લોકસભા ચૂંટણીમાં મળેલા કારમા પરાજય બાદ કોંગ્રેસ દ્વારા આત્મમંથન કરવામાં આવી રહ્યું છે. એકબાજુ રાહુલ ગાંદી રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવા ઇચ્છી રહ્યાં છે ત્યારે બીજી તરફ કોંગ્રેસે પોતાના બધા પ્રવક્તાઓને કોઇપણ ટીવી ડિબેટમાં સામેલ ન થવા આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પહેલા સમાજવાદી પાર્ટીઓ પોતાના દરેક પ્રવક્તાઓને દૂર કરી દીધા હતા.
કોંગ્રેસના મીડિયા ઇન્ચાર્જ રણદીપ સિંહ સુરજેવાલાએ ટવિટ કરી જણાવ્યું છે કે કોંગ્રેસ દ્વારા એક મહીના સુધી ટીવી ડીબેટમાં પ્રવક્તાઓને નહી મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દરેક મીડિયા ચેનલ / સંપાદકોને અનુરોધ છે કે તેઓ પોતાના શોમાં કોંગ્રેસના પ્રતિનિધિઓને ન બોલાવે.
લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની માત્ર 52 બેઠક પર જીત થઇ છે. પાર્ટીના ખરાબ પ્રદર્શનથી નારાજ રાહુલ ગાંધીએ કોંગ્રેસ વર્કિંગ કમિટિમાંથી રાજીનામું આપવાની રજૂઆત કરી હતી, જો કે પાર્ટીએ નામંજૂર કર્યું હતું. જો કે હજુ પણ રાહુલ ગાંધી રાજીનામાને લઇને અડગ છે. સોનિય ગાંધી, પ્રિયંકા ગાધી સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાલમાં પણ તેમને મનવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.
.@INCIndia has decided to not send spokespersons on television debates for a month.
All media channels/editors are requested to not place Congress representatives on their shows.
— Randeep Singh Surjewala (@rssurjewala) May 30, 2019
જો કે રાહુલ ગાંધીએ પાર્ટી સમક્ષ શરત રાખી છે કે તેઓ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાનું મન બનાવી ચૂક્યાં છે, પરંતુ જ્યાં સુધી પાર્ટીને વિકલ્પ ન મળે ત્યાં સુધી તેઓ જવાબદારી સંભાળવા તૈયાર છે. પાર્ટીના સૂત્રોનું માનીએ તો રાહુલ ગાંધી આવનાર ચાર-પાંચ મહિના સુધી પાર્ટીના અધ્યક્ષ બની રહેશે.