એક તરફ સૌરાષ્ટ્ર-કચ્છમાં પીવાનું પાણી પુરૂ પાડવા રૂપિયા 2૦૦ કરોડ ફળવવામા આવ્યા છે. બીજી તરફ વરસાદની અછતના કારણે સૌરાષ્ટ્રમાં જળસંકટની સ્થિતિ પેદા થઇ છે. ત્યારે કોંગ્રેસ આ મામલે સક્રિય થતા રાજ્ય સરકારને પત્ર લખ્યો છે.
એક તરફ રાજ્યમાં વરસાદ ખેંચાયો છે. તેવામાં પણ સૌરાષ્ટ્રમાં વરસાદનું એક પણ ટિપું પડ્યું નથી. ત્યારે હવે કોંગ્રેસના નેતાઓ મેદાનમાં આવી ગયા છે. ભાવનગરના ગઢડાના ધારાસભ્યએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ મામલે પત્ર લખ્યો છે.
ધારાસભ્ય પ્રવીણ મારૂએ ખેડૂતોને સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડવાની માગણી કરી છે. ધારાસભ્ય પ્રવીણ મારૂએ પત્રમાં ઉલ્લેખ કરતાં કહ્યું કે બોટાદ, ઉમરાળા અને વલ્લભીપુર બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવામાં આવે.
તેમણે પાણી છેવાડાના ગામડાઓ સુધી ન પહોંચતું હોવાની પણ ફરિયાદ કરી છે. પશુધન, ઘાસચારો અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માગણી કરી છે. આ સાથે જ રંઘોલા ડેમમાં પણ પાણી છોડવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
આ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતો પણ વાવણી કરીને વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે પાક નિષ્ફળ ન જાય તે માટે હવે કોંગ્રેસી નેતાએ મુખ્યમંત્રીને પત્ર લખીને સિંચાઈ માટે પાણીની માગણી કરી છે.