ગુજરાતમાં કોરોના સંકટ વચ્ચે રાજ્યસભાની ચૂંટણીને લઇને રાજકીય 'તોડોના' નું સંકટ જોવા મળી રહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યોએ આપેલા રાજીનામાંને લઇને રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસમાં એક સાંધે તેર તૂટે જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ રાજીનામાંને લઇને ભાજપ પર આક્ષેપ કર્યાં છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસે ધારાસભ્યોને તુટવાના ડરે ઝોન પ્રમાણે એક સાથે રાખવાનો નિર્ણય લીધો છે.
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાનું નિવેદન
કોંગ્રેસના ધારાસભ્યોનાં રાજીનામા મામલે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ભાજપ પર આક્ષેપ કર્યાં છે. અમિત ચાવડાએ કહ્યું કે ભાજપ અમારા ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરે છે. અમારા આગેવાનો વિસ્તાર વાઈઝ ધારાસભ્યોના સંપર્કમાં છે. ભાજપ સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી રહી છે. બન્ને ઉમેદાવારોને જીતાડવા માટે રણનીતિ ઘડી છે.
MLA તૂટવાના ડરે કોંગ્રેસે ઝોન પ્રમાણે MLAને એકઠા કર્યા
રાજ્યમાં ધારાસભ્યોના રાજીનામાં બાદ કોંગ્રેસને હજી વધારે MLA તુટવાના ડરે બાકીના ધારાસભ્યોને ઝોન પ્રમાણે એકઠા કર્યાં છે. જેમાં સૌરાષ્ટ્રના તમામ કોંગ્રેસના ધારાસભ્યોને નિલસીટી રિસોર્ટમાં રાખ્યાં છે. નિલસીટી રિસોર્ટ ઈન્દ્રનીલ રાજ્યગુરુનો છે. ઉત્તર ગુજરાતના તમામ ધારાસભ્યને અંબાજી પાસેના રિસોર્ટમાં રાખવામાં આવશે. મધ્ય ગુજરાતના ધારાસભ્યને ઉમેટા એરીશ રિવર સાઇડ ફાર્મામાં રાખવામાં આવ્યાં છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ધારાસભ્યો હાલ તેમના નિવાસસ્થાને રાખવામાં આવ્યાં છે.
મધ્ય ગુજરાતના ધારાસભ્યો ઉમેટા રિસોર્ટમાં રોકાયા
રાજ્યસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ હવે પોતાના ધારાસભ્યોને અલગ-અલગ જગ્યાએ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. મધ્યગુજરાતના 10થી વધુ ધારાસભ્યો 35 નંબરના બંગલામાં રોકાયા છે. ભરતસિંહ સોલંકીની આગેવાનીમાં MLA રિસોર્ટમાં રોકાણ કર્યુ છે. ત્યારે મધ્ય ગુજરાતના ધારાસભ્યોને ઉમેટા રિસોર્ટમાં રોકવામાં આવ્યાં છે. આ તમામ ધારાસભ્યો પર નજર રાખવા IB ના અધિકારી તૈનાત કરવામાં આવ્યાં છે. શુક્રવાર રાતથી જ IB ના જવાનો ધારાસભ્યો પર નજર રાખી રહ્યાં છે.
રાજ્યસભાની ચૂંટણી પહેલા ધારાસભ્યો તૂટવાના ડરના કારણે ઉત્તર ગુજરાતના 21 ધારાસભ્યોને અંબાજીના રિસોર્ટમાં રાખવાનો નિર્ણય કરાયો છે. ઉત્તર ગુજરાતના તમામ કોંગી ધારાસભ્યો રવિવાર સુધીમાં વાઈલ્ડ વિન્ડસ રિસોર્ટમાં પહોંચશે. બનાસકાંઠાના 4 ધારાસભ્યો અંબાજી જવા રવાના થયા છે. ગેનીબેન, મહેશ પટેલ, શિવા ભુરિયા, ગુલાબસિંહ રવાના થયા છે.
સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યોને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનિલ રાજ્યગુરૂના રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા MLA ન તૂટે તે માટે હાઈકમાન્ડે ધારાસભ્યોને રિસોર્ટમાં બોલાવાયા છે.
દક્ષિણ ગુજરાતના 4 ધારાસભ્યો નહી જાય રિસોર્ટમાં
રાજ્યમાં હાલમાં ધારાસભ્યોની તોડ-જોડને લઇને ચાલી રહેલા રાજકારણ વચ્ચે કોંગ્રેસ તેમના બાકીના ધારાસભ્યોને અલગ-અલગ ઝોન મુજબ રિસોર્ટમાં રાખી રહ્યાં છે. ત્યારે દક્ષિણ ગુજરાતના 4 ધારાસભ્યો રિસોર્ટમાં જશે નહીં. જેમાં વ્યારા અને નિજરના ધારાસભ્ય હાલ વ્યારા સર્કિટ હાઉસમાં છે. જેમાં પુનાજી ગામિત અને સુનિલ ગામિત બંને વ્યારામાં છે. જ્યારે માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી અજ્ઞાત સ્થળે અને વાસંદના ધારાસભ્ય અનંત પટેલ તેમના ઘરે છે.