શક્તિસિંહ ગોહિલે આજે અચાનક ભાવનગર સિવિલની હોસ્પિટલની મુલાકાત લીધી હતી, તો પરેશ ધાનાણીએ પોરબંદરના કોવિડ સેન્ટરની મુલાકાત કરી હતી
ભાવનગર સિવિલની મુલાકાતે શક્તિસિંહ
દર્દીઓના પૂછ્યા ખબરઅંતર
હોસ્પિટલમાં સ્થિતિની કરી સમીક્ષા
રાજ્યસભાના સાંસદ અને ગુજરાત કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે આજે અચાનક ભાવનગર સિવિલની હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અધિકારીઓ સાથે બેઠક બાદ તેમને મીડિયાને મુલાકાત આપી હતી. અને જણાવ્યું કે, ગામડાઓમાં કોરોનાનો ફેલાવવા થયો છે. તેની જવાબદાર ગુજરાત સરકારની છે.
ગુજરાતમાં અનેક લોકોના મોત થયા છે અને મુખ્યમંત્રી જણાવે છે કે ઓક્સિજનની ઘટના કારણે કોઈના મોત થયા નથી. આ એક પ્રકારની હાસ્યાસ્પદ વાત છે. અને ગુજરાતના મુખ્યમંત્રી મજાકનું સાધન બની ગયા છે. તેમના નામે અનેક વિડીયો હાસ્યાસ્પદ રીતે બહાર ફરી રહ્યા છે. આમ તો મુખ્યમંત્રીની ભાવનગર મુલાકાત પહેલાં જ શક્તિસિંહ ગોહિલે સિવિલની હાજરી લેતા રાજકારણ ગરમાયું છે.
રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ભાવનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. સાથે જ સિવિલ સર્જન જે.એમ.બ્રહ્મભટ્ટ સાથે દર્દીઓને પડતી મુશ્કેલી, બેડ, ઈન્જેક્શન અને ઓક્સિજન મુદ્દે ચર્ચા કરી હતી. આ દરમિયાન શક્તિસિંહે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા કે, વેક્સિન અને વેન્ટીલેટરની જ્યારે દેશમાં જરૂર હતી ત્યારે સરકારે તે વિદેશોમાં મોકલી હવે પરિસ્થિતિ એવી છે કે આપણે વેક્સિન અને વેન્ટીલેટર બહારથી મગાવવા પડી રહ્યા છે.
વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ પોરબંદર સિવિલની લીધી હતી મુલાકાત
ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડીયા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પોરબંદરની કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. હોસ્પિટલ સત્તાવાળા સાથે પણ ખૂટતી સુવિધા અને દર્દીઓને પડતી મુશ્કેલી મામલે ચર્ચા કરી હતી. તેમજ દર્દીઓને સારવાર આપવા ભલામણ કરી હતી. લોકોને કોઈ તકલીફ ન પડે તેવી રીતે કામગીરી કરવા અને દેવદૂત બની સારવાર કરવા જણાવ્યું હતું.
તો ભાજપ સરકાર પર આક્ષેપ કરતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે સરકારની આત્મનિર્ભરની વાતો વચ્ચે દર્દીઓ અને તેમના સગાઓને ખરેખર આત્મનિર્ભર બનવું પડ્યું છે તેવા આક્ષેપ કર્યા છે. તેમજ ગુજરાતીઓ સમગ્ર દેશનું નેતૃત્વ કરી રહ્યા છે ત્યારે અંગ્રેજો જેવી નીતિ થઈ રહી છે. નોટબંધી, GST, ઑક્સિજન, મેડિકલ સ્ટોર, 108ની લાઈનો જેવી મુશ્કેલી લોકો વેઠી રહ્યાં છે.