લોકસભા ચૂંટણી 2019ને લઈને મહાસંગ્રામમાં માહોલ બદલાઈ ગયો છે ત્યારે કોંગ્રેસ પોતાના ઘોષણાપત્રને લઈને મોટી જાહેરાત કરી છે. રાહુલ ગાંધીએ આજે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને દેશના ગરીબોને લઈને મોટી જાહેરાત કરી છે. ચૂંટણી વાયદા તરીકેની આ જાહેરાતમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો UPA સરકાર આવશે તો દેશના 20 ટકા ગરીબ પરિવારોને દર વર્ષે 72000 રૂપિયા આપીશું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જે પરિવારની આવક મહિને 12000 રૂપિયાથી ઓછી છે તેમના ખાતામાં વાર્ષિક 72000 રૂપિયા જમા કરાવવામાં આવશે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્હી ખાતે પ્રેસ કોન્ફન્સ કરીને આ મોટી જાહેરાત કરતા તેમણે કહ્યું હતું કે દુનિયામાં આવી કોઈ યોજના નથી તે અમે લાગુ કરીશું. દેશની જનતા, મજૂરો અને ખેડૂતો મને આવકને લઇને સવાલો કરી રહ્યા હતા કે આ સ્કિમ કેવી હશે અને કેટલા લોકોને મદદ મળશે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, આ સ્કિમમાં કોંગ્રેસ સરકાર વાર્ષિક 72 હજાર રૂપિયા આપશે. કોંગ્રેસ પાર્ટી ગેરેન્ટી આપે છે કે ભારતના 20 ટકા સૌથી ગરીબ પરિવારોને દર વર્ષે 72 હજાર રૂપિયા કોંગ્રેસ સરકાર આપશે. જેનો લાભ દરેક ધર્મના લોકોને મળશે. વધુમાં તેમણે કહ્યું કે, આ યોજનાનો સીધો લાભ દેશના 5 કરોડ પરિવારોને મળશે. જેનો લાભ 25 કરોડ લોકો સુધી પહોંચશે.
વધુમાં તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી દેશના સૌથી ગરીબ લોકોને પૈસા આપી શકે છે. આ રૂપિયા તેમના બેંકના ખાતામાં નાખવામાં આવશે. મેં વાયદો કર્યો હતો તે પ્રમાણે 10 દિવસમાં ત્રણ રાજ્યોમાં દેવામાફી કરી છે.
આ યોજના આર્થિક દ્રષ્ટિએ સંભવ છેઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ આ યોજના વિશે થોડી વધુ માહિતી આપતા કહ્યું હતું કે તમામ ગણતરીઓ થઈ ગઈ છે. આ યોજના માટે ખર્ચ થનારા પૈસાનો પણ હિસાબ અમે કરી લીધો છે. આ આર્થિક દ્રષ્ટિએ સંપૂર્ણ રીતે સંભવ છે. અમે સૌથી ગરીબ લોકોની ઓળખ કરી રહ્યાં છીએ, તેના પર કામ ચાલી રહ્યું છે. અમે તેમની ઓળખ કરીને ગરીબીમાંથી હંમેશા માટે બહાર લાવવા માંગીએ છીએ. મનરેગાથી 14 કરોડ લોકો ગરીબીથી બહાર નીકળ્યાં. દુનિયાના શ્રેષ્ઠ અર્થશાસ્ત્રીઓ સાથે અમે આ વિશે ચર્ચા કરી છે. ચિદમ્બરમજી અને અમારી જે ટીમ છે તેના પર કામ કરી રહી છે અને સંપૂર્ણ માહિતી શૅર કરીશું.
આ સ્કીમનું નામ 'ન્યાય સ્કીમ'
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં દેશની જનતાને ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે જો તેમની સરકાર આવશે તો દેશના 20 ટકા ગરીબોને દરવર્ષે 72 હજાર રૂપિયા આપવામાં આવશે. આ રૂપિયા લઘુત્તમ આવક હેઠળ આપવામાં આવશે. આ સ્કીમનું નામ 'ન્યાય સ્કીમ' આપવામાં આવ્યું છે.
ગરીબોની આવક 12 હજાર સુધી પહોંચાડીશું
કોંગ્રેસ અધ્યક્ષે વાયદો કર્યો છે કે આ સ્કીમથી દેશના 25 કરોડ લોકોને ફાયદો પહોંચશે. રાહુલ ગાંધીએ કહ્યું કે જો તમારી આવક 12 હજાર રૂપિયાથી ઓછી છે, તો અમે તમારી આવક 12000 સુધી પહોંચાડીશું. એટલે કે આવક 8000 રૂપિયા છે તો સરકાર 4000 રૂપિયા આપશે.
રાહુલ ગાંધીની મોટી વાતો
કોગ્રેસની લઘુત્તમ આવક ગેરંટી યોજનાની જાહેરાત
જેમની આવક રૂ.12000થી ઓછી હશે તેમને આ યોજનાનો લાભ મળશે.