ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં 7 કાર્યકારી અધ્યક્ષોની નિમણૂંક, .5 ધારાસભ્યોને કાર્યકારી અધ્યક્ષમાં મળ્યું સ્થાન
વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ વધુ નિમણૂંકો કરી
જિગ્નેશ મેવાણીને કાર્યકારી અધ્યક્ષ બનાવાયા
ઋત્વીક મકવાણાને કાર્યકારી અધ્યક્ષ બનાવાયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે એક્ટિવ મોડ ઓન કરી દીધો છે. ગુજરાત કોંગ્રેસના બાકી પદો પર નિમણૂક માટે મંજૂરીની મહોરો વાગી રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના 7 કાર્યકારી અધ્યક્ષોની નિમણૂંક કરાઇ છે.5 ધારાસભ્યોને કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે. જેમાં જિગ્નેશ મેવાણી, ઋત્વીક મકવાણા, અંબરિશ ડેર, હિંમતસિંહ પટેલ, કાદિર પિરજાદા, ઇન્દ્રવિજયસિંહ તેમજ લલીત કગથરાને પણ કાર્યકારી અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા છે
કાર્યકારી અધ્યક્ષ પર 7 નિમણૂક રોષ ખાળવાનો પ્રયાસ?
આમ જોઈએ તો કાર્યકારી અધ્યક્ષનું પદ માત્ર દેખાડા પુરતું બધી જ કમાન તેમજ નિર્ણય લેવાનો હક્ક પ્રદેશ અધ્યક્ષ પાસે છે. પણ એકી સાથે 7ને કાર્યકારી અધ્યક્ષનું પદ સોંપતા રાજકિય પંડિતો તેણે અલગ રીતે જોઈ રહ્યા છે. અને ચર્ચા થઈ રહી છે કે કોંગ્રેસમાં આંતરિક રોષને ખાળવા માટે આ પદનો કારોભાર 7 દિગ્ગજોને સોંપાયો છે.
26 સંસદીય વિસ્તારોમાં 37 નેતાઓને જવાબદારી
કોંગ્રેસે 26 સંસદીય વિસ્તારોમાં સુપરવાઇઝરોની નિમણૂંક કરી દીધી છે. અલગ અલગ રાજ્યોના ધારાસભ્યો સહિત કુલ 37 નેતાઓને પાર્ટીના કામ માટે તૈયાર કરાયા છે. નેતા વધુ પડતા રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી છે.
ગુજરાત ભાજપ, AAP, બાદ કોંગ્રેસ પણ એક્ટીવ
આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હીથી હાઇકમાન્ડનું તેડું આવતા અડધો ડઝનથી વધુ કોંગ્રેસના નેતાઓ દિલ્હી પહોંચ્યા હતા. કોંગ્રેસ ટાસ્ક ફોર્સે ચૂંટણીની તૈયારી માટે દિલ્હીમાં સોમવારે બેઠક કરી હતી. જે 5 કલાક ચાલી હતી. ગુજરાત કોંગ્રેસના અને કેન્દ્રીય નેતાઓ વચ્ચે વિચારવિમર્શ થયો હતો. ટાસ્ક ફોર્સની બેઠકમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષ નેતા સુખરામ રાઠવા, અમિત ચાવડા, પરેશ ધાનાણી, દિપક બાબરીયા સહિતના નેતાઓ દિલ્હી ગયા હતા. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા, કે.સી. વેણુગોપાલ, રણદીપ સુરજેવાલા, અજય માકણ, પૂર્વ નાણામંત્રી પી.ચિદંબરમ અને કોંગ્રેસના ચૂંટણી રણનીતિકાર સુનિલ કાનૂનગોલૂ હાજર હતા. તો પ્રભારી રઘુ શર્મા ગુજરાત કોંગ્રેસના આયોજનો અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું અને ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરાઈ હતી.
હાઈકમાન્ડ દ્વારા ગુજરાત કોંગ્રેસને ખુલ્લો દોર અપાયો
મળતી માહિતી અનુસાર, દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં હાઈકમાન્ડ દ્વારા ગુજરાત કોંગ્રેસને ખુલ્લો દોર અપાયો છે. વિધાનસભાની ચૂંટણીમાં પ્રદેશ કોંગ્રેસને નિર્ણય લેવા સ્વતંત્રતા આપવામાં આવી છે. કોઇપણ ભોગે 2022ની ચૂંટણીમાં પરિણામ લાવવા સૂચના અપાઈ છે. હરીફ પક્ષોનાં નામ લીધા વગર પ્રચાર કરવા સૂચના અપાઈ છે. રાજ્ય વિસ્તારમાં ખાલી પડેલાં વિવિધ પદો પર નિયુક્તિ કરવા સૂચના અપાઈ છે. કેન્દ્રીય કોંગ્રેસ નેતૃત્વએ પોતાની ગુજરાત યુનિટથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર વ્યક્તિગત હુમલો કરતા સંયમ રાખવા કહ્યું છે.
ગુજરાતમાં જીત માટે અમે કહીએ એમ કરોઃ ગુજરાત કોંગ્રેસ નેતા
બેઠકમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓએ હાઈકમાન્ડને સૂચન કર્યું હતું કે ગુજરાતમાં જો જીત મેળવવી હશે તો અમે જે ઇચ્છીએ છીએ તે મુજબ ચાલશો તો સત્તા મળવાની તક વધી જશે.
કોઇપણ ભોગે 2022ની ચૂંટણીમાં પરિણામ લાવોઃ કોંગ્રેસ હાઈકમાન્ડ
તો હાઈકમાન્ડે સૂચનો સાંભળ્યા બાદ નિર્દેશ કર્યો કે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં રહેલી તમામ ત્રુટિઓને દૂર કરો. આ ઉપરાંત પ્રદેશ નેતૃત્વને તો એટલે સુધી કહી દેવાયું છે કે જે રણનીતિ ઘડવી હોય એમ ઘડો, પરંતુ અમારે તો પરિણામ જોઈએ છે. કોઇપણ ભોગે 2022ની ચૂંટણીમાં પરિણામ લાવવા સૂચના અપાઈ છે.