અલ્પેશ ઠાકોર મુદ્દે હવે બેચરાજીનાં ધારાસભ્ય ભરત ઠાકોરે નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે, કોંગ્રેસે અલ્પેશને પાટણ લોકસભા બેઠકની ઓફર કરી હતી પરંતુ અલ્પેશે ટિકિટની વાત નકારી દીધી હતી. આ ઉપરાંત તેઓએ કહ્યું કે, અલ્પેશ આજીવન ભાજપમાં નહીં જોડાય. હજુ પણ અમે કોંગ્રેસમાં જ છીએ રાજીનામા આપવાની કોઇ વાત જ નથી. અમારામાંથી કોઇ ભાજપમાં જોડાવાનું નથી.
વીટીવી સાથેની વાતચીતમાં પણ ભરત ઠાકોરે કહ્યું કે, હું કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસમાં જ રહીશ. સમાજને જરૂર પડશે ત્યાં સમાજની પડખે ઉભો રહીશ. ભરત ઠાકોરે કહ્યું કે, ત્રણેયમાંથી કોઇ ધારાસભ્ય ભાજપમાં જોડાશે નહીં. ત્યારે ઠાકોર સેનાની કોર કમિટીની બેઠકમાં શું ચર્ચા થાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. ઉપરાંત ઠાકોર સેનાનાં હોદ્દેદારો દ્વારા અલ્પેશ ઠાકોરને અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું છે. ત્યારે બીજી બાજુ એવી અટકળો પણ તેજ બની છે કે અલ્પેશ ઠાકોર રાજીનામા બાદ ભાજપમાં નહીં જોડાય. પણ ભાજપની B ટીમ બનીને તેઓ કામ કરશે અને ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની વિરુદ્ધમાં પ્રચાર કરશે.
રણનીતિનાં ભાગરૂપે અલ્પેશ ઠાકોર કોંગ્રેસનાં હોદ્દાઓ પરથી રાજીનામું આપી દેશે અને ચૂંટણી સમયે ભાજપમાં જોડાયાની બદનામીથી બચવા માટે ભાજપની બહાર રહીને જ ભાજપને ફાયદો પહોંચાડવાનું કામ કરી શકે છે.
અલ્પેશ ઠાકોરને અલ્ટીમેટમઃ
ઠાકોર સેનાનાં હોદ્દેદારો દ્વારા અલ્પેશ ઠાકોરને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. ઠાકોર સેનાનાં હોદ્દેદારોએ અલ્પેશ ઠાકોરને 24 કલાકમાં કોંગ્રેસનાં તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપવા માટે અલ્ટિમેટમ આપ્યું છે.
આ મામલે બાયડનાં ધારાસભ્ય ધવલસિંહે પણ દાવો કર્યો છે કે, અલ્પેશ ઠાકોર 24 કલાકમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે. ક્ષત્રિય ઠાકોર સેનાની કોર કમિટીમાં નિર્ણય કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપવા અલ્પેશે પ્રિપ્લાન રચ્યું હોવા ચર્ચા વહેતી થઈ છે. ધવલ સિંહ ઝાલાએ વધુમાં એમ કહ્યું કે, પાર્ટીને અમે આગાઉ પણ રજૂઆત કરી છે પરંતુ કોઇ ચોક્કસ ઉકેલ આવ્યો નથી એટલે જો નહીં ફાવે તો રાજકારણ મુકી દઇશું.