રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યો પાલનપુરના રિસોર્ટમાં રોકાયા છે. કોંગ્રેસના 71માંથી 61 ધારાસભ્યોએ બાલારામ રિસોર્ટમાં રાત્રી રોકાણ કર્યો હતો. આ રિસોર્ટમાં કોંગ્રેસના 10 ધારાસભ્યો ગયા નથી. રથયાત્રા પૂર્ણ થયા બાદ 5 ધારાસભ્યો રિસોર્ટમાં જશે. શુક્રવારના સવારે મતદાન સમયે પરત લાવશે.
જ્યારે અન્ય 5 ધારાસભ્યો કોંગ્રેસના રિસોર્ટમાં જશે નહીં. કોંગ્રેસના ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે તેવુ અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું. ત્યારે હવે ગેનીબેન ઠાકોરે અલ્પેશ પ્રતિક્રિયા આપી છે કે, અલ્પેશ ઠાકોર પાસે કોંગ્રેસના ધારાસભ્યોના નામ હોય તો જાહેર કરવા જોઈએ. કોંગ્રેસ પાસે માત્ર 3 ધારાસભ્યોના જ નામ છે. આ દરમિયાન ગેનીબેને, ભરતજી ઠાકોરને આડકતરા અલ્પેશ ઠાકોરના માણસ પણ ગણાવ્યા હતા.
રિસોર્ટમાં ધારાસભ્ય સોમા પટેલનું વિવાદીત નિવેદન
તો બીજી તરફ સોમા પટેલે વિવાદીત નિવેદન આપ્યુ છે. સોમા પટેલે વીટીવી સાથે વાત કરતા જણાવ્યુ હતું કે, રિસોર્ટમાં કોંગ્રેસના ધારાસભ્યો આનંદ કરવા માટે આવ્યા છે. બે દિવસની રજા હતી. જેના કારણે ધારાસભ્યો આનંદ કરવા આવ્યા હતા. સોમા પટેલે નિવેદન આપતા કોંગ્રેસના શિબિર પર સવાલ ઉઠી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દ્વારા ધારાસભ્યો માટે આખુ બાલારામ રિસોર્ટ બુક કરાવવામાં આવ્યુ છે. આ રિસોર્ટમાં કુલ 34 રૂમો આવેલા છે. ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો માટે પાંચ જુલાઈએ ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે રાજ્યસભામાં ચોખ્ખી હાર ભાળી ગયેલી કોંગ્રેસ 2017ના ઘટનાક્રમનું જાણે પુનરાવર્તન કરવા જઈ રહી છે. મતદાન પૂર્વે ધારાસભ્યો તૂટવાના ડરે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને બનાસકાંઠામાં આવેલ બાલારામ રિસોર્ટમાં લઈ ગઈ છે.