કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે કોંગ્રેસના ભવિષ્યને લઇને નિવેદન આપ્યું છે. ખુર્શીદે કહ્યું કે કોંગ્રેસ માટે ચૂંટણી જીતવી તો દૂરની વાત છે, પરંતુ પોતાનું ભવિષ્ય પણ નક્કી કરી શકતી નથી. રાહુલ ગાંધીએ પાર્ટી અધ્યક્ષ પદ ઉતાવળમાં છોડ્યુ.
કોંગ્રેસ માટે ચૂંટણી જીતવી દૂરની વાત છે
કોંગ્રેસ હારમાંથી બહાર આવવા લાંબો સમય લઈ રહી છે
રાહુલે પાર્ટી અધ્યક્ષ પદ ઉતાવળમાં છોડ્યુ
કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદનું પાર્ટી માટે મોટું નિવેદન
સલમાન ખુર્શીદે કહ્યું છે કે પાર્ટી હાલમાં સંઘર્ષના સમયમાંથી પસાર થઇ રહી છે. હરિયાણા અને મહારાષ્ટ્રમાં યોજાનારી ચૂંટણીમાં પાર્ટીની જીતની શક્યતા ઘણી ઓછી છે. ભારતના પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે કહ્યું કે માત્રા આગામી રાજ્યની વિધાનસભા ચૂંટણી નહીં પરંતુ કોંગ્રેસ પાર્ટીની હાલત એવી થઇ ગઇ છે કે તે પોતાનું ભવિષ્ય પણ નક્કી કરી શકતી નથી.
કોંગ્રેસ હારમાંથી બહાર આવી શકતી નથીઃ ખુર્શીદ
એક મીડીયા કંપની સાથેના ઇન્ટરવ્યુંમાં કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદે કહ્યું કે કોંગ્રેસને મુશ્કેલીનો સામનો એટલા માટે કરવો પડી રહ્યો છે કે પાર્ટી અત્યાર સુધી 2019ની લોકસભાની ચૂંટણીમાં મળેલી હારમાંથી બહાર જ આવી શકતી નથી.
રાહુલ ગાંધીએ ઉતાવળમાં છોડ્યું અધ્યક્ષ પદ
સલમાન ખુર્શીદે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં મળેલી પાર્ટીની હાર બાદ રાહુલ ગાંધીએ ઉતાવળમાં પાર્ટીનું અધ્યક્ષ પદ છોડ્યું. સોનિયા ગાંધીને હાલ કોંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષ બનાવામાં આવ્યાં છે. ઓક્ટોબરમાં રાજ્યની ચૂંટણી પૂરી થયા બાદ નવા અધ્યક્ષનો નિર્ણય લેવામાં આવશે.
પાર્ટી છોડી જઇ રહ્યાં છે નેતાઓ
કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે જણાવ્યું કે અમે વાસ્તવમાં એકસાથે વિશ્લેષણ કરી શકતા નથી કે અમારી હાર કેમ થઇ. અમારી સૌથી મોટી સમસ્યા એ રહી છે કે અમારા નેતાઓ પાર્ટી છોડીને જઇ રહ્યાં છે.