પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા કોંગ્રેસ અને નવજોત સિંહ સિદ્ઘુ અને ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા વચ્ચે PM મોદી અને સોનિયા ગાંધીને લઇને વાક્ યુદ્ઘ શરૂ થયુ છે. સંબિત પાત્રાએ ‘કાળા અંગ્રેજ’વાળા નિવેદન પર સોનિયા ગાંધીને ઘેર્યા બાદ નવજોત સિંહ સિદ્ઘુએ પલટવાર કર્યો છે. સિદ્ઘુએ કહ્યુ કે, ઋતુગત દેડકાની જેમ સંબિત પાત્રા ટર્ર-ટર્ર કરે છે.
સિદ્ધુએ મધ્યપ્રદેશમાં એક ચૂંટણી સભા સંબોધી હતી જ્યાં તેમણે આ વાત કરી. ટ્વિટ કરીને સિદ્ધુએ કહ્યું, “મોસમી દેડકાની જેમ સંબિત પાત્રા ટર્ર-ટર્ર કરે છે. મોસમી દેડકો જ્યારે ટર્ર-ટર્ર કરે છે તો કોયલ ચૂપ રહે છે. હાથી બજારની વચ્ચે ચાલે છે અને એક હજાર અવાજો આવે છે.” સિદ્ધુએ પીએમ મોદી પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, મધ્યપ્રદેશમાં જ્યારે શિવરાજ સિંહનું શાસન હતું ત્યારે રાજ્ય બળાત્કારમાં નંબર વન હતું અને આપણા પીએમ મહિલા સશક્તિકરણની વાતો કરે છે.
मौसमी मेंढक जब टर..टर..टर.. करता है,
तो कोयल चुप रहता है|
જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી વિશે નવજોત સિંહ સિદ્ધુએ કરેલી ટિપ્પણી માટે કોંગ્રેસ પર નિશાન સાધતાં શનિવારે ભાજપે કહ્યું હતું કે, “સિદ્ધુ મોદીજીની તુલના કાળા અંગ્રેજ સાથે કરે છે તો શું સોનિયા ગાંધી ભારતીય છે?” ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ પત્રકારોને કહ્યું, “સિદ્ધુએ મોદીજી અને ભારતીયોને કાળા અંગ્રેજ કહ્યા છે. હું તમને પૂછું છું કે મોદીજી કાળા અંગ્રેજ અને સોનિયા ગાંધી ભારતીય છે? આ ક્યાંનો ન્યાય છે? મોદીજી કાળા હોય તો શું દિલવાળા છે, મોદીજી કાળા હોય તો શું થયું ગરીબોના રખેવાળ છે.”
સંબિત પાત્રાએ ભારપૂર્વક કહ્યું કે, મોદીને આખું ભારત પ્રેમ કરે છે અને મોદીજી ભારતને પ્રેમ કરે છે. માટે જ આ માત્ર મોદીજીનું નહીં આખા ભારતનું અપમાન છે. સંબિત પાત્રાએ જણાવ્યું, “સિદ્ધુએ કહ્યું કે, મોદી એ નવવધૂ જેવા છે જે રોટલી ઓછી વણે છે અને બંગડીઓનો અવાજ વધારે કરે છે. સિદ્ધુજીએ આ એક વાક્યમાં કોંગ્રેસની માનસિકતા છતી કરી છે કે, કોંગ્રેસ પાર્ટી રેસિસ્ટ પણ છે અને સેક્સિસ્ટ પણ. 23 મેએ ચૂંટણીના પરિણામ આવશે ત્યારે કોંગ્રેસનો રંગ ફિક્કો પડી જશે.” સંબિત પાત્રાના આ જ નિવેદન બાદ સિદ્ધુએ પલટવાર કર્યો છે.