2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી અને 2024ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં મહામંથન શરૂ થઇ ચૂક્યું છે. રાજનીતિના ચાણક્ય ગણાતા પ્રશાંત કિશોર માટે કોંગ્રેસનું સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે.
પ્રશાંત કિશોર માટે નવો હોદ્દો ઉભો કરશે કોંગ્રેસ
કોમ્યુનિકેશન હેડની સોંપાશે જવાબદારી
નરેશ પટેલ અંગે કોંગ્રેસે હજુ નથી લીધો નિર્ણય
આગામી ચૂંટણીઓ પહેલા રણનીતિકાર પ્રશાંત કિશોર મુદ્દે કોંગ્રેસનું સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. પ્રશાંત કિશોર માટે કોંગ્રેસ નવો હોદ્દો ઉભો કરશે. પ્રશાંત કિશોરને કોમ્યુનિકેશન હેડની જવાબદારી સોંપાશે. જોકે કોંગ્રેસમાં સત્તાવાર રીતે સામેલ થયા બાદ પ્રશાંત કિશોરને હોદ્દો અપાશે. પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાયા બાદ નરેશ પટેલ નિર્ણય જાહેર કરશે. કોંગ્રેસે પણ હજુ નરેશ પટેલ અંગે કોઈ નિર્ણય નથી કર્યો.
ગઇકાલે દિલ્હીમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં રાહુલ ગાંધીથી લઇને કોંગ્રેસના કેટલાક દિગ્ગજ નેતાઓ સામેલ થયા. પરંતુ સૌની નજર રાજનીતિના ચાણક્ય ગણાતા પ્રશાંત કિશોર પર. જેમણે આ બેઠકમાં કોંગ્રેસની સામે આગળનો રોડમેપ રાખ્યો અને એક વિસ્તૃત પ્રેઝેન્ટેશન આપ્યું હતું.
પ્રશાંત કિશોર સંભાળશે ગુજરાત કોંગ્રેસની કમાન!
પ્રશાંત કિશોર ગુજરાત કોંગ્રેસનું કેમ્પેઇન કરશે. પ્રશાંત કિશોરને લઇને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ લીલીઝંડી આપી છે. પ્રશાંત કિશોર અંગે ફાઈનલ નિર્ણય અંતે થઇ ગયો છે. પ્રશાંત કિશોરના ગુજરાત કોંગ્રેસ માટે કામ કરવાને લઈ બેઠક પૂર્ણ થઇ છે. દિલ્હીમાં 10 જનપથ ખાતે કોગ્રેસના સિનિયર નેતાઓની બેઠકમાં નિર્ણય લેવાયો છે.
કોંગ્રેસ ઇચ્છે છે કે PK રણનીતિકાર નહીં પરંતુ કાર્યકર્તા તરીકે કામ કરે
મળતી માહિતી અનુસાર, બેઠકમાં પ્રશાંત કિશોર તરફથી લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસને મહત્વની સલાહ આપી છે. પરંતુ પાર્ટી ઇચ્છે છે કે આ વખતે પ્રશાંત તેમની સાથે રણનીતિકારની જેમ નહીં પરંતુ એક કાર્યકર્તાની જેમ કામ કરે. કોંગ્રેસનું મન છે કે પ્રશાંત કિશોર કોંગ્રેસમાં સામેલ થઇ જાય. હજુ સુધી પ્રશાંતિ કિશોર તરફથી આ ઑફર પર કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવી. તેવામાં પાર્ટીમાં સામેલ થશે કે નહીં તે આવનારો સમય જ સ્પષ્ટ કરી દેશે.
પ્રશાંત કિશોરે કોંગ્રેસને અનેક મોટી વાતો જણાવી
પ્રશાંત કિશોરે કોંગ્રેસને અનેક મોટી વાતો જણાવી દીધી છે. એક તરફ કિશોરે આ વાત પર જોર આપ્યું છે કે કોંગ્રેસને 2024ની લોકસભા ચૂંટણીમાં માત્ર એ બેઠકો પર જ ફોકસ કરવું જોઈએ જ્યાં તેમની સ્થિતિ પહેલાથી જ મજબૂત છે. તેમના અનુસાર, જો પાર્ટી 370 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતારશે, તેવી સ્થિતિ પાર્ટી માટે ફાયદાકારક રહેશે. તેમની નજરોમાં બાકી બચેલી બેઠકો કોંગ્રેસ પોતાના ગઠબંધન સહયોગીઓને મોકો આપવો જોઈએ.
પાર્ટી દ્વારા એક નવી ટીમ બનાવવામાં આવીઃ કેસી વેણુગોપાલ
પ્રશાંત એ પણ માને છે કે દેશના જે રાજ્યોમાં કોંગ્રેસની સ્થિતિ પહેલાથી ઘણી મજબૂત છે, ત્યાં તેમને પોતાનું વધુ ધ્યાન લગાવવું જોઈએ. એવું થવા પર પાર્ટી ભાજપને વધુ મજબૂત ટક્કર આપી શકશે. આ બેઠક અંગે કેસી વેણુગોપાલે જણાવ્યું કે, પાર્ટી દ્વારા એક નવી ટીમ બનાવવામાં આવી છે. તેઓ પ્રશાંત કિશોરની સલાહો પર મંથન કરશે અને એક અઠવાડિયાની અંદર હાઈકમાન્ડને વિસ્તૃત રિપોર્ટ સોંપી દેવામાં આવશે.
જો પ્રશાંત કિશોર કોંગ્રેસમાં સામેલ થઇ જાય છે તો મોટો રાજકીય દાવ માનવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં ટીએમસીને મોટી જીત અપાવ્યા બાદ જ પ્રશાંત કિશોર કહી ચૂક્યા હતા કે હવે તેઓ રણનીતિકાર કામ નથી કરવા માંગતા. તેવામાં હવે તેમની આગામી સફર શું રાજકીય પાર્ટીની સાથે શરૂ થશે, એ આવનારો સમય જ જણાવશે.