કોંગ્રેસની ભારત જોડો યાત્રા વચ્ચે હવે પાર્ટીના નવા પ્રમુખને લઈ હોબાળો વધી ગયો છે. હવે દાવેદારોમાં રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતનું નામ મોખરે છે.
આજે ગેહલોત દિલ્હી જઈને સોનિયા ગાંધીને મળશે
રાહુલ ગાંધીને મનાવવાનો પ્રયાસ કરીશ: ગેહલોત
ગેહલોતે રાષ્ટ્રીય અધ્યક્ષપદ પર નામાંકન દાખલ કરવાનો સંકેત આપ્યો
કોંગ્રેસની ભારત જોડો યાત્રા વચ્ચે હવે પાર્ટીના નવા પ્રમુખને લઈ હોબાળો વધી ગયો છે. ઓક્ટોબરમાં યોજાનારી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી પહેલાં ઘણાં નામ સામે આવી રહ્યાં છે, જે નવા પ્રમુખ તરીકે જોવામાં આવી રહ્યાં છે. આ તમામ દાવેદારોમાં રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતનું નામ મોખરે છે. કહેવામાં આવી રહ્યું છે કે માત્ર ગેહલોત જ કોંગ્રેસના આગામી અધ્યક્ષ બની શકે છે. દરમિયાન અશોક ગેહલોત દિલ્હી પહોંચી રહ્યા છે, જ્યાં તેઓ પાર્ટીના વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધીને મળશે.
રાહુલ ગાંધીને મળીને મનાવશે
કોંગ્રેસ ધારાસભ્યોની બેઠકમાં ગઇ કાલે મોડી રાતે સીએમ અશોક ગેહલોતે રાષ્ટ્રીય અધ્યક્ષપદ પર નામાંકન દાખલ કરવાનો સંકેત આપ્યો છે. ગેહલોતે બેઠકમાં કહ્યું કે છેલ્લી વખત હું રાહુલ ગાંધીને મળી તેમને મનાવવાનો પ્રયાસ કરીશ, જો રાહુલ ગાંધી નહીં માને તો હાઇકમાન્ડનો જે આદેશ હશે તેને ફોલો કરીશ.
અશોક ગેહલોતનું નામ જોડાયું
દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી યોજાવા જઈ રહી છે, પરંતુ રાજસ્થાનમાં રાજકીય હલચલ જોવા મળી રહી છે. આ રાજકીય હિલચાલને જોઈ સવાલ એ ઊઠવા લાગ્યો છે કે શું અશોક ગેહલોત પણ કોંગ્રેસ અધ્યક્ષપદ માટે મેદાનમાં ઊતરવાના છે? સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અશોક ગેહલોત 26 સપ્ટેમ્બરે નોમિનેશન ફાઈલ કરી શકે છે. મોડી રાતે ગેહલોતે પોતાના ધારાસભ્યો સાથે મહત્ત્વની બેઠક યોજી હતી. બેઠક બાદ હવે તે આજે દિલ્હી જવાના છે. દિલ્હી આવ્યા બાદ તેઓ સોનિયા ગાંધીને મળશે. આ બેઠક દરમિયાન રાષ્ટ્રપતિની ઉમેદવારી અંગે ચર્ચા કરી શકે છે.
શશી થરુરનું નામ પણ ચર્ચામાં
જોકે અશોક ગેહલોતે અગાઉ પ્રમુખની ઉમેદવારીનો ઈનકાર કર્યો હતો, જેથી નામ પર સસ્પેન્સ યથાવત્ છે. પ્રાપ્ત માહિતી અનુસાર મોડી રાતે ધારાસભ્યદળની બેઠક દરમિયાન ગેહલોતે કહ્યું કે અધ્યક્ષપદ માટે રાહુલ ગાંધીને મનાવવાના તમામ પ્રયાસો કરવામાં આવશે. સવાલ એ છે કે જો રાહુલ ગાંધી અધ્યક્ષ બનવા તૈયાર ન હોય તો કોંગ્રેસ અધ્યક્ષ કોણ બનશે? કોંગ્રેસ નેતા શશિ થરૂરનું નામ પણ ચર્ચામાં છે. થરૂર સોનિયા ગાંધીને પણ મળ્યા છે.