જામનગરમાં અખિલ ભારતીય પંચાયત પરિષદ દ્વારા ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ ખેડૂત સંમેલનમાં કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ પણ ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂત સંમેલનમાં હાજરી આપવા આવેલા વિક્રમ માડમે જાહેરાત કરતા જણાવ્યું હતું કે તેઓ આગામી લોકસભાની ચૂંટણી નહી લડે.
તેમણે જણાવ્યું હતું કે તેઓ યુવાનને તક આપશે અને પાર્ટી જેને ટિકિટ આપશે તેને જીતાડવા પ્રયાસ કરશે. તો હાર્દિક પટેલના વખાણ કરતા વિક્રમ માડમે જણાવ્યું હતું કે હાર્દિક જેવા નેતાની દેશને જરૂર છે. હાર્દિક કોઈ પણ પક્ષમાંથી ચૂંટણી લડે તો તેનું સ્વાગત છે. હાર્દિક પટેલ જો કોંગ્રેસમાંથી લડે તો પક્ષને સફળતા મળે તેમ છે.
મહત્વનું છે કે થાડા દિવસો અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે જામનગરની લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની ના પાડી હતી. આ મામલે તેમણે કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ તથા પ્રમુખ અમિત ચાવડા સાથે ચર્ચા કરી હતી. અંગત કારણોસર ચૂંટણી નહીં લડવા માટેની જાહેરાત કરી હતી. તેમજ અન્ય ઉમેદવારને જામનગરમાં તક મળશે તેવી આશા વ્યક્ત કરી હતી.