કોંગ્રેસ નેતાએ પોતાની જ પાર્ટી પર નિશાન સાધ્યું અને કહ્યું કે, કોંગ્રેસ એક સપ્તાહમાં પોતાના સૌથી મોટા નેતા માટે કોર્ટમાં 'અપીલ' પણ કરી શકી નથી
રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ મામલે અપડેટ
કોંગ્રેસ નેતાએ પોતાની જ પાર્ટી પર સાધ્યું નિશાન
પાર્ટી 7 દિવસમાં સૌથી મોટા નેતા માટે કોર્ટમાં 'અપીલ' પણ કરી શકી નથી: આચાર્ય પ્રમોદ
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ થયા બાદ દિવસેને દિવસે નવી અપડેટ સામે આવતી રહી છે. રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ થયાને સાત દિવસ વીતી ગયા છે. જોકે હજી સુધી પાર્ટીએ આ મામલે ઉચ્ચ અદાલતમાં અપીલ દાખલ કરી નથી. આ તરફ હવે કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે પોતાની જ પાર્ટી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ એક સપ્તાહમાં પોતાના સૌથી મોટા નેતા માટે કોર્ટમાં 'અપીલ' પણ કરી શકી નથી.
કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદે નામ લીધા વિના કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, પાર્ટી 'પ્રવક્તા' માટે એક કલાકમાં 'સુપ્રીમ' કોર્ટમાં પહોંચી ગઈ હતી, પરંતુ સૌથી મોટા નેતા માટે એક અઠવાડિયાથી મૌન છે. મહત્વનું છે કે, રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ થયાના 7 દિવસ બાદ પણ હજી સુધી પાર્ટીએ આ મામલે ઉચ્ચ અદાલતમાં અપીલ દાખલ કરી નથી.
पार्टी “प्रवक्ता”
के लिये एक घण्टे में “सुप्रीम”
कोर्ट पहुँचने वाली पार्टी अपने सबसे बड़े “नेता”
के लिये एक “हफ़्ते” में एक “अपील” दाखिल भी ना कर पायी. @RahulGandhi@priyankagandhi@kharge
ક્યારે રદ કરવામાં આવ્યું હતું રાહુલનું સભ્યપદ ?
મજાતવનું છે કે, ગયા શુક્રવારે (24 માર્ચ) ગુજરાતની સુરત કોર્ટે રાહુલ ગાંધીને બદનક્ષીના કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની સજા ફટકારી હતી. આ નિર્ણય બાદ લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ કરી દીધી છે. જનપ્રતિનિધિત્વ અધિનિયમ મુજબ જો સાંસદો અને ધારાસભ્યોને કોઈપણ કિસ્સામાં બે વર્ષ કે તેથી વધુ સજા થાય છે, તો તેમનું સભ્યપદ (સંસદ અને વિધાનસભામાંથી) રદ કરવામાં આવે છે.
તો હવે રાહુલ ગાંધી પાસે શું વિકલ્પ ?
રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા સમાપ્ત થઈ ગઈ છે. જોકે રાહુલ માટે સદસ્યતા જાળવી રાખવાના તમામ રસ્તા બંધ કરવામાં આવ્યા નથી. તેઓ તેમની રાહત માટે હાઈકોર્ટમાં પડકારી શકે છે, જ્યાં સુરત સેશન્સ કોર્ટના નિર્ણય પર સ્ટે આવે તો સભ્યપદ બચાવી શકાય છે. જો હાઈકોર્ટ સ્ટે નહીં આપે તો સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવવો પડશે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવે તો પણ તેમનું સભ્યપદ બચાવી શકાય છે. પરંતુ જો તેમને ઉપરની કોર્ટમાંથી રાહત નહીં મળે તો રાહુલ ગાંધી 8 વર્ષ સુધી કોઈ ચૂંટણી લડી શકશે નહીં.
જાણો શું છે કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાની ધરપકડ-જામીનનો મામલો?
વાત જાણે એમ છે કે, 23 ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસના નેતા પવન ખેડાની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. તેઓ કોંગ્રેસના નેતાઓ સાથે રાયપુરમાં યોજાનાર કોંગ્રેસ અધિવેશનમાં હાજરી આપવા માટે ઈન્ડિગોની ફ્લાઈટમાં જવાના હતા. ત્યારબાદ દિલ્હી પોલીસે તેમને ફ્લાઈટમાંથી ઉતારીને કસ્ટડીમાં લીધા હતા. જેનો કોંગ્રેસે ભારે વિરોધ કર્યો હતો. કોંગ્રેસના નેતા પવન ખેડાની ધરપકડના વિરોધમાં તેઓ એરપોર્ટ પર જ ધરણા પર બેસી ગયા હતા. જોકે થોડા સમય બાદ પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. નોંધનીય છે કે, કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પીએમને ગૌતમદાસ મોદી કહ્યા હતા. .
સુરત કોર્ટે રાહુલને ફટકારી છે 2 વર્ષની સજા
રાહુલ ગાંધીએ કર્ણાટકમાં 2019ની લોકસભા ચૂંટણી પહેલા એક નિવેદન આપ્યું હતું. એ કેસમાં સુરત કોર્ટે રાહુલને રૂ.15,000ના અંગત બોન્ડ પર જામીન આપતાં 30 દિવસ માટે સજા સસ્પેન્ડ કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધી સજાને ઉપલી કોર્ટમાં પડકારી શકે છે. કોર્ટે તેના 170 પાનાના નિર્ણયમાં કહ્યું છે કે, આરોપીઓ પોતે સાંસદ છે અને સુપ્રીમ કોર્ટની સલાહ બાદ પણ આચારમાં કોઈ ફેરફાર થયો નથી. કોર્ટે ચુકાદામાં કહ્યું કે, "આરોપીઓએ પોતાના ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની અટકની તુલના દેશના આર્થિક ગુનેગારો નીરવ મોદી, લલિત મોદી, મેહુલ ચોક્સી અને વિજય માલ્યા સાથે કરી હતી." આરોપી પોતાનું ભાષણ અહીં રોકી શક્યા હોત અને પોતાના ભાષણમાં માત્ર આ લોકો વિશે જ ચર્ચા કરી શક્યા હોત, પરંતુ મોદી અટક ધરાવતા લોકોનું અપમાન કરવાના ઈરાદાથી આરોપીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, બધા ચોરોને મોદીની અટક કેમ છે.
જાણો શું કહ્યું હતું અમિત શાહે ?
ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધી વિશે કહ્યું હતું કે, તેઓ એકમાત્ર એવા રાજનેતા નથી કે જેમણે કોર્ટ દ્વારા દોષિત ઠેરવ્યા બાદ લોકસભાની સદસ્યતા ગુમાવી દીધી છે અને તેના વિશે હોબાળો કરવા જેવું કંઈ નથી. એક કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું હતું કે, રાહુલે પોતાનો કેસ લડવા માટે ઉચ્ચ અદાલતમાં જવું જોઈએ. પરંતુ તેના બદલે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, રાહુલે પોતાની સજા પર સ્ટે માટે અપીલ કરી નથી, તો આ કેવું ઘમંડ છે? તમે સાંસદ તરીકે ચાલુ રાખવા માંગો છો અને કોર્ટમાં પણ નહીં જાવ.