ટિકિટ વહેચણી બાદ કોંગ્રેસમાં નારાજગીના સૂર ઉઠ્યા છે. કોંગ્રેસના વધુ એક કદ્દાવર નેતાની નારાજગી સામે આવી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમાર નારાજ થયા છે. મહત્વનું છે કે રાધનપુરથી ટિકિટ ન મળતા ઠાકોર આગેવાન ગોવિંદજી ઠાકોર ભાજપમાં જોડાયા છે.
જયરાજસિંહ પરમારે ખેરાલુથી ટિકિટ માગી હતી. કોંગ્રેસે ખેરાલુ બેઠક પરથી બાબુજી ઠાકોરને ટિકિટ આપી છે. સતત અવગણનાથી જયરાજસિંહે નારાજગી વ્યક્ત કરી હતી. જયરાજસિંહે કહ્યું રાજકારણમાં આરામ લેવાનો સમય આવી ગયો છે.
આ ઠાકોર આગેવાનની ટિકિટ કાપતા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા
રાધનપુર વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો વાગ્યો છે. કોંગ્રેસે ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીમાં રાધનપુર બેઠક પર રઘુ દેસાઈને ટિકિટ આપી છે. રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોર સામે રઘુ દેસાઈની સીધી ટક્કર થશે. ત્યારે કોંગ્રેસનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે. ટિકિટ ન મળતા ચૂંટણી પહેલા ગોવિંદજી ઠાકોર ભાજપમાં જોડાયા છે. રાધનપુર ભાજપ ચૂંટણી કાર્યાલયમાં ગોવિંદ ઠાકોર હાજર રહ્યાં હતાં. મંત્રી દિલીપ ઠાકોર સાથે ગોવિંદ ઠાકોર પણ હાજર રહ્યાં હતાં.
ભાજપમાં જોડાવા મામલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી તરફથીમને ઉમેદવાર પસંદ કરીને મેન્ડેટ કરવાની વાત ચાલી રહી હતી ત્યારે મોવડીમંડળ દ્વારા નિર્ણય બદલેલો જેને લઇને મને લોકોની સેવાનો કરવાનો મોકો ન મળ્યો. જેને લઇને હું ભાજપમાં જોડાયો છું અને ભાજપને જીતાડવાના પ્રયત્નો કરીશ.
મહત્વનું છે કે, ટિકિટની ફાળવણી પહેલા એવું માનવામાં આવી રહ્યું હતું કે, રાધનપુર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગોવિંદ ઠાકોરના નામ પર મહોર વાગી છે. ત્યારે ગોવિંદ ઠાકોરે પણ કોંગ્રેસ હાઈકમાન્ડનો આભાર માન્યો હતો. પરંતુ જ્યારે કોંગ્રેસના ઉમેદવારોના નામ જાહેર થયા ત્યારે ગોવિંદ ઠાકોરને નહીં પરંતુ રઘુ દેસાઇને ટિકિટ આપવામાં આવી. જેને લઇને ગોવિંદજી ઠાકોર પક્ષથી નારાજ થઇને પક્ષપલ્ટો કર્યો છે.