ગાંધીનગરઃ હાર્દિક પટેલના ઉપવાસ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યો મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી સાથે મુલાકાત પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ હાર્દિક સાથે ચર્ચા કરી હતી. જેમાં લલીત વસોયા સહિતના ધારાસભ્યોએ સરકાર સાથે ક્યા મુદ્દે મંત્રણા થઈ શકે તે મુદ્દે હાર્દિક સાથે ચર્ચા કરી હતી.
ખેડૂતોના દેવા માફી અને પાટીદારોને અનામત મુદ્દે ઉપવાસ કરી રહેલા હાર્દિક પટેલ સાથે ચર્ચા કરવામાં સરકાર પાછી પાની કરી રહી છે ત્યારે આ મુદ્દે કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવાનો સમય માંગવામાં આવ્યો હતો. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને સમય માગ્યો હતો. જેના જવાબમાં મુખ્યમંત્રીએ કોંગ્રેસના નેતાઓને મળવાનો સમય ફાળવ્યો હતો. દિલ્હીથી આવી મુખ્યમંત્રી વિજય રુપાણીએ કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. જેમાં કોંગ્રેસના 25 જેટલા ધારાસભ્યો હાર્દિકના સમર્થનમાં આવ્યા હતા.
હાર્દિકના ઉપવાસ અને ખેડૂતના દેવા માફી મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. જેમાં કોંગ્રેસે સરકારને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. કોંગ્રેસ આવતીકાલથી 24 કલાકનું ઉપવાસ આંદોલન કરશે. કોંગ્રેસનું ઉપવાસ આંદોલન સવારે 11 વાગ્યાથી શરૂ થશે.
રૂપાણીને મળ્યા બાદ ધાનાણીનું નિવેદન
સરકારની નિષ્ફળ નિતિનાં કારણે ખેડૂતોના પ્રશ્નો વધ્યા: ધાનાણી
ખેડૂતોના સંપૂર્ણ દેવામાફી સહિતના મુદ્દાઓ પર હાર્દિક આંદોલન કરી રહ્યો છેપરેશ ધાનાણી
આંદોલનને લઈ કોંગ્રેસે CM સાથે મુલાકાત કરી છે: ધાનાણી
હાર્દિક સાથે સરકાર સંવાદ સાધે તેની રજૂઆત કરી: ધાનાણી
ગુજરાતનાં યુવાનોને શિક્ષણ રોજગારી અને આરોગ્યની સવલતો મળે: ધાનાણી
હાર્દિક પટેલનો જીવ બચાવવા માટે અમે CM સાથે મુલાકાત કરી: ધાનાણી
કોંગ્રેસના આગેવાનો અને ધારાસભ્યોએ સાથે મળીને CMને આવેદન સોંપ્યું: ધાનાણી
આંદોલનકારીઓ સામે થયેલા પોલીસકેસ પાંછા ખેચવાની CMને વિનંતી કરી: ધાનાણી
સરકાર માંગ નહી સ્વિકારે તો કોંગ્રેસ પણ આંદોલનનાં માર્ગે: ધાનાણી
સિદ્ધાર્થ પટેલે આપ્યું નિવેદન
ખેડૂતોને ન્યાય અપાવવાના પ્રશ્નો ઉભા થયા છે. ગુજરાતમાં લોકશાહીના મુલ્યોનો નાશ થઇ રહ્યો છે. આ મુદ્દે સરકારને રજૂઆત કરવામાં આવી છે. રાજ્ય સરકારના પેટનું પાણી હાલતુ નથી. ગુજરાતમાં વાતચીત કરવાની પ્રથા બંધ ન થવી જોઈએ. ચર્ચા કરવાની પ્રથા જતી રહે તેવી પરિસ્થિતિ ઉભી ન કરે સરકાર. હાર્દિક સાથે વાતાઘાટો કરીને પ્રશ્નોનું નિરાકરણ લાવે. અલ્પેશ કથેરિયા સામેના ગુના રદ કરીને છોડવામાં આવે. હાર્દિકના ત્રણેય પ્રશ્નોનું નિરાકરણ સરકાર તાત્કાલિક ધોરણે લાવે. અમે ત્રણેય મુદ્દાઓ સાથે CM રૂપાણી સાથે મુલાકાત કરી તેમ જણાવ્યું હતું.