સૌરાષ્ટ્રના 2017ની ચૂંટણીના પરિણામનું પુનરાવર્તન કરવા કોંગ્રેસ દ્વારા 'ચલો કોંગ્રેસ કે સાથ મા કે દ્વાર' યાત્રાનું આયોજન કરાયું છે.
સૌરાષ્ટ્રના 2017ની ચૂંટણીના પરિણામનું પુનરાવર્તન કરવા કોંગ્રેસની યાત્રા
આગામી 28 સપ્ટેમ્બરે 'ચલો કોંગ્રેસ કે સાથ મા કે દ્વાર' યાત્રાનું આયોજન
કોંગ્રેસ માતાજીના દર્શન કરી પાટીદારોના મત કબ્જે કરવા કરશે પ્રયત્ન
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો બંધ બાજી ઉઘાડતા જાય છે. AAPની એન્ટ્રીથી પ્રથમ વખત ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસનું રાજકીય સમીકરણ બગડ્યું છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસ એક્ટીવ મોડ પર આવી ગયું છે. કોંગ્રેસ દ્વારા ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે સૌરાષ્ટ્રના 2017ની ચૂંટણીના પરિણામનું પુનરાવર્તન કરવા કોંગ્રેસ દ્વારા એક એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે.
ગુજરાત કોંગ્રેસના ત્રણ કાર્યકારી અધ્યક્ષ કાઢશે યાત્રા
આ અંગે જણાવતા કોંગ્રેસના ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરાએ જણાવ્યું કે, સૌરાષ્ટ્રની તમામ સીટ પર કોંગ્રેસનો મહોલ બનાવવા માટે આવતી 28 સપ્ટેમ્બરે એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 'ચલો કોંગ્રેસ કે સાથ માં કે દ્વાર' નામથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. લલિત કગથરા, અંબરીશ ડેર અને ઋત્વિજ મકવાણાની આગેવાનીમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 28 તારીખે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં કોંગ્રેસના તમામ આગેવાનો અને કાર્યકરો એકઠા થશે.
રાજકોટથી ખોડલધામ જશે યાત્રા
તેમણે જણાવ્યું કે, રેસકોર્સ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ પર હારતોરા કરીને અને બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પર હારતોરા કરીને આ યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે. જે બાદ આ યાત્રા ખોડલધામ જશે, જ્યાં જૂનાગઢ, જેતપુર, ધોરાજીના કોંગ્રેસના કાર્યકરો ખોડલધામ આવશે. જ્યાં રાજુલાના કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર પોતાની રેલી સ્વરૂપે ખોડલધામ મંદિરે આવશે. મંદિર ખાતે પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવશે.
ખોડલધામથી ગાઠીલા અને ગાઠીલાથી સીદસર
લલિત કગથરાએ જણાવ્યું કે, જે બાદ આ યાત્રા જેતપુર અને જૂનાગઢ સિટીમાં થઈને ગાઠીલા ઉમિયા માતાજીના મંદિરે પહોંચશે. જ્યારે બપોરે જમણાવાર કરવામાં આવશે. ગાંઠીલા મંદિરના ટ્રસ્ટીઓ અને પ્રમુખો દ્વારા આ યાત્રાનું સ્વાગત કરવામાં આવશે. જે બાદ આ યાત્રા માણવદરથી ઉપલેટા થઈને સીદસર જશે. એક દિવસનો આ કાર્યક્રમ છે. સંપુર્ણ તાકતથી કોંગ્રેસના કાર્યકરો આ યાત્રામાં જોડવાના છે.
કોંગ્રેસ નાગરિક અધિકાર પત્ર લઇ પ્રજા સમક્ષ જશે
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મિશન 2022 માટે ગુજરાત કોંગ્રેસે તૈયારી આરંભી દીધી છે. વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ ઘરે ઘરે પહોંચશે, કોંગ્રેસ આઠ વચન સાથે દોઢ કરોડ પ્રત્રિકાનું વિતરણ કરશે. જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, કોંગ્રેસ મિશન 2022માં 125 લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરશે. કોંગ્રેસ નાગરિક અધિકાર પત્ર લઇ પ્રજા સમક્ષ જશે. રાજ્યમાં 52 હજાર બુથ ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવી છે. કોંગ્રેસના આઠ વચન સાથેના નાગરિક અધિકાર પત્ર લઇ જશે. આ સાથે ભાજપ શાસની છ નિષ્ફળતાઓ દર્શાવતી પત્રિકા તૈયાર કરવામાં આવી છે.
52 હજાર બુથ ઇન્ચાર્જને પરિણામ સુધી શું કામગીરી કરવાની છે તેની જવાબદારી પણ સોપાઇ છે. આ ઉપરાત મારુ બુથ મારુ ગૌરવ અભિયાન અંતર્ગત દોઢ કરોડ પત્રિકા આપવામા આવશે. કોંગ્રસ પ્રદેશ પ્રમુખથી લઇ બુથ કાર્યકર્તા આ પત્રિકા આગામી 24, 25 અને 26 સપ્ટેમ્બરના રોજ આપશે. દર ચૂંટણીમાં બેક ફુટ પર રહેતી કોંગ્રેસ મિશન 2022 માટે ફ્રન્ટ ફુટ પર રમી રહી છે. ત્યારે કોંગ્રેસની નવી સ્ટેટજીનો કેટલો લાભ 2022 ચૂંટણી મળે છે તે જોવાનું રહે છે.