પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે રાતે પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં દેશ માટે 20 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. ત્યારે છેલ્લા 3 દિવસથી આ રાહત પેકેજમાં સમાવેશ કરવામાં આવેલ વિવિધ જાહેરાતોની વિગત દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ આપી રહ્યા છે. આવામાં આ પેકેજને લઇને કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસી નેતા શક્તિસિંહ ગોહિલે આ પેકેજને શરતો લાગુ વાળું પેકેજ ગણાવ્યું હતું. બીજી બાજુ રાજ્યમાં કોરોનાની કથળતી સ્થિતિ અને આરોગ્ય વિભાગની કામગીરી મામલે અગ્ર સચિવ જયંતિ રવિને પણ આડેહાથ લીધા હતા.
શક્તિસિંહ ગોહિલે રાહત પેકેજને લઇને સરકાર પર કર્યા પ્રહાર
આરોગ્ય વિભાગના અગ્ર સચિવને લીધા આડેહાથ
કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે મોદી સરકારના 20 લાખ કરોડના રાહત પેકેજ પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું હતું કે આ પેકેજની જાહેરાતો લોભામણી વાતો જેવી છે. જેમાં જાહેરાતો તો થાય છે પરંતુ શરતોને આધારે જેમાં કોઈ પણ પ્રકારે સીધી રીતે સામાન્ય માણસને ફાયદો થતો નથી. સરકારનું આ રાહત પેકેજ એક ચક્રવ્યૂહ જેવો છે. મહત્વનું છે કે તેમણે આ દરમ્યાન સુરતના હીરા ઉદ્યોગ માટે જાહેર કરવામાં આવેલા પેકેજનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, મંદી વખતે કરોડો રૂપિયાના પેકેજની જાહેરાત કરવામાં આવી હતી જો કે, તેમાં T&C હોવાથી કોઇ હીરાઘસુ કારીગરને એકપણ રૂપિયો મળ્યો નહોતો.
સરકારે સીધી મદદ મળે તેવી જાહેરાતો કરવાની જરૂર હતી
શક્તિસિંહે મોદી સરકારના 20 લાખ કરોડના પેકેજની ટીકા કરતા કહ્યું હતું કે સરકારે સૌપ્રથમ તો રોજ કમાઈને રોજ ખાનારી વ્યક્તિઓ માટે રોકડ સહાય આપવી જરૂરી હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં કૅશડૉલની જોગવાઈ છે તે આપવાની જરૂર હતી. ભૂતકાળમાં કોંગ્રેસની સરકારે આ પ્રકારની સહાય જાહેર કરી છે. રાહત પેકેજમાં ખેડૂતોને બિયારણ ખરીદી, ખાતર, શ્રમિકોને વતન જવા માટે મફત મુસાફરીની વ્યવસ્થા, નાના ઉદ્યોગકારોને સીધી મદદ વગેરે જેવી જાહેરાતો કરવાની જરૂરી હતી. નાના વેપારીઓ 50 દિવસથી કોઈ પણ આવક વિના બેઠાં છે ત્યારે તેમની હાલત દયનીય છે.
કોરોના સાથે જીવવાનું હતું તો લૉકડાઉન કર્યુ કેમ?
સરકારની લૉકડાઉન લાદવાની અને લંબાવવાની સ્ટ્રેટજી પર સવાલ ઊભાં કરતા શક્તિસિંહે કહ્યું હતું કે લૉકડાઉનના કારણે કોઈ ફરક પડ્યો નથી. કારણ કે આ લૉકડાઉન અણઘડ રીતે લાદવામાં આવ્યું છે. પહેલાં સરકારે કહ્યું કે લૉકડાઉનથી કોરોના અટકશે અને હવે કહે છે કે કોરોના સાથે જીવતા શીખવું પડશે. ત્યારે સવાલ એ થાય છે કે જો કોરોના સાથે જીવવાનું હતું તો આટલા દિવસો સુધી લૉકડાઉન કર્યુ કેમ. તેમણે કહ્યું કે લૉકડાઉન કરવું જરૂરી છે પરંતુ સાયન્ટિફિકલી અને યોગ્ય સ્ટ્રેટજી સાથે કરવું જોઈતું હતું. માત્ર લૉકડાઉન કરવાથી કોરોના ખતમ થઈ જતો નથી. લૉકડાઉન કરવું જોઈએ પરંતુ આ સમય દરમ્યાન વધુમાં વધુ ટેસ્ટિંગ કરવા જોઈએ, પોઝિટિવ લોકોને શોધી કાઢો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ન હોય તો તે ઊભું કરો જેથી તમે લૉકડાઉન ખુલ્યાં બાદ તૈયાર રહી શકાય. ઘણાં દેશોએ આ રીતે કર્યુ છે અને કોરોના કાબૂમાં મેળવી શક્યાં છે.
ગુજરાતમાં સૌથી વધુ મૃત્યુદર, કેસોનો આંકડો છુપાવવા ઓછાં ટેસ્ટિંગ કરાયા
બીજી બાજુ ગુજરાતમાં કોરોનાની સ્થિતિને લઈને પણ શક્તિસિંહ ગોહિલે રૂપાણી સરકારને આડેહાથ લીધી હતી. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો વધારે ન દેખાય તે માટે ઓછાં ટેસ્ટિંગ કરાયા. આજે આખા દેશમાં ગુજરાત 6 ટકાના મૃત્યુદરે સૌથી વધારે છે તે દુઃખની બાબત છે. તેમણે કહ્યું ગુજરાતમાં કોરોનાની જે સ્થિતિ છે તે ખૂબ ચિંતાજનક.
સામાન્ય માણસ માત્ર શબ્દોથી આત્મનિર્ભર નહીં બની શકે
શક્તિસિંહે PM મોદીની ભારતને આત્મનિર્ભર બનાવવાની વાત પર ટીકા કરતાં કહ્યું હતું કે માત્ર શબ્દોથી કોઈ આત્મનિર્ભર નહીં બની શકે. તેમના માટે કોઈ એવું પ્લેટફોર્મ ઊભું કરવું પડશે, તેમના હાથમાં સીધું કંઈક આપવું પડશે નહીંતર આ માત્ર ખાલી વાતો જ રહેશે.
મંત્રી અને અધિકારીઓ વચ્ચે સંકલનના અભાવે પ્રજા દુઃખી થાય છે
શક્તિસિંહ ગોહિલે સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે અધિકારીઓ અચાનક આવીને દવા અને દૂધ સિવાય તમામ ચીજવસ્તુઓ બંધ કરવાની જાહેરાત કરી દે છે. જ્યારે બીજી બાજુ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને આ જ બાબતે પૂછવામાં આવે તો તેઓ કહે છે આ વિશે કોઈ જાણ નથી. આવામાં એ સવાલ થાય છે કે કોરોના જેવી મહામારીના સમયમાં પણ અધિકારીઓ અને મંત્રીઓ વચ્ચે સંકલન નથી અને પરિણામે સામાન્ય પ્રજા દુઃખી થાય છે.
આરોગ્ય અગ્રસચિવ સાડીના કલર પસંદ કરવામાં સમય બગાડે છે : શક્તિસિંહ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 15, 2020
શક્તિસિંહ ગોહિલે સરકારી અધિકારીઓના સંકલન અને કામગીરી પર પણ સવાલ ઊઠાવ્યાં હતાં. તેમણે આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિની કામગીરીને લઈને કહ્યું હતું કે વાતો તો એવી ચાલે છે કે તેઓ કયા કલરની સાડી પહેરીને ટીવી પર આવશે તેમાં વ્યસ્ત રહેતાં હોય છે. તેમણે ટીવી પર આવીને જાહેરાત કરવાનું કામ અન્ય કોઈને સોંપી દેવું જોઈએ અને નક્કર કામગીરીના પગલાં ભરવા જોઈએ. ગ્રાઉન્ડ પર જોઈને પરિસ્થિતિનો તાગ મેળવીને નિર્ણયો લેવા જોઈએ.