કોંગ્રેસે લગાવ્યા ગંભીર આક્ષેપ; LCB,SOG,IPS સહિતના અધિકારીઓ ભાજપ સાથે મળી કામ કરી રહ્યા છે
કોંગ્રેસે લગાવ્યા ગંભીર આક્ષેપ
"અધિકારીઓ ભાજપને કરાવી રહ્યા છે ફાયદો: અર્જુન મોઢાવાડિયા
OBC મુખ્યમંત્રી મામલે પણ કોંગ્રેસની પ્રતિક્રિયા
"બદલવા પડે તેવા CM તો નહીં જ બનાવીએ"
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022ની હવે ઘડીઓ ગણાઇ રહી છે. 5 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન યોજવાનું છે. ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકો પર આવતીકાલે મતદાન થવાનો છે. બીજા તબક્કાના મતદાન પહેલા રાજકીય માહોલ સતત જામી રહ્યો છે. રાજકીય પાર્ટીઓ એક બીજા પર આક્ષેપો કરી રહી છે. કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી ચૂંટણીમાં તૈનાત કેટલાક અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે.
કોંગ્રેસે અધિકારીઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી ચૂંટણીમાં તૈનાત કેટલાક અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે, અર્જૂન મોઢવાડિયાએ કહ્યુ કે, કેટલાક અધિકારીઓ પોતાની જાતને સરકારની જગ્યાએ ભાજપના અધિકારી માને છે અને તે પ્રમાણે વર્તી રહ્યા છે. તેમણે કહ્યું કે, કેટલાક અધિકારીઓ ચૂંટણીપંચને વફાદાર રહેવાને બદલે ભાજપ તરફ પોતાની વફાદારી બતાવી રહ્યા છે
અધિકારીઓ ભાજપ સાથે મળી કામ કરી રહ્યા છે: કોંગ્રેસ
અર્જુન મોઢાવાડિયાએ જણાવ્યું કે, આ સાથે કેટલાક અધિકારીઓની ચૂંટણીમાં ડ્યુટી નથી તેવા LCB, ક્રાઈમ બ્રાન્ચ,SOG,અને કેટલાક IPS અધિકારીઓ ભાજપ સાથે મળી ચૂંટણીમાં ડ્રગ્સ અને દારૂ વેચવાની પ્રવત્તિમાં જોડાયા છે જેથી એવા અધિકારીઓને પણ આ પ્રવૃત્તિ રોકવા અપીલ કરી હતી.
OBC મુખ્યમંત્રી મામલે પણ કોંગ્રેસની પ્રતિક્રિયા
કોંગ્રેસના મોઢવાડિયાને જ્યારે OBC મુખ્યમંત્રી વિશે પુછવામાં આવ્યુ ત્યારે તેમને કહ્યુ કે, અમે કોઈ એવા વ્યક્તિને CM નહીં બનાવીએ કે જેને બદલવા પડે. તેમણે કહ્યું કે, પરિણામ બાદ જીતેલા સભ્યો અને હાઈકમાન્ડ સાથે ચર્ચા કરીને અમે મુખ્યમંત્રી ડિક્લૈર કરીશું
અર્જુન મોઢાવાડિયાએ ભાજપ પર પ્રહાર
તેમણે જણાવ્યું કે, ગુજરાતના લોકો સમજી ગયા છે કે રાજ્યમાં ભય-ભૂખ-ભ્રષ્ટાચારનું શાસન છે, મુળ મુદ્દાને કિનારે કરી ભાજપ રાજનીતિ કરી રહી છે. ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસ લોકોની મુશ્કેલીઓને વાચા આપવા જનઆંદોલનો કર્યા છે. ભાજપે ફક્ત તમાશા જ કર્યા છે. ગુજરાત કોંગ્રેસનું પ્રજા માટેના કામ બોલે છે અને ગુજરાત રાજ્યની ભાજપ સરકારના ભ્રષ્ટાચારના કાંડ બોલે છે.
"જનસભામાં નબળો પ્રતિસાદ મળ્યો"
અર્જુન મોઢાવાડિયાએ જણાવ્યું કે, વડાપ્રધાન ગુજરાતની ચૂંટણી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, તેમને ભાજપની હાર સ્પષ્ટ દેખાઇ રહી છે. વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતમાં જ્યાં જ્યાં પણ જનસભા કરી ત્યાં તેને નબળો પ્રતિસાદ મળ્યો, જે પ્રથમ તબક્કાના મતદાનમાં સ્પષ્ટ નજરે ચઢી રહ્યું છે. તેઓએ કરેલી અપીલને પણ લોકોએ નજરઅંદાજ કરી છે. હવે બીજા તબક્કામાં કોઇ મુદ્દો ન મળતા સો ટકા મતદાનની અપીલોના હોર્ડિંગ સમગ્ર જગ્યાએ જોઇ શકાય છે.