ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન થઇ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગુજરાતની રાજનીતિને લઇને સૌથી મોટા સમાચાર
ચૂંટણી પહેલાં કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન
આવતીકાલે NCP દ્વારા કરવામાં આવશે પત્રકાર પરિષદ
NCP અધ્યક્ષ જયંત બોસ્કી અને રઘુ શર્મા વચ્ચે બંધ બારણે થયેલી બેઠક બાદ કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આવતીકાલે NCP દ્વારા આ મુદ્દે પત્રકાર પરિષદ પણ કરવામાં આવશે. પત્રકાર પરિષદ કરીને ગઠબંધન અંગેની માહિતી આપવામાં આવશે.
NCPએ 5 ટિકિટ માંગી છે: NCP પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કી
આ બેઠકને લઇને NCPના પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કીએ નિવેદન આપતા કહ્યું કે, 'ગઇ વખતની ચૂંટણી બંને પક્ષો માટે ઘણી દુર્ભાગ્યપૂર્ણ હતી કે અમે ગઠબંધન ના કરી શક્યા. જેમાં બંનેની મજબૂરી હતી કે પછી ગેરસમજૂતી હતી કે પછી શું હતું એ ખબર નહીં. પરંતુ આ વખતે બંને પક્ષો પોઝિટિવ જઇ રહ્યાં છે. અમે નોમિનલ સીટો માંગી છે. 4થી 5 સીટો માટે જ અમે દાવો કર્યો છે. કોંગ્રેસ પક્ષ પણ એમાં સહમત થયો છે. આજે સાંજે અશોક ગેહલોત સાહેબ જોડે મીટિંગ છે. પછી આવતીકાલે પ્રેસ કોન્ફરન્સ થશે તેમાં વિગતવાર જણાવાશે. NCPએ 5 ટિકિટ માંગી છે. આવતીકાલે અશોક ગેહલોત સાથે બેઠક કરીને અમે ગઠબંધનની જાહેરાત કરીશું. NCPએ કુતિયાણાથી કાંધલ જાડેજા માટે ટિકિટ માંગી છે. ગોંડલથી રેશ્મા પટેલ માટે ટિકિટ માંગી છે. ઉમરેઠથી પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કી માટે ટિકિટ માંગી છે. જ્યારે નરોડાથી કોર્પોરેટર નિકુલસિંહ તોમર માટે ટિકિટની માંગ કરવામાં આવી છે.'