19 જૂને ગુજરાતની 4 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી યોજાનારી છે. તેમાં કોંગ્રેસે પોતાના 2 ઉમેદવાર ચૂંટણીમાં ઊતાર્યા છે. તો ભાજપે 3 ઉમેદવારોને મેદાનમાં ઊતાર્યા છે. ત્યારે હવે કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને ગાંધીનગર નજીક ખસેડવાની હિલચાલ શરૂ કરી દીધી છે. અમદાવાદ અને ગાંધીનગર નજીકના ફાર્મ હાઉસથી મતદાનના દિવસે સીધા ગાંધીનગર જ લઇ જવાશે.
રાજ્યસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસે કવાયત હાથ ધરી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના 27 ધારાસભ્યો અમદાવાદ પહોંચ્યા છે. આ તમામ ધારાસભ્યોને તાજ હોટેલમાં રાખવામાં આવ્યા છે, જ્યારે અન્ય ધારાસભ્યો પણ રાત સુધીમાં અમદાવાદ પહોંચશે. સાથે અમદાવાદના 4 ધારાસભ્યો પણ તાજ હોટેલમાં રોકાશે. રાજ્યસભાના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ હોટેલ પહોંચ્યા છે. આમ, તાજ હોટેલમાં 30થી વધુ ધારાસભ્યોને પહોંચ્યા છે.
કોંગ્રેસના ધારાસભ્યોને છેલ્લા કેટલાય દિવસથી અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવ્યા છે, ત્યારે હવે ચૂંટણી નજીક આવતા જ ધારાસભ્યોને આજે અમદાવાદ અથવા ગાંધીનગર નજીકની હોટલમાં લઈ જવામાં આવશે. ત્યારે કોંગ્રેસ ધારાસભ્યોને એકત્રિત કરીને રાજ્યસભા ચૂંટણીના મતદાનની તાલીમ આપશે. ત્યારે બીજી તરફ ભાજપ પણ કોંગ્રેસના વધુ ધારાસભ્યોને તોડવાના પ્રયાસો કરી રહ્યું હોવાનું જણાઇ રહ્યું છે.
કોંગ્રેસે ધારાસભ્યો માટે સમગ્ર હોટેલ કરાવી બુક
ધી ઉમેદ તાજ હોટેલના તમામ રૂમ બુક કરાવી લીધા છે. હોટેલના 75 રૂમ કોંગ્રેસે બુક કરાવી લીધા છે. અન્ય લોકો હોટેલમાં પ્રવેશ ન મેળવે તે માટે કોંગ્રેસે પ્રયાસ કર્યો છે. ધારાસભ્યોના સંપર્કમાં કોઇ ન આવી શકે તે માટે નિર્ણય લીધો છે.
રાષ્ટ્રીય કોંગ્રેસના 3 નેતા ગુજરાત આવશે
રાજ્યસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ હાઇકમાન્ડની નજર છે. જેને લઇને આવતીકાલે રાષ્ટ્રીય કોંગ્રેસના 3 નેતા પ્રભારી રાજીવ સાતવ, કે.હરિપ્રસાદ અને રજની પાટીલ ગુજરાત આવશે. તેઓ ધારાસભ્યો સાથે ચૂંટણી સંદર્ભે ચર્ચા કરશે.
ચૂંટણીને લઇ કોંગ્રેસના હોદેદાર-આગેવાનોની બેઠક
સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ડોળિયા ખાતે કોંગ્રેસે બેઠક યોજી હતી. ચૂંટણીને લઇ કોંગ્રેસના હોદેદાર-આગેવાનોની બેઠક યોજાઇ હતી. જેમાં અર્જુનભાઈ મોઢવાડિયા, હાર્દિક પટેલ સહિત ધારાસભ્યો હાજર રહ્યાં હતાં. કોંગ્રેસનો વિજય થાય તે માટે સંગઠીત થવા આહવાન કરવામાં આવ્યું છે. ધારાસભ્યો, હોદેદારો, આગેવાનોને સંગઠિત થવા આહવાન કરવામાં આવ્યુ છે. આ સાથે ભાજપ ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગ કરતુ હોવાનો આક્ષેપ પણ તેઓએ કર્યા છે.
બીજી તરફ રાજ્યસભાની ચૂંટણીનો મામલે ચૂંટણીપંચે નિર્ણય લીધો છે. આવતીકાલે કેન્દ્રીય ચૂંટણીપંચના નિરીક્ષકો ગુજરાત આવશે.ચૂંટણી પ્રક્રિયા પર નિરીક્ષકોનજર રાખશે અને ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી નિરીક્ષકો ગુજરાત રોકાશે.