હાલ આગામી ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓ એક્ટિવ થઇ ચૂકી છે ત્યારે કોંગ્રેસના મહિલા ધારાસભ્યએ ગાંધીનગર ખાતે આદિવાસી સત્યાગ્રહ સભામાં દરમિયાન ભાજપ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે.
ભાજપના નેતાઓને ઘુસવા નથી દેવાનાઃ ચંદ્રિકાબેન
મને ભાજપે 50 કરોડમાં આવવા કહ્યુંઃ ચંદ્રિકાબેન
હું આદિવાસી હક માટે મને યોગ્ય લાગે એ બોલું છુંઃ ચંદ્રિકાબેન
એક તરફ વિધાનસભાનુ સત્ર ચાલી રહ્યુ ઉપરાંત ચૂંટણી પણ નજીક આવી રહી છે એવામાં કોંગ્રેસ સક્રિય થતી નજરે પડી રહી છે. વિજળી પાણી સહિતના મુદ્દે ખેડૂતો પરેશાન હોવાથી કોંગ્રેસે મોટી સંખ્યામાં ખેડૂતોને સાથે રાખી વિશાળ ગાંધીનગર ખાતે જબરદસ્ત વિરોધ પ્રદર્શન કર્યુ હતું. બીજી તરફ પાર-તાપી-નર્મદા પ્રોજેક્ટના વિરોધના ભાગ રૂપે સત્યાગ્રહ છાવણીમાં ખેડૂતો અને આદિવાસીઓ મોટી સંખ્યામાં એકત્રીત થયા હતા જ્યાં કોંગ્રેસી આગેવાન અનંત પટેલ પણ આદિવાસીઓના પડતર પ્રશ્નોને લઈ આ પ્રદર્શનમાં જોડાયા હતા. આદિવાસીને જંગલ વિસ્તારથી દૂર કરવાના ષડયંત્રના આરોપ સાથે તેઓએ વિધાનસભા તરફ કૂચ કરી હતી. જોકે આ કૂચ દરમિયાન કોંગ્રેસની નેતાઓની અટકાયત કરાઈ હતી. બાદમાં તેમને પોલીસે મુક્ત કર્યા હતા. આ વચ્ચે હવે ગરબાડાના કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારૈયાએ ગાંધીનગર સત્યાગ્રહ આંદોલનની સભામાં આપેલું નિવેદન સામે આવ્યું છે.
ભાજપના નેતાઓને આપણી શેરીઓમાં ઘુસવા દેવાના નથીઃ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારૈયા
ધારાસભ્ય ચંદ્રિકાબેન બારૈયાએ ભાજપ નેતાઓ પર ખુબ જ ગંભીર આક્ષેપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે, આ ખુરશીની લડાઈ નથી એટલે આપણે જમીન પર બેઠાં છીએ. ભાજપના તમામ આદિવાસી ધારાસભ્યોને કાઢવાના છે. ભાજપના નેતાઓને આપણી શેરીઓમાં ઘુસવા દેવાના નથી. આદિવાસી ભાજપ નેતાઓ કઠપૂતળી થઈ ગયા છે. નિમિષાબેન ડુપ્લીકેટ સર્ટીફીકેટથી મંત્રી બન્યા છે.
મને ભાજપે 50 કરોડમાં આવવા કહ્યુ: ધારાસભ્ય ચંદ્રિકાબેન બારૈયા
વધુમાં તેમણે કહ્યું કે, ભાજપના નેતાઓને સાહેબને પૂછીને બધું બોલવું પડે છે. હું આદિવાસી હક માટે મને યોગ્ય લાગે એ બોલું છું. મને ભાજપ વાળા એમની બાજુ બેસાડવા માંગે છે. મને ભાજપે 50 કરોડમાં આવવા કહ્યું. ગાડી, બંગલા માટે હું જતી રહું એવી નથી. જીતુ ચૌધરી અને મંગળ ગાવીત રૂપિયા લઈને જતા રહ્યા હતા.
કોંગ્રેસમાં ફરીથી સીટ મળે તે માટે આવા નિવેદનો આપે છેઃ ભાજપ
ભાજપ નેતા યજ્ઞેશ દવેએ આ અંગે કહ્યું કે, કોઇ ધારાસભ્ય કે નેતા સમાજના નથી હોતા તેઓ સૌના હોય છે, તેથી આવું નિવેદન યોગ્ય નથી. ચંદ્રિકાબેન એટલા માટે આવું કહી રહ્યા છે કારણ કે તેમને કોંગ્રેસમાંથી ફરીથી સીટ મળે તે માટેનો પ્રયત્ન છે અથવા કોંગ્રેસની કમિટી જાહેર થઇ છે તેમાં તેમના કોઇ નજીકનાનું નામ નહી હોય એટલે કોંગ્રેસ પર પ્રેશર લાવવા માટે આવા નિવેદનો આપી રહ્યા છે.