઇને યોગ્ય નેતાની પસંદગી કરવી પડશે.