કોરોના દર્દીમાં જોવા મળતા મ્યુકોર્માઇકોસિસના રોગને લઈ કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શૈખે ગુજરાત હાઈકોર્ટમાં કરી અરજી, મ્યુકોર્માઇકોસિસ દર્દીની સારવાર ન થતી હોવાના આરોપ
મ્યુકોર્માઇકોસિસને લઇ હાઇકોર્ટમાં અરજી
ધારાસભ્ય ગ્યાસુદ્દીન શૈખે કરી અરજી
"હોસ્પિટલમાં યોગ્ય સારવાર થતી નથી"
મ્યુકરમાઇકોસીસને લઇ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શૈખે અરજી કરી છે, આ અરજીમાં તેમણે જણાવ્યુ છે કે મ્યુકોર્માઇકોસિસ દર્દીની સારવાર થતી નથી. રાજ્ય સરકાર સંચાલિત હોસ્પિટલમાં યોગ્ય સારવાર થતી નથી. મ્યુકોર્માઇકોસિસના દર્દી માટે દવાઓનો અભાવ છે. હોસ્પિટલોમાં મ્યુકોર્માઇકોસિસના નિષ્ણાંત તબીબોનો અભાવ છે. હોસ્પિટલો મ્યુકોર્માઇકોસિસ દર્દીને વચ્ચે જ ડિસ્ચાર્જ આપે છે. સરકારી હોસ્પિટલોનું વલણ ગેરબંધારણીય છે. સુઓમોટો સાથે મ્યુકોર્માઇકોસિસ મુદ્દો સાંભળવા માંગ કરવામાં આવી છે. આ અંગે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.
કોંગ્રેસ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ કહ્યું, સરકાર આંકડા છૂપાવે છે
રાજ્યમાં કોરોનાના આંકડાને લઇ કોંગ્રેસે સરકાર પર મોટો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ કહ્યું કે સરકાર કોરોનાથી મોતના આંકડા છૂપાવી રહી છે. રાજ્યમાં કોરોનાથઈ 1.50 લાખ કરતા વધુ લોકોના મૃત્યુ થયું છે. અને સરકાર માત્ર 8 હજાર 200 લોકોના મૃત્યુ જાહેર કર્યા છે. સરકાર વાસ્તવિક સ્થિતિ છૂપાવી રહી છે. નૌશાદ સોલંકીએ માગ કરી છે કે સરકાર કોરોનાથી મૃતકોના પરિવારને 4 લાખની સહાય કરે. અને સાચા આંકડાઓ રજૂ કરે. સરકારે રજૂ કરેલા આંકડા 8 હજાર 200 તદ્દન ખોટ છે. સરકાર પોતાની છબી બગડતી અટકાવા માટે ખોટા આંકડા આપે છે. ત્યારે સરકાર મૃત્યુના કારણ સાથેનું શ્વેતપત્ર જાહેર કરે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના આક્ષેપ
ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની સ્થિતિ વણસી છે. ત્યારે કોરોનાની વણસી રહેલી સ્થિતિને લઇ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેઓએ કહ્યું કે, ગ્રામ્ય વિસ્તારમાં ભયંકર સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે વ્યવસ્થાના નામે ઝીરો છે. ગ્રામ્ય વિસ્તારમાં હોસ્પિટલો જ નથી. અને મારું ગામ કોરોના મુક્ત ગામના નામે પણ માત્ર ફોટો પડાવામાં આવે છે. માત્ર ગોદડા લાવી અને ફોટો પડાવી દેવામાં આવે છે. અમિત ચાવડાએ કહ્યું કે જિલ્લામાં આરોગ્યની સ્થિતિ ખુબ નાજૂક છે. અને હોસ્પિટલોમાં સીટી સ્કેનની સુવિધા પણ નથી. ગ્રામ્ય વિસ્તારમાં ટેસ્ટિંગ પણ નથી કરવામાં આવી રહ્યું. અને વેક્સિનના ડોઝ પણ માત્ર 50 જ અપાઇ રહ્યા છે.
શું છે આ મ્યુકોર્માઇકોસિસ રોગ
જવલ્લે જ જોવા મળતો મ્યુકોર્માઇકોસિસ ફુગથી થતો ગંભીર રોગ છે. મ્યુકોર્માઇકોસિસ ફૂગ જીવસૃષ્ટિમાં બધે જ જોવા મળે છે. ખાસ કરીને માટીમાં વધુ જોવા મળે છે. મ્યુકોર્માઇકોસિસ ફૂગ માનવ શરીરમાં શ્વાસ કે ત્વચા પરના ઘા થકી પ્રવેશે છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવી વ્યક્તિમાં પ્રવેશેલી મ્યુકોર્માઇકોસિસની ફૂગ શરીર પર હાવી થઈ જાય છે અને પ્રસરવા લાગે છે.
હાઇ રિસ્ક ગ્રુપના વ્યક્તિ જેવા કે અનકંટ્રોલડ ડાયાબીટીઝ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, ડ્રગનું સેવન કરનાર, લાંબા સમયથી સ્ટિરોઇડ આપવામાં આવતું હોય, ભેજવાળો ઓક્સિજન લઇ રહ્યા હોય, કુપોષિત, અવિકસીત નવજાત બાળક, સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય, ત્વચા પરની કોઈ સર્જરી- ઘા કે દાઝેલી ત્વચા વાળી વ્યક્તિને મ્યુકોર્માઇકોસિસ રોગ થવાની સંભાવના વધુ છે.
મ્યુકોર્માઇકોસિસ રોગના લક્ષણો
એક બાજુનો ચહેરો સોજી જવો
માથાનો દુઃખાવો
નાક બંધ થવું કે સાઇનસની તકલીફ
મોઢામાં તાળવે કે નાસિકાઓમાં કાળો ગઠ્ઠો જમા થવો અને તેમાં વધારો થવો
આંખમાં દુખાવો,દ્રષ્ટિ ઓછી થવી
તાવ, કફ, છાતીમાં દુઃખાવો
શ્વાસ રૂંધાવો, પેટનો દુખાવો
ઉબકા આવવા કે ઉલટી થવી
આંતરડામાં રક્તસ્ત્રાવ થવો ,જેવા લક્ષણો જોવા મળે છે