મોદી સરકારની નેશનલ મોનીટાઈઝેશન પાઈપલાઈન પ્રોગ્રામ પર ઉગ્ર પ્રહાર કરતા કોંગ્રેસે મોદી સરકાર પર દેશ વેચવાનો આરોપ લગાવ્યો.
સરકારી સંપત્તિઓના વેચાણ પરના મોદી સરકારના પ્લાન પર કોંગ્રેસનો ટોણો
કોંગ્રેસે મોદી સરકાર પર દેશ વેચવાનો આરોપ લગાવ્યો
કોંગ્રેસે કહ્યું, હવે જનતાને સાચી વાતની ખબર પડી ગઈ
મોદી સરકારે રાષ્ટ્રીય સંપત્તિઓના વેચાણ માટે મોનેટાઈઝેશન સ્કીમ શરુ કરી છે
કોંગ્રેસે પીએમ મોદીને ટોણો મારતા કહ્યું કે તેઓ કહેતા હતા કે હું દેશ વેચવા નહીં દઉ, હવે દેશને સાચી વાતની ખબર પડી ગઈ છે કે કોની પર વિશ્વાસ કરવો.
કોંગ્રેસનો હુમલો કહ્યું, શું શું વેચી રહી છે સરકાર
કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો કે મોદી સરકાર રાષ્ટ્રીય સંપત્તિઓની વેચવા લાગી છે. મોદી સરકાર ટેલિકોમથી માંડીને દરેક ક્ષેત્રને ખાનગી હાથોમાં સોંપવા તૈયાર છે. સરકારના આ પ્રોગ્રામ હેઠળ 2.86 લાખ કિમીના ભારતનેટ ફાઈબર, બીએસએનએલ અને એમટીએનએલ ટાવર વેચવાની યોજના છે. તે ઉપરાંત 160 કોલ માઈનિંગ પ્રોજેક્ટ્સ, 761 મિનરલ બ્લોકની સાથે 2 નેશનલ સ્ટેડિયમનો પણ સોદો કરી રહી છે. તે ઉપરાંત એનએચપીસી, એનટીસીપી અને એનએલસીની સંપત્તિને પણ વેચી દેવામાં આવશે. 26,700 કિમીના નેશનલ હાઈવે, 400 સ્ટેશન, 150 ટ્રેન, રેલવે ટ્રેક, 25 એએઆઈ એરપોર્ટ વેચવાનો પણ સરકારનો પ્લાન છે.
મોદી સરકારે હદ પાર કરી દીધી-કોંગ્રેસ
કોંગ્રેસે જણાવ્યું કે મોદી સરકારે હદ પાર કરી દીધી છે. મોદી સરકારે હવે આપણી રાષ્ટ્રીય સંપત્તિને ઝડપથી વેચવાની યોજના બનાવી નાખી છે. જ્યારથી મોદી સરકાર સત્તામાં આવી છે ત્યારથી દેશની સંપત્તિઓ વેચવા લાગી છે.સરકારની નજર રાષ્ટ્રીય સંપત્તિઓ પર છે અને તેને વેચીને ખજાનો ભરવા પર સરકારનું ધ્યાન છે. કોંગ્રેસે કહ્યું કે રાષ્ટ્રીય સંપત્તિઓ વેચવાનો ફેસલો રાષ્ટ્રવિરોધી છે. રાષ્ટ્રીય સંપત્તિઓને વેચવી વિકાસ નથી તેવું સરકારે સમજવું પડશે.
નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન પ્રોગ્રામનો શુભારંભ
સોમવારે નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન પ્રોગ્રામનો શુભારંભ કરતા નિર્મલા સીતારામણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર ફક્ત ઓછી વપરાયેલી સંપત્તિઓનું જ વેચાણ કરશે અને તેની માલિકી સરકારની રહેશે. સરકાર માત્ર ઓછી ઉપયોગની સંપત્તિ વેચશે. તેનો અધિકાર સરકાર પાસે રહેશે અને ખાનગી ક્ષેત્રના ભાગીદારોએ નિયત સમય પછી તેને ફરજિયાત પરત આપવો પડશે. સીતારામને કહ્યું કે અમે કોઈ જમીન વેચી રહ્યા નથી. નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન બ્રાઉનફિલ્ડ એસેટ્સ વિશે વાત કરે છે જેને વધુ સારી રીતે મુદ્રીકરણ કરવાની જરૂર છે. આ અસ્કયામતો છે જ્યાં રોકાણ પહેલાથી જ કરવામાં આવ્યું છે. આ એવી સંપત્તિઓ છે જેનો ઉપયોગ ઓછો થાય છે. અમે ખાનગી ભાગીદારી દ્વારા તેમને વધુ સારી રીતે મુદ્રીકરણ કરી રહ્યા છીએ. મુદ્રીકરણમાંથી સંસાધનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગમાં રોકાણ કરવામાં આવશે.