વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતમાં તમામ રાજકીય પક્ષો સક્રિય થઇ ગયા છે. પક્ષો પોતપોતાની રીતે રણનીતિ ઘડી રહ્યાં છે. એવામાં કોંગ્રેસની ચૂંટણી રણનીતિ હવે વધારે તેજ બની છે.
આજે ખોડલધામ ખાતે પાટીદારો સાથે કોંગ્રેસની બેઠક યોજાઇ.
ચૂંટણી પૂર્વે ગુજરાતમાં તમામ રાજકીય પક્ષો સક્રિય
કોંગ્રેસના પાટીદાર આગેવાનો મેદાનમાં ઉતર્યા
ખોડલધામમાં યોજાઈ બેઠક
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, તમામ રાજકીય પક્ષો હવે મતદાતાઓને રીઝવવા મેદાનમાં ઉતર્યા છે. ત્યારે હવે કોંગ્રેસે પણ વિધાનસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અને કોંગ્રેસ કોઈપણ ભોગે સત્તા હાંસલ કરવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે. ત્યારે આજે ચૂંટણી નજીક આવતા કોંગ્રેસના પાટીદાર આગેવાનો મેદાનમાં ઉતર્યા છે. આજે ખોડલધામ ખાતે નરેશ પટેલ સહિત પાટીદાર આગેવાનો સાથે કોંગ્રેસના પાટીદાર સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ નેતા મનહર પટેલ સહિત પાટીદાર સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.
ચૂંટણી નજીક આવતા કોંગ્રેસના પાટીદાર આગેવાનો મેદાનમાં
બેઠક પૂર્ણ થયા બાદ કોંગ્રેસ નેતા મનહર પટેલે જણાવ્યું કે, આજે ખોડલધામ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાનોએ ખોડલધામ સંસ્થાના સ્થાપક અને પટેલ સમાજના મોભી નરેશભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત લીધી. ગુજરાતમાં આવનારા દિવસોમાં એક પરિવર્તનનો માહોલ બને અને સરકારની અંદર અમારો હિસ્સો બને અને ગુજરાતની સેવા કરવાની મોકો મળે. તે ભાવના સાથે અમે નરેશભાઈની મુલાકાત લીધી. આજે 4 વાગ્યે ધ્રાંગધ્રા ખાતે ચિંતન શિબિર યોજાશે. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો હાજર રહેશે.
ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાશે
મહત્વનું છે કે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાશે જેને લઇને ગુજરાત કોંગ્રેસ એક્ટિવ મોડમાં આવી ગયુ છે. ગુજરાતની જનતાનો વિશ્વાસ જીતવા માટે કોંગ્રેસે વચનોની લ્હાણી કરી દીધી છે.કોંગ્રેસે કહ્યું છે કે,પહેલી જ કેબિનેટમાં ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવુ માફ કરાશે.ખેડૂતોને 10 કલાક દિવસે વીજળી ફ્રી અપાશે. ખેતપેદાશો ઓછા ભાવે ખરીદવા પર પ્રતિબંધનો કાયદો લગાવાવામાં આવશે. ટેકાના ભાવ પર બોનસ અપાશે.દૂધ ઉત્પાદકોને લિટરે 5 રૂપિયા બોનસ અપાશે..
તો વર્તમાન જમીન માપણી રદ કરીને નવી કરાશે. માલધારીઓને ખેડૂતનો દરજ્જો અપાશે. શિક્ષિત બેરોજગારોને રોજગારી અપાશે. તાલુકા દીઠ ખેડૂત સહાયતા કેન્દ્ર શરૂ કરાશે.ખેડૂતોને પોષણક્ષમ ભાવ અપાશે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વીજદરો રિવાઇઝ કરવામાં આવશે.
આપને જણાવી દઈએ કે,ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં હોય એટલે વચનોની લ્હાણી થાય તે સ્વાભાવિક વાત છે પરંતુ આવનારા સમયમાં જોવાનું એ રહેશે કે ગુજરાતની જનતા કોની પર પસંદગીનો કળશ ઢોળશે.