રાજ્યસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર રાજ્યમાં રાજકીય ઘમાસાણ ફેલાયું છે. રાજકીય તોડફોડ શરૂ થઈ છે. જેમાં કોંગ્રેસને દર વખતની જેમ જે ડર હતો તે જ થયું. ભાજપે રાજ્યસભાની ચૂંટણીમાં નરહરિ અમીનના રૂપમાં ત્રીજું પાસું ખેલ્યું અને આ તરફ કોંગ્રેસમાંથી વિકેટો ખડવાનું શરૂ થઈ ગયું છે. એક તરફ કોંગ્રેસ પોતાના ધારસભ્યોને હોટેલોમાં ફેરવતી રહી કે, ત્યાં ભાજપે ગુજરાતમાં ખેલ પાડી દીધો અને ચાર ધારાસભ્યોની વિકેટ ખડી ગઈ છે.
ભાજપ ખરીદ સંઘ તો કોંગ્રેસી બિકાઉ?
કોંગ્રેસના ચાર ધારાસભ્યોની વિકેટ ખડી
હજુ કોંગ્રેસમાંથી કેટલાક ધારાસભ્યોની વિકેટ ખડવાની તૈયારી
ભાજપ કહેતું હતું કે કોંગ્રેસના ધારાસભ્યો આવી રહ્યા છે. ત્યારે હવે ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા, લીંબડીના ધારાસભ્ય સોમા પટેલ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, અને ગઢડાના ધારાસભ્ય પ્રવિણ મારૂએ રાજીનામું આપી દીધું છે. જોકે આ ચાર વિકેટ ખડતાની સાથે જ કોંગ્રેસની ગાડી પાટા પરથી ખડી ગઈ છે. કારણ કે, આ ચાર ધારાસભ્યોની વિકેટ ખડવી કોંગ્રેસ માટે ખુબ મોટો ઝટકો છે.
હજુ કોંગ્રેસમાંથી કેટલાક ધારાસભ્યોની વિકેટ ખડવાની તૈયારી
ભાજપે નરહરિ અમીનનું પત્તું ખેલતાની સાથે જ કોંગ્રેસમાંથી વિકેટો ખડવાની શરૂ થઈ ગઈ છે. જોકે આ તો શરૂઆત છે સાચો ખેલ તો બાકી છે. કારણ કે, હજુ પણ કોંગ્રેસમાંથી કેટલાક ધારાસભ્યોની વિકેટ ખડવાની તૈયારીમાં છે. જે ધારાસભ્યોના નામ ચર્ચામાં છે. તેમાં સૌથી પહેલા જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકીનું નામ સામે આવી રહ્યું છે. જે હાલ નારાજ ચાલી રહ્યા છે અને ધારાસભ્યોની સાથે પણ નથી. બીજું નામ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલનું સામે આવી રહ્યું છે જે પણ હાલ નારાજ ચાલી રહ્યા છે. જ્યારે ત્રણ ધારાસભ્યો એટલે કે જૂનાગઢના ધારાસભ્ય ભીખા જોશી, માંગરોળના ધારાસભ્ય બાબુભાઈ વાજા અને ધરમપુરના ધારાસભ્ય જીતુ ચૌધરી હાલ પોતના જ ઘરે છે. જેમનું પણ હજું કાંઈ નક્કી નથી. ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિત પણ રાજીનામું આપે તેવી શક્યતાઓ છે.
4 MLAના રાજીનામાંથી શું થાય?
જોકો અત્યાર સુધીમાં જે ખીચડી રંધાવાની હતી તે સંપૂર્ણ રીતે રંધાઈ નથી. એટલે કે હજુ થોડી કાચી પણ છે જે ગમે ત્યારે પાકી શકે છે. પરંતુ ચાર ધારાસભ્યોની વિકેટ ખડતા હવે હારજીતનો માહોલ કોવો રહેશે તેનું ગણિત પણ સમજવું જરૂરી છે. ગણિત એવું કહે છે કો, હવે માત્ર એક જ ધારાસભ્યનું રાજીનામું કોંગ્રેસને બીજી બેઠકથી વંચિત રાખી શકે છે. કારણ કે કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામા આપતા કોંગ્રેસનું સંખ્યાબળ 68 થઈ ગયું છે. હાલ કોંગ્રેસના પોતાના 73 ધારાસભ્યો છે અને 1 અપક્ષ ધારાસભ્યનો મત હતો. આમ અપક્ષ મેવાણી સાથે ગણીએ તો 69 ધારાસભ્યો કોંગ્રેસ પાસે છે. જ્યારે 4 ધારાસભ્યોના રાજીનામા પછી ધારાસભ્યનું સંખ્યાબળ 181 પર આવીને ઉભું છે. કારણ કે, 175 પ્રમાણે 1 બેઠક જીતવા 36 મતની જરૂર પડે જે કોંગ્રેસ પાસે નથી. કોંગ્રેસને બે બેઠક જીતવા માટે 72 મતની જરૂર પડે. આમ કોંગ્રેસના પહેલા ઉમેદવારને 36 મત મળે તો બાકી 33 મત રહે, જ્યારે 33 ધારાસભ્યો બીજા ઉમેદવારને બગડા પ્રમાણે મત આપે, આમ કોંગ્રેસને બીજો ઉમેદવાર ચૂંટવો હોય તો 34 બગડા જોઈએ, જ્યારે કે ભાજપ પાસે બે એકડાવાળા સભ્યો જીતી જાય તો 34 મત બચે છે. હાલ ભાજપ પાસે 103 પોતાના, BTP 2 અને NCP 1ના એક એમ 106 ધારાસભ્યો છે, જ્યારે કોંગ્રેસના 33 અને ભાજપના બગડા 34 થાય તેવા સંજોગોમાં ભાજપનો ઉમેદવાર જીતે, કારણ કે કોંગ્રેસના 5 ધારાસભ્યો અત્યાર સુધી રાજીનામા આપી ચૂક્યા છે.
2017, 2019, 2020માં થઇ મોટી તોડજોડ
સૌથી મોટો સવાલ અહીં એ છે કે ગુજરાતની રાજનીતિમાં નેતાઓ પોતાના રોટલા શેકવા માટે જનતાના વિશ્વાસ સાથે રમત રમી રહ્યા છે અને ભાજપ દર વખતની જેમ તોડજોડની રાજનીતિ રમી રહ્યું છે. કારણ કે 2017માં રાજ્યસભાની ચૂંટણી સમયે શંકરસિંહ વાઘેલા ગેમ રમ્યા હતા અને 14 ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામા ધરી દીધા હતા. જેમાંથી બે ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યા બાદ રાજીનામા આપ્યા હતા. આવી જ રીતે 2019માં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કરીને કોંગ્રેસની પીઠ પાછળ ઘા કર્યો હતો. અને હવે 2020માં કોંગ્રેસના 4 ધારાસભ્યોએ રાજીનામા ધરી લીધા છે. એટલે કે ચાર વિકેટ ખડતા સ્પષ્ટ પણે ભાજપના પક્ષમાં રાજ્યસભાની ત્રીજી બેઠક પણ જઈ રહી છે.
પક્ષપલટુ રાજનીતિ પર સવાલ?
જોકો હાલ કોંગ્રેસ પણ પોતાના ધારાસભ્યોને પક્ષપલટાની બીકથી જયપુર લઈને પહોંચી છે. મોટા ભાગના ધારાસભ્યો હોટેલમાં છે. તેમજ તેમના ફોન પણ બંધ રાખવામાં આવ્યા છે. પરંતુ જે જયપુરમાં નથી તેમાંથી કેટલાક સંપર્કમાં પણ નથી. ત્યારે સવાલ એ થાય છે કે દર વખતે ચૂંટણી આવે ત્યારે જ કેમ ધારાસભ્યોની નારાજગી સામે આવે છે ? શું કોંગ્રેસના નેતાઓની દુઃખતી નસ ભાજપ પાસે છે? નેતૃત્વના નામે જ કેમ કોંગ્રેસના ધારાસભ્યો પક્ષ પલટો કરે છે? શું કોંગ્રેસના ધારાસભ્યોને પોતાના મત વિસ્તારમાં કામ કરતા નેતૃત્વ રોકે છે? ભાજપ પાસે પુરતું સંખ્યાબળ નહોતું તો ત્રીજો ઉમેદવારને કોમ મેદાનમાં ઉતાર્યો? શું ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોની ખરીદી કરે છે? શું ભાજપને ગાળો ભાંડતા નેતાઓ ભાજપમાં જતા દૂધના ધોએલા બની જાય છે ? સવાલો અનેક છે. જેનો આજે ગુજરાતની જનતાને જવાબ જોઈએ છે. કારણ કે અહીં વિશ્વાસ ઘાત જનતાના વિશ્વાસ સાથે થયો છે. જોકે હવે પેટા ચૂંટણી તો નક્કી જ છે. ત્યારે એ પણ સ્પષ્ટ થઈ જશે કે જનતા આવા નેતાઓના અલ્પેશ અને ધવલસિંહ જેવા હાલ કરે છે કે, પછી તેમના પર ભરોસો કરે છે.