કોંગ્રેસ પાર્ટી 31 માર્ચથી 7 એપ્રિલ સુધી મોંઘવારી અને ઈંધણના ભાવમાં વધારાના મુદ્દા પર 'મોંઘવારી મુક્ત ભારત' અભિયાન શરૂ કરશે.
ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ આંદોલનના રસ્તે
દેશભરમાં કરશે મોંઘવારી વિરુદ્ધ આંદોલન
પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાના શરૂ થયાં
કોંગ્રેસ પાર્ટી 31 માર્ચથી 7 એપ્રિલ સુધી મોંઘવારી અને ઈંધણના ભાવમાં વધારાના મુદ્દા પર 'મોંઘવારી મુક્ત ભારત' અભિયાન શરૂ કરશે. કોંગ્રેસ મહાસચિવ અને પ્રદેશ પ્રભારીઓની શનિવારે થયેલી બેઠકમાં આ પ્રકારનો નિર્ણય લેવામા આવ્યો હતો. તેની સાથે જ બેઠકમાં પાર્ટીની સદસ્યતા અભિયાન, અલગ અલગ મુદ્દા પર આંદોલનની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી. તથા હાલની રાજકીય સ્થિતિની પણ સમીક્ષા થઈ હતી.
રાજ્યના પ્રભારીઓ સાથેની બેઠકમાં લેવાયો આ નિર્ણય
પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે કોંગ્રેસ કાર્યાલયમાં થયેલી બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી, મુકુલ વાસનિક, તારિક અનવર, રણદીપ સુરજેવાલા, પવન કુમાર બંસલ અને કેટલાય અન્ય નેતાઓ જોડાયા હતા. બેઠક બાદ પ્રિયંકા ગાંધીએ ફેસબુક પોસ્ટમાં કહ્યું હતું કે, કોંગ્રેસ મહાસચિવ અને રાજ્યના પ્રભારીઓની બેઠકમાં સભ્યપદ અભિયાન અને જનતાના મુદ્દા પર આંદોલનને લઈને ચર્ચા પર વિચારો રજૂ કર્યા.
રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે કર્યા આકરાં પ્રહારો
ભાવ વધારા મુદ્દે કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ગુજરાત કોંગ્રેસ નેતા અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સરકારે ક્રુડ પર 531 ટકા એક્સાઈઝ વધારી દીધી છે. 4.5 લાખ કરોડ એક્ઝાઈઝ ડ્યુટી વસુલાતી હોવાથી આ ભાવ વધ્યા છે. તેથી આ ભાવ વધારા મામલે કોંગ્રેસ જન આંદોલન કરશે. 31 તારીખે ગેસના ભાવ વધારા મામલે દેશભરમાં પ્રદર્શન કરવામાં આવશે. 2 થી 4 એપ્રિલે જિલ્લા લેવલે પ્રદર્શન કરીશુ, 7 એપ્રિલે રાજ્ય લેવલે ભાવ વધારા મામલે થશે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેમ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.
31 માર્ચથી કોંગ્રેસ દેશવ્યાપી આંદોલન
બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, 31 માર્ચથી મોંઘવારી વિરુદ્ધ કોંગ્રેસ દેશવ્યાપરી આંદોલન કરશે. થાળી વગાડો, મોંઘવારી ભગાડોનો નારો આપવામાં આવ્યો છે. તેની સાથે જ 2-24 એપ્રિલે બ્લોક તથા જિલ્લા સ્તર પર પ્રદર્શન થશે. સાથે જ 7 એપ્રિલે રાજ્યની રાજધાનીઓમાં પ્રદર્શન કરશે. કોંગ્રેસે તમામ રાજ્યોના પ્રભારીઓને આ બેઠકમાં પોતાનો રિપોર્ટ આપ્યો હતો. આ રિપોર્ટ અને બેઠક ખાસ કરીને ચૂંટણી વાળા રાજ્યો અને પ્રભારીઓ જે જ્યાં પાંચ રાજ્યોમાં હાર થઈ છે, તેના પર ચર્ચા કરવામાં આવી હતી.
આપને જણાવી દઈએ કે, ઉત્તરાખંડ, પંજાબ, ઉત્તર પ્રદેશ, મણિપુર અને ગોવામાં કોંગ્રેસ પાર્ટીને જે રીતે ભૂંડી હારનો સામનો કરવો પડ્યો છે. તે બાદ આ બેઠક અત્યંત મહત્વની માનવામાં આવે છે. કારણ કે, પાર્ટી ટૂંક સમયમાં જ આ રાજ્યોમાં નવા પ્રભારીઓની નિમણૂંક કરશે.