રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 778 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં 421 દર્દીઓ સાજા થયા છે. જ્યારે 17 દર્દીઓના મૃત્યુ થયા છે. જેથી હાલમાં 8913 એક્ટિવ કેસ છે. તેવામાં હવે રાજ્યમાં કોરોનાની ઝપેટમાં નેતાઓ પણ આવી રહ્યા છે. ભરતસિંહ સોલંકી બાદ હવે ગુજરાતના બે ધારાસભ્ય પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. મહત્વનું છે કે, ગઇકાલે શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા ડિસ્ચાર્જ કરાયા હતા.
ગેનીબેન ઠાકોરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
સુરતમાં વધુ એક ધારાસભ્ય કોરોના પોઝિટિવ
વી.ડી.ઝાલાવડીયાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
કોંગ્રેસ નેતા ભરતસિંહને હાલમાં વેન્ટિલેટર પર છે ત્યારે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય ગેનીબેન ઠાકોર કોરોનાની ઝપેટમાં આવ્યા છે. ગેનીબેન ઠાકોરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઇને તેમની સારવાર ગાંધીનગરમાં ચાલી રહી છે. ત્યારે ભાજપના પણ એક ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડીયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે તેમને સામાન્ય લક્ષણો હોવાથી તેમની સારવાર ઘરે જ ચાલી રહી છે. મહત્વનું છે કે, થોડા દિવસ અગાઉ જ વી.ડી. ઝાલાવાડીયા મુખ્યમંત્રીની બેઠકમાં હાજર રહ્યા હતા.
અત્યાર સુધીમાં ક્યાં નેતાને થયો હતો કોરોના?
ગુજરાતના નેતાઓમાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ, ભાજપના ધારાસભ્ય કિશોર ચૌહાણ, ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને કોરોના થયો હતો. જેકે આ તમામ નેતાઓ કોરોનાને હરાવીને સ્વસ્થ થઇ ચૂક્યા છે. જોકે હજુ ભરતસિંહ સોલંકીની કોરોનાની સારવાર ચાલી રહી છે.
ભરતસિંહ સોલંકીની તબિયત પર CIMS હોસ્પિટલનું નિવેદન
રાજ્યસભાની ચૂંટણી બાદ ભરતસિંહનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને લઇને તેમને વડોદરાની હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે ખસેડાયા હતા. જોકે કોરોનાની લાંબી સારવાર બાદ સ્થિતિમાં સુધારો ન આવતા તેમને CIMS હોસ્પિટલ ખસેડાયા હતા. તેઓ અહીં છેલ્લા એક સપ્તાહથી સારવાર લઇ રહ્યા છે. ત્યારે તેમની તબિયત પર CIMS હોસ્પિટલે નિવેદન આપ્યું હતું. CIMS હોસ્પિટલના ડૉક્ટરે કહ્યું કે, ભરતસિંહને હાલમાં વેન્ટિલેટર રાખવામાં આવ્યા છે. વેન્ટિલેટર પર ભરતસિંહની હાલત સ્થિર છે. મહત્વનું છે કે, ભરતસિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને 22 જૂનથી સારવાર ચાલી રહી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીના ખબર અંતર પૂછ્યા છે. તેમણ CIMS હોસ્પિટલના ડોક્ટર્સ સાથે આ અંગે ચર્ચા પણ કરી છે. યોગ્ય સારવાર અને સવલત માટે તેમણ ભલામણ કરી છે. કોરોના સંક્રમિત ધારાસભ્યો સાથે પણ તેમણે ટેલિફોનિક વાતચીત કરી છે. તેમણે ગેનીબેન ઠાકોર અને જે. વી. ઝાલાવાડિયા સાથે વાત કરી છે.