પાટણના હારિજમાં રાજ્ય સરકારે ચણાની ટેકાના ભાવે ખરીદી કરી હતી. આ ખરીદીમાં ખોટા રજીસ્ટ્રેશન કરી મોટું કૌભાંડ આચર્યું હોવાની જાગૃત નાગરિક અને કોંગ્રેસ ધારાસભ્ય દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.
પાટણના હારીજમાં ચણા ખરીદીમાં ગેરરીતિની ફરિયાદ
કૃષિ મંત્રીએ જિલ્લા કલેકટરને તપાસ માટે આપ્યા આદેશ
ગેરરીતિ માલુમ પડશે તો પગલાં લેવાશેઃ મંત્રી રાઘવજી પટેલ
રાજકીય મહેચ્છાઓ માટે આક્ષેપ કરાયોઃ APMC ડિરેક્ટર
મગફળી કૌભાંડ, બારદાન કૌભાંડ અને મગફળીમાં માટી અને ધૂળ ભેળવવાના કૌભાંડો તો તમે સાંભળ્યા હશે પરંતુ હવે આખે આખી ઉપજની ખરીદીના કૌભાંડ પણ સામે આવી રહ્યા છે. પાટણ જિલ્લાના કેટલાક ખેડૂતોએ ચણા વાવ્યાજ નથી તેમ છતા તેમના ચણાની ખરીદી ઓન રેકોર્ડ બોલાઈ રહી છે. પાટણના MLA કિરીટ પટેલે વિધાનસભામાં ચણાની ખરીદીમાં ગેરરીતિ થઈ હોવાના આરોપ લગાવ્યા અને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો. બીજી બાજુ જે ખેડૂતોના નામે ચણાની ખરીદી થઈ છે તેમને પણ સમગ્ર વાત જાણીને નવાઈ લાગી અને કહ્યુ કે જો ઉપજ વાવી જ નથી તો વેચાણ અને ખરીદીની વાત ક્યાંથી આવી અને કોણે કૌભાંડ કર્યુ તે પણ વિચારવા જેવો વિષય છે.
પાટણના હારિજ માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી ચાલી રહી છે ત્યારે અહીં ખેડૂતોના નામે ખોટી ખરીદી થતી હોવાના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે આક્ષેપ કર્યા હતા. કિરીટ પટેલે વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો હતો. ખેડૂતોએ વાવણી ન કરી હોવા છતા ખરીદી થતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા. જ્યાં ચણા નથી થતા ત્યાં નકલી ખેડૂતોએ ચણા વેચ્યા છે. ખેડૂતોના મારા પર ફોન આવ્યા હતા કે એક પણ ખેડૂત અહીં ચણાની વાવણી કરતો નથી, ખેડૂતોના નામે ખોટી ખરીદી થાય છે તેવા કિરીટ પટેલે આક્ષેપ કર્યા છે. હારીજના સોખડા અને અડિયા ગામના ખેડૂત બની કૌભાંડ આચર્યું છે. કૃષિ મંત્રીએ પણ વિધાનસભામાં વાત સ્વીકારી તે ઘટના બની છે. ભુતકાળમાં કૌભાંડ મગફળીના થયા અને મુદ્દાઓ દબાઈ ગયો એવુ ન થાય તે પણ કહ્યુ છે. સમગ્ર મુદ્દે કૃષિ મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. આ મામલે કૃષિમંત્રી દ્વારા હાલ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જેને લઇને 2 દિવસથી ચણાની ખરીદ બંધ કરવામાં આવી છે.
કૃષિ મંત્રીએ આપ્યા તાત્કાલિક તપાસના આદેશ
કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા પાટણમાં ચણાની ખરીદીમાં ગેરરીતિ મુદ્દે જિલ્લા કલેક્ટરને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, પાટણના હારીજમાં ચણા ખરીદીમાં ગેરરીતિની ફરિયાદ મળી છે. તંત્રને સમગ્ર મામલે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. ગેરરીતિ માલુમ પડશે તો જવાબદારો સામે પગલાં લેવાશે.
ઓનલાઈન પ્રક્રિયા હોય છે એટલે કૌભાંડની વાત નકારું છું: APMCના ડિરેક્ટર માનસિંહ ચૌધરી
હારીજ APMCના ડિરેક્ટર માનસિંહ ચૌધરીએ આ અંગે કહ્યું કે, ધારાસભ્ય કિરીટ પટેલનાં કૌભાંડવાળા આક્ષેપો ખોટા છે. રાજકીય મહેચ્છાઓ માટે આક્ષેપ કરાયો છે. કોઈની સામે આંગળી કરતા અગાઉ આપણી 3 આંગળી જોવી જોઈએ. ખેડૂતના મોબાઈલમાં OTP આવ્યા બાદ જ ખરીદ થાય છે. ઓનલાઈન પ્રક્રિયા હોય છે એટલે કૌભાંડની વાત નકારું છું. ધારાસભ્ય કિરીટ પટેલને ઉદ્દેશીને માનસિંહ ચૌધરીએ ચિમકી ઉચ્ચારી છે. તેમણે કહ્યું કે, તમે સારા છો કે કેવા છો એ અમારે ન બોલવું પડે તો સારું.
અમને ખબર નથી કે કેવી રીતે છેતરપિંડી થઇઃ દિલીપ સંઘાણી
પાટણમાં ચણાની ખેતીમાં ગેરરીતિ મામલે ઇફ્કો ચેરમેન દિલીપ સંઘાણીએ VTV સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, હું ખેડૂતોની સાથે છું. અમને ખબર નથી કે કેવી રીતે છેતરપિંડી થઇ છે.
કોણ કરી રહ્યું છે ચણાની ખરીદી ?
સરકારે ગુજકોમાસોલને ટેકાના ભાવે ચણા ખરીદ કરવા એજન્સી આપેલી છે. ગુજકોમાસોલ દ્વારા હારિજ યાર્ડના ચેરમેનની મંડળી ધી. હારિજ તાલુકા ખેત ઉત્પાદન ખરીદ વેચાણ સંઘ મંડળીને ચણા ખરીદ કેન્દ્ર આપેલ છે. મહત્વનું છે કે, કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ગુજકોમાસોલના અધિકારીઓની સંડોવણી હોઇ શકે તેવા પણ આક્ષેપ કર્યા છે.