કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક લગભગ 5 કલાક સુધી ચાલી હતી. જેમાં પાર્ટીને મજબૂત કરવાના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતા પવન બંસલે કહ્યું કે રાહુલ ગાંધીના નેતૃત્વને લઈને અમારા નેતાઓમાં કોઈ અસંતોષ નથી.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શનિવારે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી હતી. સોનિયા ગાંધીના નિવાસસ્થાન 10 જનપથ ખાતે યોજાયેલી બેઠકમાં પાર્ટીના 20 નેતાઓ હાજર રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં નારાજ કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે રાહુલ ગાંધીએ પાર્ટીનો હવાલો સંભાળવો જોઈએ.
પાર્ટી જે નક્કી કરશે તે ભૂમિકા નિભાવીશ : રાહુલ ગાંધી
આ અંગે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પાર્ટી જે ભૂમિકા નક્કી કરશે તે હું નિભાવીશ. તેમણે કહ્યું હતું કે ચૂંટણીઓ નક્કી કરશે કે કોણ નેતા હશે.
5 કલાક ચાલી બેઠક
કોંગ્રેસની આ મહત્વપૂર્ણ બેઠક લગભગ 5 કલાક સુધી ચાલી હતી. આમાં પાર્ટીને મજબૂત કરવાના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતા પવન બંસલે કહ્યું કે રાહુલ ગાંધીના નેતૃત્વને લઈને નેતાઓમાં કોઈ અસંતોષ નથી. બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ કહ્યું કે આપણે એક મોટો પરિવાર છીએ. પાર્ટીને મજબૂત બનાવવા માટે આપણે સાથે મળીને કામ કરવાની જરૂર છે. સોનિયા ગાંધીએ કહ્યું કે અમે ટૂંક સમયમાં ચિંતન શિબિર કરીશું, જેમાં ભાજપ સામે લડવાની રણનીતિ બનાવવામાં આવશે.
વરિષ્ઠ નેતાઓ હતા હાજર
ઉલ્લેખનીય છે કે આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ 10 જનપથ ખાતે મળેલી સભા માટે પહોંચ્યા હતા. જેમાં પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, પૃથ્વીરાજ ચવ્હાણ, પી ચિદમ્બરમ, ભૂપિંદર સિંહ હૂડ્ડા, અંબિકા સોની, મનીષ તિવારી, ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, કમલનાથ વગેરે સામેલ હતા.
સોનિયા ગાંધીએ આંતરિક કલેહ ઠારવા બોલાવી હતી બેઠક
આ બેઠક સોનિયા ગાંધીએ કોંગ્રેસના આંતિરક કલેહ પર લગાવવા તેમ જ પાર્ટીના નવા પ્રમુખની ચૂંટણીના પડકારોમાંથી કોઈ ઉકેલ શોધવા માટે બોલાવી હતી. આ બેઠકમાં સોનિયા ગાંધી પક્ષના નારાજ નેતાઓને પણ મળ્યા હતા જેમણે ચાર મહિના પહેલા કોંગ્રેસ અધ્યક્ષને પત્ર લખ્યો હતો અને પાર્ટીના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા હતા. આ પત્ર પછી કોંગ્રેસ કાર્યકારી સમિતિ (સીડબ્લ્યુસી) ની બેઠકમાં રાજકીય ઘમાસાણ થયું હતું.
પાર્ટીના અન્ય નેતાઓએ શું કહ્યું?
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે જણાવ્યું હતું કે પાર્ટીના 20 નેતાઓએ લગભગ 5 કલાક સુધી બેઠક યોજી હતી. પાર્ટીની મજબૂતાઈ માટે તમામ નેતાઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા. ભવિષ્યમાં વધુ બેઠકો થશે. પચમઢી અને શિમલા જેવી ચિંતન શિબિર પણ હશે. પાર્ટીને મજબૂત બનાવવાની વાત કરનારા નેતાઓના તમામ સૂચનો ધ્યાનમાં લેવામાં આવશે.
જ્યારે બીજી બાજુ કોંગ્રેસના નેતા હરીશ રાવતે કહ્યું કે વાતચીત સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં થઈ હતી. સંગઠનાત્મક મુદ્દાઓની ચર્ચા કરવા માટે અમે ફરીથી મળવાનું નક્કી કર્યું છે. અમે કૃષિ કાયદા સામેની તેમની લડતમાં ખેડૂતોની સાથે છીએ.