કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ આ અંગે ગૃહમાં 116 મુજબની નોટિસ પણ દાખલ કરી છે. આ અંગે વસોયાએ જણાવ્યુ કે PGVCLની બેદરકારીના કારણે ખેતરમાં આગ લાગે છે.
ઘંઉના ખેતરોમાં આગ લાગવાનો મામલો
આગ લાગવાનો મુદ્દો વિધાનસભામાં ગુંજશે
ધારાસભ્ય લલિત વસોયા કરશે ગૃહમાં રજૂઆત
ધોરાજીમાં ઘઉંના ખેતરોમાં આગ લાગવાનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ગુંજશે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ આ અંગે ગૃહમાં 116 મુજબની નોટિસ પણ દાખલ કરી છે. આ અંગે વસોયાએ જણાવ્યું કે વીજ કંપનીની બેદરકારીના કારણે ખેતરમાં આગ લાગે છે. તથા આ માટે વીજ કંપનીની નબળી કામગીરી જવાબદાર છે. ખેડૂતોને યોગ્ય વળતર મળવું જ જોઈએ તેવું વસોયાએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 2 દિવસમાં 3 ખેતરોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.
હાલ એક તરફ મહામારી ચાલી રહી છે. નોકરી ધંધા ઠપ છે. ખેડૂતોનો પાક પણ તૈયાર થઈને પડ્યો છે .ગત વર્ષે પણ આ સમયે જ લોકડાઉન લાગી ગયું હતું. ત્યારે ખેડૂતોનો તૈયાર મોલ પાણીના ભાવે વેચાયો હતો. તો આ તરફ જેતપુરથી એક માઠા સમાચાર સામે આવ્યા હતા. એકતરફ ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. બીજી તરફ ખેડૂતોને મહેનતના પ્રમાણમાં પૈસા નથી મળી રહ્યા એવામાં 27 માર્ચે એક ખેડૂતની આખા વર્ષની મહેનત નજરોની સામે સળગતી જોઈને જગતના તાતે આગમાં ઝંપલાવી દીધું હતું. પાક તો ન બચ્યો અને ખેડૂતે પણ જીવ ગુમાવ્યો છે.
દુર્ઘટનામાં ખેડૂતનો જીવ ગયો
જેતપુરના દેવકી ગલોળ ગામના ખેડૂતનું સળગી જવાથી મૃત્યુ થયું છે. ઘઉંના પાકમાં કોઇ કારણસર આગ લાગતા દુર્ઘટના બની હતી. ખેતરમાં સળગી રહેલા પાકને બચાવવા જતા ખેડૂતે પોતાનો જીવ ગુમાવ્યો છે. જોકે ખેતરમાં આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
વીજલાઈનના કારણે ખેડા જિલ્લામાં ખેતરમાં આગ
ખેડા જિલ્લામાં 25 માર્ચના દિવસે ખેડૂતની મહેનત આગના કારણે ખાખ બની ગઈ હતી. ઠાસરાના હરિપુર ગામે ખેતરમાં ઘઉંનો તૈયાર પાક બળીને ખાખ થઈ ગયો છે. ખેતર પરથી પસાર થતી વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ થઈ હતી. વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના તણખા ઘઉંના પાકમાં પડતા આગ લાગી હતી. અને સમગ્ર પાકને નુકસાન થયું છે. ખેડૂતોએ ઈમરજન્સી સેવા 101માં ફોન કરવા છતાં કોઈ જવાબ મળ્યો નહોતો. વીજ લાઈનના કારણે ત્રણ વિઘા ઉપરાંત જમીનમાં ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો છે. મહામહેનતે ખેડૂતના હાથમાં આવેલો કોળિયો પણ ઝૂંટવાઈ ગયો છે.